ગાંધીનગર જિલ્લામાં બોરીસણા ગામના ધીરજભાઈ ભલાભાઈ રબારી ગઈકાલે(7 નવેમ્બર) સવારે પોતાની બે દીકરીઓના આધારકાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા. જેઓ મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ ગઈકાલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં બે દીકરીઓ સાથે ધીરજભાઈ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસની અલગ અલગ ટીમોએ ધીરજભાઈની તપાસ હાથ ધરી હતી.
આજે સવારે બંને દીકરીઓના મૃતદેહ કલોલ તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારની મુખ્ય કેનાલમાંથી મળી આવતા રબારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં સાંતેજ પોલીસે બંને બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાથમિક વિગતો મુજબ ધીરજભાઈ સુખી સંપન્ન પરિવાર ધરાવે છે. જેઓને કલોલના વડસર ઉપરાંત અન્ય બે સ્થળોએ પેટ્રોલ પંપ પણ હોવાનું સામે આવ્યું છે.
બંને દીકરીઓના મૃતદેહ પિયજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી
આજે બંને દીકરીઓના મૃતદેહ કલોલ તાલુકા પોલીસ મથકના પિયજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવી છે. જ્યારે ધીરજની હજી સુધી કોઈ ભાળ મળી નથી. ધીરજને વડસર ઉપરાંત અન્ય બે જગ્યાએ પેટ્રોલ પંપ હોવાનું પણ જાણવા મળ્યું છે.