Thursday, Oct 23, 2025

ગોવાના કૃષિ મંત્રી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રવિ નાઈકનું નિધન

2 Min Read

ગોવાના મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી રવિ નાઈકનું નિધન થયું છે. પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું કે ગોવાના કૃષિ મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી રવિ નાઈકનું બુધવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી રવિ નાઈકનું મંગળવારે મોડી રાત્રે અવસાન થયું. પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર 79 વર્ષીય નાઈકને તેમના વતન પણજીથી લગભગ 30 કિલોમીટર દૂર સ્થિત ઘરે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ત્યારબાદ તેમને પોંડાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોકટરોએ તેમને રાત્રે 1 વાગ્યાની આસપાસ મૃત જાહેર કર્યા હતા.

નાઈકના પરિવારમાં તેમની પત્ની, બે પુત્રો, એક પુત્રવધૂ અને ત્રણ પૌત્રો છે. તેમના અંતિમ સંસ્કાર આજે બુધવારે બપોરે 3 વાગ્યે કરવામાં આવશે. તેમના પાર્થિવ શરીરને પોંડાના ખડપાબંધ સ્થિત તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યું છે, જ્યાં હજારો લોકો તેમના અંતિમ દર્શન માટે એકઠા થયા હતા.

નાઈકે તેમના લાંબા રાજકીય કારકિર્દી દરમિયાન સાત વખત ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. તેઓ પોંડા મતવિસ્તારમાંથી છ વખત અને મરકાઈમ મતવિસ્તારમાંથી એક વખત ચૂંટાયા હતા. તેમણે વિવિધ સમયે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP), કોંગ્રેસ અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી. તેઓ સૌપ્રથમ 1984માં MGP ટિકિટ પર પોંડાથી ધારાસભ્ય બન્યા હતા અને 1989માં મરકાઈમથી જીત્યા હતા. બાદમાં તેઓ 1999, 2002, 2007 અને 2017માં કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા. 2022 થી, તેઓ ભાજપની ટિકિટ પર પોંડાથી ધારાસભ્ય હતા.

રવિ નાઈકે બે વાર ગોવાના મુખ્યમંત્રી તરીકે સેવા આપી. પહેલી વાર જાન્યુઆરી 1991 થી મે 1993 સુધી, જ્યારે તેમણે પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક ફ્રન્ટ ગઠબંધન સરકારનું નેતૃત્વ કર્યું. બીજી વાર એપ્રિલ 1994 માં જ્યારે તેમણે માત્ર છ દિવસ (2 થી 8 એપ્રિલ) માટે સેવા આપી. જે રાજ્યનો સૌથી ટૂંકો કાર્યકાળ હતો. 1998માં તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉત્તર ગોવાથી લોકસભામાં ચૂંટાયા હતા.

Share This Article