દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદને પગલે અંબિકા નદી, ઓલણ નદી અને કોરવ ખાડીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ તરકાણી ગામનું તળાવ ઓવરફ્લો થતાં આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.

પરિસ્થિતિ ગંભીર બનતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. અંબિકા તાલુકાના ઉમરા, કાંકરીયા, ભોરિયા, વાંક, હળદવા, મહુવરીયા અને તરકાણી સહિત 7 ગામોમાંથી કુલ 295 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરાયેલા લોકો માટે રહેવા, ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમરા મુખ્ય પ્રાથમિક શાળા અને તરકાણી મુખ્ય પ્રાથમિક શાળામાં આશ્રય કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક પરિવારોને તેમના સગા-સંબંધીઓના ઘરે તેમજ નજીકના સુરક્ષિત મકાનોમાં પણ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ ઉમરા ગામમાંથી 60, કાંકરીયામાંથી 54, ભોરિયામાંથી 60, વાંકમાંથી 9, હળદવામાંથી 63, મહુવરીયામાંથી 6 અને તરકાણી ગામમાંથી 43 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

23 જુલાઈની વહેલી સવારથી મામલતદાર કચેરી અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલ તંત્ર દ્વારા નદી-ખાડીના જળસ્તર અને અસરગ્રસ્ત ગામોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.