લોકસભાની ચૂંટણી પહેલા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટએ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને હવે સાબરકાંઠાથી પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપે સાબરકાંઠાથી જાહેર કરેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ હવે ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સાબરકાંઠાના ભાજપ ઉમેદવારે ચૂંટણી લડવાનો ઈનકાર કરતા ગુજરાતમાં ભાજપને ડબલ ઝટકો લાગ્યો છે.
વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ પછી સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. મહત્વનું છે કે, વહેલા ઉમેદવારો જાહેર કરનારા ભાજપમાં ઉમેદવારો બદલવાનો સિલસિલો યથાવત છે. અહી સૌથી મોટી વાત તો એ છે કે, ગુજરાતના રાજકારણમાં ક્યારય ન બનતી ઘટનાઓ ૨૦૨૪ની ચૂંટણી બની રહી છે. ભાજપે ગુજરાતમાં ૨૨ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે તેમા રંજનબેન ભટ્ટ અને ભીખાજી ઠાકોરને પણ ટિકિટ આપવામાં આવી હતી. આજે સવારે વડોદરાના ઉમેદવારે ચૂંટણી લડવાની ના પાડ્યા બાદ હવે સાબરકાંઠાના ઉમેદવારે પણ ના પાડી છે. આ તરફ હવે બનાસકાંઠાના ઉમેદવારને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે.
ભાજપે પોતાની બીજી યાદીમાં સાત નામોની જાહેરાત કરી હતી, જેમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા. ભાજપે સાબરકાંઠામાં દિપસિંહનુ પત્તુ કાપી ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. જોકે, ભીખાજીના નામની જાહેરાતના થોડા કલાકોમાં જ તેમની અટકને લઇને સમગ્ર મતવિસ્તારમાં વિવાદ ઉભો થયો હતો, સોશ્યલ મીડિયા પર ભીખાજીને ઠાકોરની જગ્યાએ ડામોર અટક હોવાની વાતો ચર્ચાઇ હતી. આ ઉપરાંત સોશ્યલ મીડિયા પર પત્રિકા વૉર શરૂ થયુ હતો, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષને સંબોધીને એક પત્રિકા વાયરલ થઇ હતી.