શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ 2026ના પાવન અવસર પર સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલ 422 વર્ષ જૂના મહાવીર સ્વામી જિનાલયમાં ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરને દેવ વિમાન જેવી આકર્ષક સજાવટથી સજાવવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
મંદિર પરિસરમાં પુષ્પો, ઝગમગતા દીવડા અને ઝવેરાતની આંગી દ્વારા કરવામાં આવેલી શોભા અદભુત લાગી રહી હતી. આ અનોખી સજાવટના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. હજારો શ્રદ્ધાળુઓએ ભાવભીની શ્રદ્ધા સાથે ભગવાન મહાવીરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

આ પ્રસંગે સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયો હતો. મંદિરમાં ધાર્મિક વિધિઓ, પ્રાર્થનાઓ અને પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગોપીપુરાનો આ પ્રાચીન જિનાલય ફરી એકવાર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની ઊભર્યું હતું.