મધ્યપ્રદેશના શિવપુરીમાં આજે એક ભયાનક અકસ્માત થયો. શનિવારે સવારે, સુરવાયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોટા ઝાંસી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 46 પર એક ટ્રાવેલ મીની બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ. આ અકસ્માતમાં 4 મુસાફરોના મોત થયા. જ્યારે 7 થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રાવેલરનો બુકડો વળી ગયો. આ અકસ્માતમાં ગુજરાતી સિંગર હાર્દિક દવેનું ઘટના સ્થળે મોત થયા હતા.
મળતી માહિતી મુજબ, શુક્રવારે સાંજે કાશી વિશ્વનાથ ખાતે આયોજિત શિવ કથા કાર્યક્રમમાં પર્ફોર્મન્સ આપ્યા બાદ ઓરકેસ્ટ્રા ગ્રુપના 20 લોકો પરત ફરી રહ્યા હતા. ઓરકેસ્ટ્રા ગ્રુપના તમામ સભ્યો ગુજરાતના મહેસાણા અને સુરેન્દ્રનગરના રહેવાસી છે. શનિવારે સવારે લગભગ 5:30 વાગ્યે તેમનો ટ્રાવેલર સુરવાયામાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન, ટ્રાવેલર બેકાબુ થઈને ડિવાઇડર પર ચઢી ગયો અને બીજી લેનમાં એક ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો.
સુરવાયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને બહાર કાઢીને જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા. અકસ્માતમાં ગાયક હાર્દિક દવે (40)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ દરમિયાન, રાજા ઠાકુર (28), અંકિત ઠાકુર (22) અને રાજપાલ સોલંકી (60)નું પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા
રાવલ મોહિત, આશિષ વ્યાસ, મોહલિક, નરેન્દ્ર નાયક, ચેતન કુમાર, ઋષિકેશ, વિપુલ, અરવિંદ, અર્જુન, હર્ષદ ગોસ્વામી અને ટ્રાવેલરના ડ્રાઇવરને ઇજા પહોંચી છે. તેમાંથી 7 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. શરૂઆતમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ડ્રાઇવરને ઝોકું આવવાથી આ અકસ્માત થયો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને ઘાયલોની સારવાર ચાલી રહી છે.