ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓનો કાફલો સુરત પહોંચ્યો
સુરતના શિવશક્તિ કાપડ માર્કેટમાં ભયાનક આગથી 850 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. 700થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. રાજ્ય સરકારે તપાસ ટીમ મોકલી છે અને વેપારીઓએ રાહત પેકેજની માગણી કરી છે. આગ બેઝમેન્ટમાંથી શરૂ થઈ હતી અને ૩ર કલાક બાદ કાબૂમાં આવી હતી. આગના કારણોની તપાસ ચાલી રહી છે.
સુરતના શિવશક્તિ કાપડ માર્કેટમાં લાગેલી ભયાનક આગથી રાજ્યભરમાં ચિંતાનો માહોલ છે. મુખ્યમંત્રીના નિર્દેશ પર ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓની વિશેષ ટીમ સુરત પહોંચી છે, જે ઘટનાની ત્વરિત અને વિગતવાર તપાસમાં લાગેલી છે. આ ઘટનામાં થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને ટેક્સટાઇલ વેપારીઓએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજની માગણી કરી છે, જેથી આર્થિક નુકસાનમાંથી ઉગરી શકાય.
તપાસ પૂર્ણ થયા બાદ ટીમ પોતાનો વિગતવાર અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરશે, જેના આધારે પીડિત વેપારીઓ માટે યોગ્ય પગલાં લેવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી પૂરતી સહાય અને સંવેદના જાહેર થવાની અપેક્ષા છે.
શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આ વિકરાળ આગ પર 32 કલાકની અવિરત મહેનત બાદ કાબૂ મેળવવામાં આવ્યો. ફાયર વિભાગની 40થી વધુ ગાડીઓએ સતત 40 લાખ લિટરથી વધુ પાણીનો મારો ચલાવી આગને શમાવી હતી. આગ કાબૂમાં આવ્યા બાદ ચોથા અને પાંચમા માળની કેટલીક દુકાનોના સ્લેબ ધરાશાયી થયા હતા, અને પાંચ દુકાનોમાં સામાન્ય આગની ઝાંખી પણ જોવા મળી હતી.
આગે 800થી વધુ દુકાનોને ઝપેટમાં લીધી હતી. જેમાંથી 450 જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે. આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયાનું વેપારીઓ કહી રહ્યા છે. કેટલાક વેપારીઓ આગની વાત કરતી વખતે રડી પડ્યા હતા. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ આગને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા ટર્ન ટેબલ લેડર મશીનથી કામગીરી શરૂ કરવામાં આવી છે.