આંતરરાષ્ટ્રીય તખ્તા પર ભારે સકારાત્મક ગાજવીજ સાથે અખાતી યુધ્ધના ત્રિપક્ષીય યુધ્ધ વિરામની જાહેરાત થયાના બીજા જ દિવસે જાણે કે યુધ્ધ ચાલુ હોય અને ચાલુ રહેવાનું હોય તેવા સંયોગો સામે આવ્યા છે. જેને ઇરાને સિઝ ફાયરનો ભંગ ગણાવ્યો છે. તેવી ઘટનામાં લેબેનોન પર ઇઝરાયેલના હુમલાએ ભારે તબાહી મચાવતા 254 નિર્દોષ નાગરિકોના મોત થયા છે. અલબત આ અંગે અમેરિકાએ ચોખવટ કરી છે કે યુધ્ધ વિરામની સમજુતીમાં લેબેનોનને કોઇ લેવા-દેવા નથી.
લેબેનોન પરના હુમલાને સમાંતર અમેરિકાએ ઇરાનની 10 માંગણીઓને ફગાવી દેતા ફરી યુધ્ધ લંબાવાની આશંકાના વાદળો નવેસરથી ઘેરાયા છે. જયારે ઇરાને હોર્મુઝ સ્ટ્રેઇટમાંથી પસાર થતા દરેક જહાજ પર પ્રતિ બેરલ એક ડોલરનો ટોલ ટેકસ ફટકારી દીધો છે જે ટેકસ માત્ર બિટકોઇન કરન્સીમાં જ ચુકવવાની શરત જાહેર કરી છે. જો કે આ સ્થિતિને કારણે ટુંક સમયમાં હોર્મુઝમાં ટ્રાફિક હળવો થવાની ધારણા છે.
ઇઝરાયેલે ઓછામાં ઓછી એકસો મિસાઇલો દ્વારા કરેલા લેબેનોન પરના હુમલાથી યુધ્ધ વિરામમાં મોટું ગાબડું પડી ગયું છે. એમ બીબીસીએ તેના સવારના બુલેટીનમાં કહ્યું હતું. જો કે ઇઝરાયેલી વડા નેતન્યાહુએ લેબેનોન સિવાયના યુધ્ધ વિરામનુન એક નિવેદનમાં સમર્થન કર્યું હતું.
ઇરાને આજે સત્તાવાર રીતે જાહેરાત પણ કરી હતી કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તેલના જહાજો પાસેથી દરેક બેરલ પર 1 ડોલર ટેક્સ લેવાની યોજના બનાવી રહ્યું છે અને ચુકવણી ક્રિપ્ટોકરન્સીમાં ઈચ્છે છે. આ સમાચાર ફાઇનાન્સિયલ ટાઇમ્સે સૂત્રોને ટાંકીને આપ્યા છે. ઈરાન આ માર્ગેથી પસાર થતા દરેક જહાજ પર નજર રાખશે અને નિયંત્રિત કરશે. જહાજોએ પહેલા તેમના માલ (કાર્ગો)ની જાણકારી આપવી પડશે, તે પછી જ આગળ વધવાની પરવાનગી મળશે.
ઈરાનના અધિકારી હામિદ હુસૈનીએ જણાવ્યું કે આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી બે અઠવાડિયામાં હથિયારોની અવરજવર ન થઈ શકે. તેમણે કહ્યું કે જહાજોને જવા દેવામાં આવશે, પરંતુ પ્રક્રિયામાં સમય લાગી શકે છે કારણ કે ઈરાનને કોઈ ઉતાવળ નથી. આ યોજના હેઠળ જહાજોએ ઈમેલ દ્વારા તેમના કાર્ગોની માહિતી આપવી પડશે. ત્યારબાદ ઈરાન ટેક્સ નક્કી કરશે, જે દરેક બેરલ પર 1 ડોલર હશે, અને તેને બિટકોઈન જેવી ડિજિટલ કરન્સીમાં ચૂકવવો પડશે.
ઈરાન સાથે યુદ્ધવિરામ અંગે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઘરેલુ મોરચે પણ ટીકાનો સામનો કરી રહ્યા છે. ઈરાન દ્વારા રજૂ કરાયેલા 10-મુદ્દાના પ્રસ્તાવ પર ટ્રમ્પ ટીકાનો સામનો કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસે હવે આ બાબતને સંબોધતા એક નિવેદન બહાર પાડ્યું છે.
એક દિવસ પહેલા જ અમેરિકા તરફથી નીકળતો શાંતિનો સંદેશ તે જ દિવસે સાંજ સુધીમાં ઝાંખો પડવા લાગ્યો. લેબનોન પર ઇઝરાયલી હુમલાઓ બાદ, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને ખોલવા માટે સંમત થયાના થોડા કલાકો પછી તેને બંધ કરવાની જાહેરાત કરી. વધુમાં, તેણે રેતીમાં સ્પષ્ટ રેખા દોરી, જેમાં જણાવ્યું હતું કે અમેરિકાએ નક્કી કરવું પડશે કે તે યુદ્ધવિરામ ઇચ્છે છે કે યુદ્ધ – ઇઝરાયલ દ્વારા. ઇઝરાયલ સાથે સંકળાયેલા આ ગૂંચવણ વચ્ચે, અમેરિકામાં પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટીકા જોર પકડી રહી છે. એક યુએસ સેનેટરે તો રાષ્ટ્રપતિ ટ્રમ્પને માનસિક રીતે અયોગ્ય ગણાવ્યા હતા.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનના પ્રસ્તાવને કચરાપેટીમાં ફેંકી દીધો છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સંમત થયો છે. તેણીએ ઉમેર્યું હતું કે, “અમને ઈરાન તરફથી એક પ્રસ્તાવ મળ્યો છે, જેને વાટાઘાટો માટે એક વ્યવહારુ આધાર તરીકે જોવામાં આવી રહ્યો છે.”
કેરોલિન લેવિટે સમજાવ્યું હતું કે ઈરાને શરૂૂઆતમાં 10-મુદ્દાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જે ગંભીર કે સ્વીકાર્ય નહોતો. તેને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યો હતો; ખરેખર, રાષ્ટ્રપતિ ટ્રમ્પે – તેમની વાટાઘાટ ટીમ સાથે – શાબ્દિક રીતે પ્રસ્તાવને કચરાપેટીમાં ફેંકી દીધો હતો. તેણીએ મીડિયાને વિનંતી કરી હતી કે એવા કોઈપણ દાવાઓનો પ્રચાર ન કરે જેનો તથ્યપૂર્ણ આધાર ન હોય.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ક્યારેય પણ કોઈપણ કરારના આધાર તરીકે ઈરાનની માંગણીઓની યાદી સ્વીકારશે નહીં. તેમણે રાષ્ટ્રને ખાતરી આપી હતી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફક્ત એવા કરારમાં પ્રવેશ કરશે જે અમેરિકન લોકોના હિતોને પૂર્ણ કરે.