મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદથી રાજકીય અસ્થિરતાની વચ્ચે આજે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. આ દરમિયાન શિવસેના(ઉદ્ધવ ઠાકરે)ના નેતા સંજય રાઉતે એકનાથ શિંદેને લઈને નિવેદન આપ્યું છે.

શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું, “હવે એકનાથ શિંદેનો સમય પૂરો થઈ ગયો છે, તેમની જરૂરિયાત પૂરી થઈ ગઈ છે. હવે શિંદે આ રાજ્ય (મહારાષ્ટ્ર)માં ક્યારેય મુખ્યમંત્રી નહીં બને. આ લોકો શિંદેની પાર્ટીને પણ તોડી શકે છે. દેવેન્દ્ર ફડણવીસ આજથી રાજ્યના સીએમ બનશે. બહુમતી હોવા છતાં તેઓ 15 દિવસ સુધી સરકાર બનાવી શક્યા નથી. મતલબ કે પાર્ટીની અંદર કંઈક ખોટું છે. કાલથી તમે આ ગડબડ જોશો. તેઓ દેશના હિત માટે કામ કરતા નથી, તેઓ સ્વાર્થ માટે ભેગા થયા છે પરંતુ તેમ છતાં અમે મુખ્યમંત્રીને અભિનંદન આપીએ છીએ અને આવનારા સમયમાં તમે મહારાષ્ટ્રના હિત માટે કામ કરો.
ચૂંટણી પરિણામ સામે આવ્યા બાદ લગભગ દોઢ અઠવાડિયા સુધી મુખ્યમંત્રીના પદને લઈને સસ્પેન્સ બનેલું રહ્યું. જણાવવામાં આવી રહ્યું હતું કે, એકનાથ શિંદે ફરીથી મુખ્યમંત્રી બનવા ઇચ્છે છે. જોકે, મહાયુતિની સૌથી મોટી પાર્ટી હોવાના કારણે ભાજપ પોતાનો મુખ્યમંત્રી ઇચ્છતી હતી. અંતે આ તમામ અટકળો પર બુધવારે પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું અને દેવેન્દ્ર ફડણવીસની મુખ્યમંત્રીના રૂપે જાહેરાત કરવામાં આવી.
આ પણ વાંચો :-







