દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન અંગે હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે કેજરીવાલના જામીન પર સ્ટે મૂકી દીધો છે. કોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશમાં અનેક ખામીઓ દર્શાવી હતી. આ અગાઉ જસ્ટિસ સુધીર કુમાર જૈનની વેકેશન બેન્ચે ૨૧ જૂને ટ્રાયલ કોર્ટના નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂકીને આદેશ અનામત રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી ચુકાદો ન આવે ત્યાં સુધી જામીનના આદેશનો અમલ કરવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે દિલ્હીની રાઉઝ એવ્યુ કોર્ટે કેજરીવાલને ૨૦ જૂન ગુરુવારે જામીન આપ્યા હતા જેના વિરોધમાં ઈડીએ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ઈડીએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટમાં અમને આ મામલે અમારી દલીલો રજૂ કરવા માટે પર્યાપ્ત સમય જ નહોતો અપાયો.
દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, ઈડીના એડિશનલ સોલિસિટર જનરલ રાજુએ દલીલ કરી કે, નીચલી અદાલતે કહ્યું હતું કે, આટલા બધા દસ્તાવેજો વાંચવા શક્ય નથી. આવી ટિપ્પણી સંપૂર્ણપણે અયોગ્ય હતી. આના પરથી લાગી રહ્યું છે કે, ટ્રાયલ કોર્ટે રેકોર્ડ પર ધ્યાન આપ્યું નથી.
ઈડીએ પીએમએલએની કલમ ૪૫નો હવાલો પણ આપ્યો હતો. ઈડી વતી એએસજી રાજૂએ કહ્યું હતું કે અમારો કેસ મજબૂત છે. આ સાથે તેમણે સિંઘવીની હાજરીનો પણ વિરોધ કર્યો હતો. ઈડીએ કહ્યું હતું કે તપાસ હવે અંતિમ તબક્કામાં છે ત્યારે કેજરીવાલને મુક્ત કરવાથી તપાસ પર અસર થશે કેમ કે આરોપી મુખ્યમંત્રી જેવા મહત્ત્વપૂર્ણ હોદ્દા પર નિયુક્ત છે. ઉલ્લેખનીય છે કે ઇડીએ દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ૨૧ માર્ચે ધરપકડ કરી હતી.
આ પણ વાંચો :-