નવસારી ખાતે જિલ્લા ભાજપનું નવું બનેલું કાર્યાલય નમો કમલમનું ઉદ્ધાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભા સંબોધતા કાર્યકરોને ભાજપના કાર્યાલયમાં દુઃખીયાના દુઃખ દૂર થાય એવા કામ કરવા શીખ આપી હતી.
નવસારીમાં જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીની મુલાકાતે આવ્યા હતા. દેશનું પહેલું આર્ટીફિશિયલ ઈન્ટલિજન્સ આધારિત ભાજપ કાર્યાલય 10 કરોડના ખર્ચે તૈયાર થયું છે. આ કાર્યાલયનું નિરીક્ષણ કરી તેમાં રહેલી વિવિધ સુવિધાઓ જોઈને તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. એ બાદ જાહેર સભાના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જાહેર સંબોધન કર્યું હતું. તેમણે ગુજરાતીમાં સંબોધન કરવા સાથે સૌરાષ્ટ્રવાસીઓના પાન-મસાલા ખાવાની અને થૂકવાની કુટેવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દેશમાં સધાયેલા વિકાસની ગાથાનો ઉલ્લેખ કરવા સાથે અનેક વાતો કરી હતી. તેમણે પીએમ સ્વનિધિ યોજનાએ લારીવાળાઓનું જીવન બદલી નાખ્યું હોવાનું જણાવીને દેશના વિકાસના કામોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
કાર્યકર્તાઓને મળવું એ પોતાને માટે એક અવસર સમાન હોવાનું જણાવીને વડાપ્રધાન મોદીએ ભાજપ કાર્યકરોની નિષ્ઠાને બિરદાવતા કહ્યું હતું કે ભાજપના કાર્યકરો માટે સત્તા, પદ, પ્રતિષ્ઠા એ ફક્ત સેવા જ છે.
એ પહેલાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ સંબોધન કર્યું હતું. તેમણે 7.8 ટકાનો વિકાસ દર પીએમ મોદીના નક્કર નેતૃત્વ અને પ્રગતિશીલ વિકાસનું પરિણામ હોવાનું જણાવ્યું હતું.
નવસારીના સાંસદ સી.આર.પાટીલે નવસારીમાં લારીવાળાઓને 700 સ્ટીલની લારી અને પીએમ સ્વનિધિ યોજનામાં લોન અપાશે એમ જણાવ્યું હતું.
આ પ્રસંગે એક બાળકી જેનિફર પટેલ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલઘેલી ભાષામાં વાતો કરી હતી. તેમણે પૂછ્યું હતું કે શું તું જેન-ઝી છે ? જો કે જેનિફરે તરત ના પાડતાં કહ્યું કે કે હું તો દુર્ગા માતા છું, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકીને કહ્યું કે તો પછી ભારતની રક્ષા કરજો.





