અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે અને હાલમાં પણ રસ્તામાં પાણી જોવા મળી રહ્યું છે. તો અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ પડ્યો છે. આ સિવાય સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે.
હાલમાં વરસાદી સ્થિતિને જોતા જૂનાગઢના ૨ અને પોરબંદરનો ૩ સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય ૯૯ પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ કરી દેવાયા છે. તો જૂનાગઢમાં કુલ ૪૪ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. અનેક રસ્તાઓ બંધ કરી દેવાતા લોકો ફરીને જવા મજબૂર બન્યા છે તો સાથે વાહનચાલકોને વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજ્યમાં વરસાદના કારણે અનેક જગ્યાઓ વીજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યના ૮૮ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે ગામલોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લાના ૩૬ ગામોમા વીજ પુરવઠો બંધ છે તો કચ્છના ૨૯. જૂનાગઢના ૧૬ ગામોમાં પુરવઠો બંધ છે. મહુવા તાલુકામાં ૨૮ ગામમાં વીજ પુરવઠો બંધ છે. લખપત તાલુકાના ૨૯ ગામો વીજ પુરવઠો ખોરવાયો હોવાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
વરસાદની આગાહીના પગલે NDRFની ૧૦ ટીમો તૈનાત કરાઇ મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૪૮ કલાક વરસાદ વરસતાં રાજ્યમાં ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો ખડેપગે તૈનાત કરાઇ છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની ૧૦ ટીમો તૈનાત કરાઇ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે ભરૂચ જિલ્લામાં ૩ ટીમો મોકલવામાં આવી છે. તો નર્મદા જિલ્લામાં NDRFની ૨ ટીમો તૈનાત કરવામાં આવી છે. એટલું જ નહીં આવનારા ૨૪ કલાકમાં રાજકોટ, જૂનાગઢ, વડોદરા, અને પંચમહાલમાં પણ ભારે વરસાદની સ્થિતિને લઇ તમામ જિલ્લામાં ૧-૧ ટીમ મોકલવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ ૧ NDRFની ટીમ મોકલાઈ છે.
આ પણ વાંચો :-