રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા 12 કલાકમાં ભૂકંપના 5 આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. શુક્રવારે (નવમી જાન્યુઆરી) વહેલી સવારે 3.8ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનો આંચકો અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ગાંધીનગર સ્થિત સીસ્મોગ્રાફી સેન્ટર ના અહેવાલમાં જણાવ્યું છે કે આજે સવારે 6:19 વાગ્યે 3.8, 6:56 વાગ્યે 2.7, 6:58 વાગ્યે 3.2, 7:10 વાગ્યે 2.7, 7: 13 વાગ્યે 2.9, 7:33 વાગ્યે 2.7 અને 8:34 વાગ્યે 3.2 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ તમામ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉપલેટા આસપાસ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે 8:45 વાગ્યે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો ત્યારબાદ આજે ફરી સવારે ભૂકંપ આવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે.
વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ભય પ્રસરી ગયો છે. એકબાજુ શિયાળાની ઠંડીને બીજી બાજુ વારંવાર ધરા ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો છે. 26 વર્ષ પહેલાં 26 જાન્યુઆરીના રોજ આવેલાં વિનાશક ભૂકંપને આજે પણ લોકો ભૂલી શકયા નથી. ત્યારે શિયાળાની ઋતુને અને ભૂકંપ વચ્ચે કોઈ કનેક્શન હોય તેમ ઠંડી વધતાં જ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગિરના ગામડામાં આ કાલે સાંજે વાળું કરવાનાં સમયે લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. ઉપરાંત ધોરાજી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આજે સાંજે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.