Thursday, Oct 23, 2025

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાને કારણે 60 લોકોના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત

2 Min Read

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા દળ (NDRF) અને અર્ધસૈનિક દળો બચાવ કાર્યમાં લાગેલા છે. અત્યાર સુધીમાં 167 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

કેવી રીતે બની ઘટના

આ ઘટના કિશ્તવાડથી લગભગ 90 કિલોમીટર દૂર આવેલા ચશોટી ગામના મચૈલ માતા મંદિર પાસે બની હતી. આ મંદિર આશરે 9000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે અને ત્યાં સુધી પહોંચવા માટે આઠ કિલોમીટર પગપાળા ચઢાણ કરવું પડે છે. દુર્ઘટના સમયે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં તંબુઓમાં રોકાયા હતા. અચાનક વાદળ ફાટવાથી ભયંકર પૂર આવ્યું અને લોકો કંઈ સમજે તે પહેલાં જ લોકો તણાઈ ગયા.

અધિકારીઓએ જણાવ્યું કે સેનાએ પણ શોધ અને બચાવ અભિયાનને ઝડપી બનાવવા માટે વધારાની ટુકડીઓ તૈનાત કરી છે. નેશનલ રાઈફલ્સના જવાનો પણ આ અભિયાનમાં જોડાયા છે. કુલ 300 જવાનો, જેમાં 60-60 જવાનોની પાંચ ટુકડીઓ, વ્હાઇટ નાઇટ કોરની મેડિકલ ટુકડીઓ સાથે, પોલીસ, SDRF અને અન્ય નાગરિક એજન્સીઓ સાથે મળીને લોકોને બચાવવા અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે અથાક પ્રયાસો કરી રહ્યા છે.

200થી વધુ લોકો હજુ પણ ગુમ

જોકે બચાવ કાર્યમાં કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર સેવાઓમાં અવરોધ આવ્યો છે, જેના કારણે ટીમો ઉધમપુરથી માર્ગ દ્વારા આવી છે. વાદળ ફાટવાને કારણે પુલ અને રસ્તાઓને પણ વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે બચાવકર્મીઓને અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. હજુ પણ હજારો લોકો મચૈલ ગામમાં ફસાયેલા હોવાની માહિતી છે અને ગુમ થયેલા લોકોની શોધ માટે ઓપરેશન શરૂ કરવામાં આવશે. કેટલાક અહેવાલો મુજબ 200થી વધુ લોકો હજુ પણ ગુમ છે.

Share This Article