ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લા વહીવટી તંત્રે સમયસર લીધેલા નિર્ણયથી સંભવિત જોખમને ટાળવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઉકાઈ તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વચ્ચે નાગરિકો અને આશ્રમશાળાના બાળકોનું અગાઉથી કાલે સાંજે જ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જેથી કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના ન બને.
જિલ્લા તંત્ર દ્વારા ઉખલદા ગામના દાદરી ફળિયામાં રહેતા અંદાજે 30 લોકોને સુરક્ષિત રીતે ઉખલદા આદર્શ પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા. આશ્રયસ્થળે પાથરણાં, ઓઢવાની વ્યવસ્થા, ફિલ્ટરયુક્ત શુદ્ધ પીવાનું પાણી તેમજ પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઉપરાંત માછલી ફળિયાના 17 નાગરિકોને સાવચેતીના ભાગરૂપે તેમના સંબંધીઓના સુરક્ષિત ઘરોમાં મોકલવામાં આવ્યા હતા.
વરસાદી પરિસ્થિતિમાં કાચા અને જૂના મકાનો જોખમી બનતા ભેંસરોટ આશ્રમશાળાના 48 બાળકોને પતરાવાળા મકાનમાંથી નવી સ્લેબવાળી ઇમારતમાં તેમજ બોરીસાવર આશ્રમશાળાના 91 બાળકોને નળિયાવાળા મકાનમાંથી પાકી સ્લેબવાળી બિલ્ડિંગમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. આમ કુલ 139 બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
તાપી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. તમામ તાલુકાઓમાં રાહત અને બચાવ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રે લોકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે, જેથી વરસાદી પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારનું જોખમ ટાળી શકાય.