Home Blog Page 344

સુરતની નેશનલ રનર વિધિનું કરુણ મોત

0

સુરત શહેર આજે એક હૃદયદ્રાવક ઘટના સાથે હચમચી ઉઠ્યું. પનાસ વિસ્તારમાં સવારે નેશનલ લેવલ રનર વિધિ સંતોષભાઈ કદમ  ને સુરત મહાનગરપાલિકાની કચરાની ગાડીએ અડફેટે લેતાં ઘટનાસ્થળે જ તેનું કરુણ મોત થયું. વિધિ મોપેડ પર ભટાર જિમ જતી હતી ત્યારે પનાસ કેનાલ રોડ પર પાલિકાની ટેમ્પોએ ટક્કર મારી હતી. માથામાં ગંભીર ઈજા થતાં તેને ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી, પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.

વિધિ મૂળ મહારાષ્ટ્રની હોવા છતાં પનાસ ગામે પરિવાર સાથે રહેતી હતી. પિતા સિલાઈકામ કરે છે અને ભાઈ ફૂડ કોર્ટ ચલાવી પરિવારમાં સહયોગ આપી રહ્યો છે. હાલ તે બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી તથા નેશનલ લેવલની દોડમાં અનેક એવોર્ડ મેળવી ચૂકી હતી. થોડા સમયમાં ભોપાલમાં યોજાનારી નેશનલ ચેમ્પિયનશિપ માટે તે તૈયારી કરી રહી હતી.આ ઘટનાની ગંભીરતા એ છે કે અકસ્માત કરનાર ડ્રાઇવર પાસે પાકું લાઇસન્સ નહોતું. તે માત્ર લર્નિંગ લાઇસન્સ પર જ મનપાનો ટેમ્પો ચલાવી રહ્યો હતો. પોલીસે ડ્રાઇવર ગિરીશ અડડ (22)ને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિધિનું મોત પરિવાર માટે સૌથી મોટો આઘાત છે. એક જ દીકરી ગુમાવનાર માતા–પિતા હાલ શોકમગ્ન છે. પરિવારજનોએ જણાવ્યું કે આવતીકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વિધિએ નાનપણથી જ દોડમાં રસ લઈને અનેક મેડલ મેળવ્યા હતા, પરંતુ એક બેદરકારીના કારણે એક તેજસ્વી ખેલાડીનું ભવિષ્ય અધૂરું રહી ગયું.

 

16 જાપાનીઝ ગવર્નરો સાથે મોદીની મુલાકાત

0

અમેરિકા દ્વારા ભારત પર ભારે ટેરિફ લગાવવાને કારણે બંને દેશોના સંબંધોમાં તણાવ વધ્યો છે. પરંતુ ભારત નમવાને બદલે નવા વિકલ્પો શોધવામાં લાગી ગયું છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાપાન પ્રવાસે આંતરરાષ્ટ્રીય સ્તરે હલચલ મચાવી દીધી છે. ભારત અને જાપાન વચ્ચે થનારી દરેક ડીલ અને સહયોગ પર હવે અમેરિકાની નજર છે.

16 જાપાનીઝ ગવર્નરો સાથે મુલાકાત
ટોક્યોમાં પીએમ મોદીએ જાપાનના 16 પ્રાંતોના ગવર્નરો સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે ભારત અને જાપાન વચ્ચે રાજ્ય-પ્રાંત સહયોગ મિત્રતાનો એક મહત્વપૂર્ણ સ્તંભ છે. આ જ કારણોસર 15મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન દરમિયાન તેના પર એક વિશેષ પહેલ શરૂ કરવામાં આવી હતી. મોદીએ કહ્યું કે વેપાર, નવીનતા, ઉદ્યોગસાહસિકતા, સ્ટાર્ટઅપ્સ, ટેકનોલોજી અને AI જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહયોગની અપાર સંભાવનાઓ છે.

વિદેશ મંત્રાલયનું નિવેદન
ભારતીય વિદેશ મંત્રાલયે માહિતી આપી કે ગવર્નરો સાથેની બેઠકમાં ટેકનોલોજી, રોકાણ, કૌશલ્ય, MSME અને સ્ટાર્ટઅપ્સ જેવા ક્ષેત્રોમાં સહયોગ પર ચર્ચા થઈ. મંત્રાલયે જણાવ્યું કે આ પહેલથી માત્ર આર્થિક પ્રગતિ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક આદાન-પ્રદાન, પર્યટન અને સુરક્ષા સહયોગ પણ મજબૂત થશે.

અમેરિકાની ચિંતા
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને ચાલી રહેલો ઝઘડો હવે રાજકીય તણાવમાં ફેરવાઈ રહ્યો છે. અમેરિકાનું માનવું છે કે ભારત રશિયા સાથેના પોતાના સંબંધોને કારણે નમવા તૈયાર નથી. બીજી તરફ, ભારતનું વલણ સ્પષ્ટ છે કે તે મુશ્કેલીમાં તક શોધીને પોતાના સહયોગીઓ સાથે નવા રસ્તા બનાવશે. જાપાન સાથે વધતી ભાગીદારીએ વોશિંગ્ટનને ચિંતામાં મૂક્યું છે.

જાપાનને મળશે ભારતીય ટેલેન્ટ
પીએમ મોદીએ જાપાનીઝ ગવર્નરોને અપીલ કરી કે તેઓ ભારતના વિવિધ રાજ્યો સાથે મળીને ઉત્પાદન, ગતિશીલતા, માળખાકીય સુવિધાઓ અને નવીનતાના ક્ષેત્રમાં સહયોગ વધારે. તેમણે કહ્યું કે દરેક જાપાની પ્રાંતની પોતાની તકનીકી અને આર્થિક તાકાત છે, જ્યારે ભારતીય રાજ્યો પાસે અદ્વિતીય સંસાધનો અને પ્રતિભા છે. જો તેમને જોડવામાં આવે તો બંને દેશોની પ્રગતિ ઝડપી બનશે.

ભવિષ્યનો રોડમેપ
જાપાનીઝ ગવર્નરોએ પણ ઉપ-રાષ્ટ્રીય સહયોગની પ્રશંસા કરી અને કહ્યું કે તેનાથી દ્વિપક્ષીય વેપાર, શિક્ષણ, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધો આગલા સ્તર પર પહોંચશે. મોદીએ યુવાનો અને કૌશલ્ય વિકાસમાં સંયુક્ત પ્રયાસોની વાત કરતાં કહ્યું કે જાપાની ટેકનોલોજી અને ભારતીય ટેલેન્ટ મળીને દુનિયા માટે એક નવો દાખલો બેસાડશે.

બારડોલીમાં ST બસ પલટી: ડ્રાઈવર ફરાર, મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો

0

સુરતના બારડોલીમાં ST બસે પલટી મારી હોવાની વાત સામે આવી છે, મુસાફરોથી ભરેલી એસટી બસે પલટી મારતા મુસાફરોના જીવ તાળવે ચોટયા હતા અને લોકો બસમાથી બહાર કાચ તોડીને નીકળવા લાગ્યા હતા, રોડની સાઈડ પર જઈને બસે પલટી મારી હતી અને બસના આગળના ભાગને પણ નુકસાન થયું છે.

બારડોલીના નાડીદા ગામ નજીક બસે પલટી મારી
સુરતના બારડોલીમાં એસટી બસને અકસ્માત થયો છે, બસે અચાનક પલટી મારતા મુસાફરોના જીવ અધ્ધર થયા હતા અને બારડોલીના નાડીદા ગામ પાસે આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે, મુસાફરોનો આક્ષેપ છે કે, બસના ડ્રાઈવરે નશો કર્યો હતો અને નશો કરીને બસ ચલાવી રહ્યો હતો. તો ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટયા હતા અને સ્થાનિકોએ મુસાફરોને બસની બહાર કાઢયા હતા, તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

તમામ મુસાફરોને સલામત બહાર કાઢવામાં આવ્યા
એસટી બસે પલટી મારી તો ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો, લોકોએ બહાર નીકળવા માટે કાચ તોડયો અને પાછળના કાચથી લોકો માલસામાન સાથે બહાર નીકળ્યા હતા, તો જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર હેઠળ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે, પોલીસે ફરાર ડ્રાઈવરને શોધવા માટે કવાયત શરૂ કરી છે.

સૌથી લોકપ્રિય મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ : સર્વેમાં ખુલાસો

0

ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથનું નામ હાલમાં દેશના સૌથી લોકપ્રિય મુખ્‍યમંત્રીઓની યાદીમાં ટોચ પર છે. તાજેતરના સર્વેના પરિણામોમાં આ વાત સામે આવી છે. દેશમાં વડાપ્રધાન પદ માટે નરેન્‍દ્ર મોદી હજુ પણ લોકોની પસંદ છે. તે જ સમયે, કેન્‍દ્રમાં ભાજપ સરકાર અંગે લોકોનો અભિપ્રાય પણ સામે આવ્‍યો છે.

સર્વે અનુસાર, 36 ટકા લોકોએ યોગી આદિત્‍યનાથને દેશના સૌથી લોકપ્રિય મુખ્‍યમંત્રી ગણાવ્‍યા છે. તે જ સમયે, આ યાદીમાં બીજું નામ ભાજપના કટ્ટર હરીફ પક્ષના મુખ્‍યમંત્રીનું છે. 13 ટકા લોકોએ ટીએમસીના સ્‍થાપક અને પશ્ચિમ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનર્જીને સૌથી લોકપ્રિય મુખ્‍યમંત્રી માન્‍યા છે. યાદીમાં ત્રીજું નામ આંધ્ર પ્રદેશના મુખ્‍યમંત્રી ચંદ્રાબાબુ નાયડુનું છે, જેમને 7 ટકા લોકોએ સૌથી લોકપ્રિય મુખ્‍યમંત્રી ગણાવ્‍યા છે. ખાસ વાત એ છે કે ભારતભરના વિવિધ રાજ્‍યોના લોકોએ સર્વેમાં ભાગ લીધો હતો.

સર્વેમાં ફક્‍ત રાજ્‍યના લોકોના મંતવ્‍યો લેવામાં આવ્‍યા હતા, પરંતુ આસામના મુખ્‍યમંત્રી હિમંતા બિસ્‍વા શર્માને સૌથી લોકપ્રિય મુખ્‍યમંત્રી જાહેર કરવામાં આવ્‍યા હતા. જો આપણે નાના રાજ્‍યોની વાત કરીએ તો, સિક્કિમના મુખ્‍યમંત્રી પ્રેમ સિંહ તમાંગ 54 ટકા મત સાથે સૌથી લોકપ્રિય મુખ્‍યમંત્રી હતા. અરુણાચલ પ્રદેશના મુખ્‍યમંત્રી પેમા ખાંડુ ૪૨ ટકા મત સાથે બીજા અને ત્રિપુરાના મુખ્‍યમંત્રી 40 ટકા મત સાથે ત્રીજા ક્રમે હતા.

સર્વે મુજબ, વડાપ્રધાન મોદી આજે પણ લોકપ્રિય નેતા છે. સર્વેમાં ભાગ લેનારા ૫૨ ટકા લોકોએ તેમને આગામી વડાપ્રધાન માટે સૌથી યોગ્‍ય ગણાવ્‍યા છે. તે જ સમયે, દેશના 58 ટકા લોકો વડાપ્રધાન તરીકેના તેમના કાર્યને સારું અથવા ખૂબ સારું માને છે. લોકોએ બેરોજગારીને મોદી સરકારની સૌથી મોટી નિષ્‍ફળતા અને રામ મંદિરના નિર્માણને તેની સૌથી મોટી સિદ્ધિ ગણાવી છે.

IRS અધિકારી સમીર વાનખેડેના પ્રમોશન પર મોટો નિર્ણય, દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારની અરજી ફગાવી

0

દિલ્હી હાઈકોર્ટે UPSC દ્વારા યોગ્ય જણાય તો IRS અધિકારી સમીર વાનખેડેને બઢતી આપવાના નિર્દેશ સામે કેન્દ્ર સરકારની અરજી ફગાવી દીધી છે. ન્યાયાધીશ નવીન ચાવલા અને મધુ જૈનની ડિવિઝન બેન્ચે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના આદેશને માન્ય રાખ્યો અને કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં નિર્દેશનું પાલન કરવા જણાવ્યું.

વાંધાજનક આદેશ હેઠળ, CAT એ સરકારને વાનખેડેના પ્રમોશન સંબંધિત માહિતી ધરાવતું સીલબંધ પરબિડીયું ખોલવાનો નિર્દેશ આપ્યો હતો અને કહ્યું હતું કે જો UPSC દ્વારા તેમના નામની ભલામણ કરવામાં આવે છે, તો તેમને 1 જાન્યુઆરી, 2021 થી એડિશનલ કમિશનર પદ પર બઢતી આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે ટ્રિબ્યુનલ એ હકીકતને સમજવામાં નિષ્ફળ ગયું છે કે CBI અને ED દ્વારા વાનખેડે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા હતા અને નોકરી મેળવવા માટે તેમણે બનાવટી જાતિ પ્રમાણપત્ર રજૂ કર્યું હોવાનો આરોપ લગાવતી ફરિયાદ પણ મળી હતી.

હાઈકોર્ટે બીજું શું કહ્યું?
બેન્ચે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT) ના ડિસેમ્બર 2024 ના આદેશને યથાવત રાખતા આ આદેશ આપ્યો હતો, જેમાં સરકારને વાનખેડેના પ્રમોશન સંબંધિત સીલબંધ પરબિડીયું ખોલવાનો અને જો UPSC તેમના નામની ભલામણ કરે તો તેમને 1 જાન્યુઆરી, 2021 થી એડિશનલ કમિશનર પદ પર બઢતી આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. સરકારે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે વાનખેડે સામે નોંધાયેલા કેસોને કારણે તેમનો કેસ સીલબંધ પરબિડીયુંમાં રાખવામાં આવ્યો હતો. જોકે, બેન્ચે કહ્યું હતું કે, “હાલમાં પ્રતિવાદી (વાનખેડે) સામે એવો કોઈ વિભાગીય કેસ પેન્ડિંગ નથી જેમાં તેમની સામે કોઈ ચાર્જશીટ જારી કરવામાં આવી હોય.”

સરકારે CAT ના આદેશને પડકાર્યો હતો
બેન્ચે એમ પણ કહ્યું કે વાનખેડેને ન તો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે ન તો તેમની સામે કોઈ ફોજદારી કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સરકારે CAT ના આદેશને આ આધાર પર પડકાર્યો હતો કે વાનખેડે સામે ગંભીર આરોપો છે જેના આધારે FIR દાખલ કરવામાં આવી હતી અને અગાઉ CVC એ પણ તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવાની સલાહ આપી હતી.

આર્યન ખાનની ધરપકડ બાદ સમીન વાનખેડે ચર્ચામાં આવ્યા હતા
વાનખેડે 2008 બેચના IRS અધિકારી છે. વર્ષ 2021 માં, NCB મુંબઈમાં તેમની પોસ્ટિંગ દરમિયાન, તેઓ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના પરિવાર પાસેથી ક્રુઝ ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપીને 25 કરોડ રૂપિયાની માંગણી કરવાના આરોપોને કારણે ચર્ચામાં આવ્યા હતા.

ઈઝરાયલ-હમાસ વચ્ચે ઘમાસાણ યુદ્ધ, ગાઝામાં 71 પેલેસ્ટિનિયનનાં મોત

0

ગાઝા પટ્ટીના સૌથી મોટા શહેર ગાઝા સિટી પર ઈઝરાયલી લશ્કરી કાર્યવાહી ચાલુ છે. ગુરુવારે (28મી ઓગસ્ટ) રાત્રે ગાઝા પર ઈઝરાયલી બોમ્બમારા દરમિયાન 16 લોકો માર્યા ગયા અને અનેક ઈજાગ્રસ્ત થયા. અત્યાર ગાઝામાં ઈઝરાયલી હુમલાઓમાં કુલ 71 લોકો માર્યા ગયા છે.

ઈઝરાયલની સેનાનું ઓપરેશન ચાલુ રહેશે
અહેવાલો અનુસાર, ગાઝાના દક્ષિણ ભાગમાં ખોરાક લેવા માટે રાહત વિતરણ કેન્દ્ર પર પહોંચેલા લોકો પર પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં ચાર નાગરિકો માર્યા ગયા હતા અને 27 ઈજાગ્રસ્ત થયા હતા. ઈઝરાયલની સેનાનું કહેવું છે કે જ્યાં સુધી હમાસ અને તેના સંલગ્ન સંગઠનોના માળખાનો ખાતમો ન થાય ત્યાં સુધી તેનું ઓપરેશન ચાલુ રહેશે.

ઈઝરાયલનું મોટા પાયે ઓપરેશન શરૂ
ઈઝરાયલે ગાઝા શહેરમાં મોટા પાયે ઓપરેશન શરૂ કર્યું છે. તાજેતરમાં જ સેનાના ટેન્કો શહેરની હદમાં પ્રવેશ્યા અને તોપમારો શરૂ કર્યો અને ખાલી ઘરો તોડી પાડ્યા. ઘણી જગ્યાએ હમાસના લડાકુઓ અને ઈઝરાયલી સૈનિકો વચ્ચે યુદ્ધ થયું હતું. અહેવાલ અનુસાર, ઈઝરાયલના ગિવાટી બ્રિગેડે હમાસના લડાકુઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને તેમના ઘણાં હથિયારના ડેપોનો નાશ કરવામાં આવ્યો છે.

અમરેલી બિટકોઈન કૌભાંડમાં પૂર્વ MLA અને પૂર્વ SP સહિત 14ને આજીવન કેદની સજા

અમરેલી બિટકોઈન કૌભાંડ કેસમાં મોટો નિર્ણય સામે આવ્યો છે. આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા, અમરેલીના પૂર્વ એસપી જગદીશ પટેલ, પૂર્વ પીઆઇ અનંત પટેલ સહિત 14 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં આરોપીઓ ઉપર IPC 364(A), 342, 365, 384, 166, 120B, 506(2), 504, 323, 201, 167, 119, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 7, 13(A)(1), 13(3)(2)(1), (D)(1), 15 હેઠળ ગુનો નોંધાયો છે. સરકાર તરફે આ કેસમાં કુલ 172 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. બચાવ પક્ષે એક સાક્ષી તપાસવામાં આવ્યો હતો. વર્ષ 2018 માં આ કેસમાં ચાર્જશીટ ફાઈલ થઈ હતી.

આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અંતિમ દલીલો ત્રણ મહિના જેટલા સમયથી ચાલી રહી હતી. કેસમાં 72 જેટલા સાક્ષીઓ ફરી ગયા છે. ફરિયાદી શૈલેષ ભટ્ટના વકીલ રાજેશ રૂપારેલિયાએ સરકાર પક્ષના કેસને સમર્થન આપ્યું ન હતું. રાજેશ રૂપારેલિયાની વધારાના સાક્ષી તરીકે જુબાની લેવાઈ હતી.

મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ આ કેસની તપાસ કરી રહ્યું હતુ. આમાં 172 જેટલા જેટલા સાક્ષીઓ તપાસમાં મુકવામાં આવ્યા હતા. આ અંગેની ચાર્જશીટ વર્ષ 2018માં જ ફાઈલ કરી દેવામાં આવી હતી. આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તમામ આરોપીઓને હાજર રહેવાની નોટિસ આપી હતી. જેથી તમામ આરોપીઓ આજે કોર્ટમાં હતા. તેમની સાક્ષીમાં આ તમામ ગુનાઓ સાબિત થયા અને આ ૧૪ આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

આ કેસમાં નલિન કોટડિયાનું નામ બહાર આવ્યા તેઓ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. તે ફરાર હતા તે દરમિયાન CID ક્રાઈમે તેમના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ અને જાહેરનામું બહાર પાડ્યું હતું. જે બાદ. તેમને મહારાષ્ટ્રના ધુલિયા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ, કોર્ટમાં તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. મે 2019માં ગુજરાત હાઇકોર્ટે તેમને અમુક શરતી જામીન આપ્યા હતા.

સંક્ષિપ્તમાં કેસની વિગતો
સુરતમાં બાંધકામની સાથે બિટકોઇનનો વેપાર કરતા શૈલેષ ભટ્ટને ગાંધીનગરની સીબીઆઇ કચેરીથી ફોન આવ્યો હતો. જેમાં બિટકોઇન અંગે ફરિયાદ ન નોંધવાની ધમકી આપી હતી. જે બાદ બિલ્ડરને એક હોટલમાં બોલાવી પાંચ કરોડ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. આ પહેલા એક પેટ્રોલ પંપ પરથી શૈલેષ ભટ્ટનું અપહરણ કરી દેવામાં આવ્યું હતું. ફરિયાદમાં આપેલી માહિતી મુજબ આપહરણકારો શૈલેષ ભટ્ટને ફાર્મમાં લઇ ગયા અને માર માર્યો હતો. જેનો આરોપ અમરેલી એલસીબીના પીઆઈ અનંત પટેલ પર લાગ્યો હતો. તેણે ધમકી આપીને રૂ. 12 કરોડના બિટકોઈન તેના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા, સાથે જ અનંત પેટેલે રૂ. 50 કરોડની માગણી કરી હતી. આંગડિયા પેઢી મારફતે રૂ. 32 કરોડ મગાવાનું કહેતા શૈલેષ ભટ્ટનો છૂટકારો થયો. જે બાદ શૈલેષ ભટ્ટે સમગ્ર મામલે ગૃહખાતામાં લેખિતમાં ફરિયાદ કરી હતી.

આ મુદ્દે શૈલેષ ભટ્ટે અપહરણ કરનાર પોલીસ કર્મચારીઓ અને પૂર્વ MILA નલિન કોટડિયા સામે CID ક્રાઈમ ગાંધીનગરમાં ફરિયાદ દાખલ કરાવી હતી, આ કેસ આટલા સમયથી અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની ACRની વિશેષ અદાલતમાં ચાલી રહ્યો હતો.

નોંધનીય છે કે, આ સમગ્ર ઘટના પહેલાં શૈલેષ ભટ્ટ સામે પણ અપહરણ અને પૈસા પડાવી લેવાનો આરોપ હતો. હકીકતમાં નોટબંધી બાદ સુરતની બીટ કનેક્ટ નામની કંપનીએ લોકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવવાનું શરૂ કર્યું હતું. જેમાં બિલ્ડર શૈલેષ ભટ્ટે પણ પોતાની કમાણીના પૈસા રોકયા હતા. પરંતુ કંપનીને તાળા વાગી જતા તેના બધા પૈસા ડૂબી ગયા હતા. જેના કારણે શૈલેષ ભટ્ટે પોતાના મળતિયાઓને સાથે રાખી બીટ કનેક્ટ કંપનીના કર્મચારી અને હોદ્દેદારોનું અપહરણ કરી તેમની પાસેથી 2000થી વધુ બિટકોઇન 11000થી વધુ લાઇટ કોઇન અને કરોડો રૂપિયા પડાવી લીધા હતા.

ત્યાર બાદ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને આ વાતની જાણ થતા તેમણે શૈલેષ ભટ્ટ પાસેથી મોટી રકમ પડાવી લેવા પ્લાન ઘડ્યો અને અમેરેલીના તત્કાલીન એસપી સાથે સંડોવણી કરી શૈલેશ ભટ્ટનું અપહરણ કરાવ્યું. ત્યારબાદ શૈલેષ ભટ્ટ પાસેથી કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યા. આ અપહરણમાં પીઆઈ અનંત પટેલ અને તેમની ટીમ સરકારી વાહનોનો ઉપયોગ કર્યો હતો. બાદમાં આ મામલે શૈલેષ ભટ્ટે CBIના પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલકુમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આ સમગ્ર કેસ સામે આવ્યો હતો.

ગિરગાવ ચા રાજાને વિશ્વનો સૌથી મોટો 800 કિલોનો મોદક ધરાવવામાં આવ્યો

0

ગણેશોત્સવની શરૂઆત થતાં જ ભક્તો બાપ્પાને ગમતી વસ્તુઓ અર્પણ કરીને તેમને પ્રસન્ન કરવાની તૈયારીમાં લાગી જાય છે. આવું જ કંઈક મુંબઈના ખૂબ જાણીતા ગિરગાવચા રાજાને અર્પણ કરવામાં આવ્યું હતું. ગિરગાવચા રાજા મંડળ દ્વારા ફૉર્ચ્યુન ગ્રુપની મદદથી બાપ્પાને ગણેશ ચતુર્થીના રોજ 800 કિલોનો વિશાળકાય મોદક ધરાવવામાં આવ્યો હતો. આ મોદક પરંપરાગત સામગ્રીનો ઉપયોગ કરીને બનાવાયેલો વિશ્વનો સૌથી મોટો મોદક છે એવી નોંધ વર્લ્ડ રેકૉર્ડ બુક ઑફ ઇન્ડિયાએ લીધી હતી.

ફોર્ચ્યુન બેસન, ફોર્ચ્યુન સુગર, દૂધ અને માવાથી બનેલો, આ વિશાળ મોદક પંડાલનું કેન્દ્રબિંદુ બન્યો અને દેશભરમાં દર 3 ભારતીય ઘરોમાંથી 1 સાથે ફોર્ચ્યુનના ઊંડા જોડાણનું પ્રતીક બન્યો. ગિરગાંવ ચા રાજા ખાતે, ફોર્ચ્યુને 5,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી વ્યાપક બ્રાન્ડિંગનું અમલીકરણ કર્યું, જેનાથી બ્રાન્ડની હાજરી ઉજવણીની ભવ્યતાનો પર્યાય બની ગઈ.

આ પ્રસંગે બોલતા, AWL એગ્રી બિઝનેસ લિમિટેડના સેલ્સ અને માર્કેટિંગના સંયુક્ત પ્રમુખ મુકેશ મિશ્રાએ જણાવ્યું હતું કે: “દરેક ભારતીય તહેવારના હૃદયમાં ખોરાક રહેલો છે, અને ગણેશ ચતુર્થી માટે, મોદક એ સૌથી કિંમતી સ્વાદિષ્ટ વાનગી છે. ફોર્ચ્યુન, દેશના સૌથી મોટા મુખ્ય બ્રાન્ડ તરીકે, હંમેશા દેશભરના રસોડાઓનો ભાગ રહ્યો છે – રોજિંદા ભોજનથી લઈને ઉત્સવની ઉજવણી સુધી. પરંપરાગત ઘટકો સાથે સૌથી મોટો મોદક બનાવીને, અમે અમારા વારસાનું સન્માન કરતી વખતે ગણેશ ચતુર્થીની ઉજવણી મોટા પાયે કરવા માંગતા હતા. અમે એ પણ સમજીએ છીએ કે ભારતમાં દરેક પ્રદેશ તહેવારો પોતાની આગવી રીતે ઉજવે છે – મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીથી લઈને બંગાળમાં દુર્ગા પૂજા સુધી – અને ફોર્ચ્યુનની ભૂમિકા આ ​​પરંપરાઓ સાથે અર્થપૂર્ણ અને અધિકૃત રીતે જોડવાની છે.”

360 -ડિગ્રી ઉત્સવ માર્કેટિંગ ઝુંબેશના ભાગ રૂપે , ફોર્ચ્યુને મુંબઈ, થાણે, નવી મુંબઈ, પુણે, નાસિક અને નાગપુરમાં ૨૫ મુખ્ય પંડાલોમાં બ્રાન્ડિંગ સાથે મજબૂત ઓન-ગ્રાઉન્ડ હાજરી બનાવી છે, જેમાં 166,800 ચોરસ ફૂટથી વધુ બ્રાન્ડિંગ જગ્યા આવરી લેવામાં આવી છે, સાથે જ ૧૩૨ સોસાયટીઓમાં હાઇ-ઇમ્પેક્ટ OOH, માયગેટ એક્ટિવેશન અને 800+ લિફ્ટ્સ, તેમજ લાલબાગ ચા રાજા પંડાલમાં બે LED સ્ક્રીનનો સમાવેશ થાય છે. ડિજિટલ મોરચે, ફોર્ચ્યુને એક ઇન્ટરેક્ટિવ સ્પર્ધા રજૂ કરી હતી જ્યાં વપરાશકર્તાઓએ ત્રણ દિવસમાં મનોરંજક રમતો દ્વારા વર્ચ્યુઅલ ગણેશ મૂર્તિ બનાવી હતી, જેમાં વ્યક્તિગત ઉત્સવની શુભેચ્છાઓ ઓનલાઈન વ્યાપકપણે શેર કરવામાં આવી હતી અને પ્રભાવકો દ્વારા વિસ્તૃત કરવામાં આવી હતી.

1928માં સ્થાપિત, ગિરગાંવ ચા રાજા મુંબઈના સૌથી જૂના અને સૌથી આદરણીય સાર્વજનિક ગણેશ મંડળોમાંનું એક છે, જે તેની પર્યાવરણને અનુકૂળ માટીની મૂર્તિ અને ભવ્યતા કરતાં પરંપરા પર ભાર મૂકવા માટે પ્રખ્યાત છે. આ વર્ષે, રેકોર્ડબ્રેક મોદકના અનાવરણથી ઉત્સાહની નવી લહેર ઉભરી આવી, જે તહેવારો દરમિયાન લોકોને એકસાથે લાવવામાં ખોરાકની કાલાતીત ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે.

આજે પીએમ મોદીએ ટોક્યોમાં ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લીધો

વડાપ્રધાન મોદી જાપાનના 2 દિવસીય પ્રવાસે છે. આજે વડાપ્રધાન મોદીએ ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લીધો. આ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ સૂચક સંબોધન કર્યુ. વડાપ્રધાન મોદીએ જાપાની મેન્યુફેક્ચર્સને ‘મેક ઈન ઈન્ડિયા’ માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે, જાપાન હંમેશા ભારતની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે.

વડાપ્રધાન મોદી જાપાન પ્રવાસ દરમિયાન સૂચક સંબોધન
આજે વડાપ્રધાન મોદીએ ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લીધો. આ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ સૂચક સંબોધન કર્યુ. વડાપ્રધાન મોદીએ જાપાની મેન્યુફેક્ચર્સને ‘મેક ઈન ઈન્ડિયા’ માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારતે વ્યાપાર કરવાની સરળતા પર ખાસ ભાર મૂક્યો છે અને વ્યવસાય માટે સિંગલ ડિજિટલ વિન્ડો મંજૂરીની સિસ્ટમ લાગુ કરી છે. S&P ગ્લોબલે 2 દાયકા બાદ ભારતનું ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કર્યુ છે. ઓટો ક્ષેત્રમાં ભારતની ભાગીદારી ખૂબ જ સફળ રહી છે અને હવે બેટરી, રોબોટિક્સ, સેમિકન્ડક્ટર, શિપ-બિલ્ડિંગ અને પરમાણુ ઊર્જા જેવા ક્ષેત્રોમાં પણ આ જ સફળતાનું પુનરાવર્તન થઈ શકે છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને જાપાન સાથે મળીને ગ્લોબલ સાઉથ, ખાસ કરીને આફ્રિકાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

જાપાન માટે ભારત ગ્લોબલ સાઉથનું સ્પ્રિંગબોર્ડ
ટોક્યોમાં ભારત-જાપાન વાર્ષિક શિખરને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત અને જાપાન વચ્ચેની ભાગીદારી વ્યૂહાત્મક છે. આર્થિક તર્કથી પ્રેરિત થઈને બંને દેશોએ સહિયારા હિતોને સહિયારી સમૃદ્ધિમાં પરિવર્તિત કર્યા છે. ભારત જાપાની વ્યવસાય માટે ગ્લોબલ સાઉથનું સ્પ્રિંગબોર્ડ છે. બંને દેશો સાથે મળીને સ્થિરતા, વિકાસ અને સમૃદ્ધિને દિશા આપશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતે AI, સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, બાયોટેક અને અવકાશ જેવા ક્ષેત્રોમાં સાહસિક અને મહત્વાકાંક્ષી પગલાં લીધાં છે. જાપાનની ટેકનોલોજી અને ભારતની પ્રતિભા મળીને આ સદીની ટેકનોલોજીકલ ક્રાંતિનું નેતૃત્વ કરી શકે છે. બંને દેશોએ સ્વચ્છ ઈંધણ અને ગ્રીન ફ્યુચર પર સંયુક્ત ક્રેડિટ મિકેનિઝમ કરાર પર પણ હસ્તાક્ષર કર્યા છે. જાપાનની શ્રેષ્ઠતા અને ભારતનો સ્કેલ મળીને એક આદર્શ ભાગીદારી બનાવી શકે છે.

ભારતમાં પરિવર્તન પાછળનો અભિગમ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતમાં પરિવર્તન પાછળ આપણો અભિગમ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ છે. સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રો પછી અમે હવે ખાનગી કંપનીઓ માટે પરમાણુ ઊર્જા ક્ષેત્ર ખોલી રહ્યા છીએ. આજે દુનિયા ફક્ત ભારત તરફ જ જોતી જ નથી પરંતુ ભારત પર વિશ્વાસ પણ કરી રહી છે. આજે મેટ્રોથી મેન્યુફેકચરિંગ સુધી, સેમિકન્ડક્ટરથી સ્ટાર્ટઅપ્સ સુધી જાપાન અને ભારત વચ્ચેની ભાગીદારી પરસ્પર વિશ્વાસનું પ્રતીક બની ગઈ છે અને જાપાની કંપનીઓએ ભારતમાં $40 બિલિયનથી વધુનું રોકાણ કર્યુ છે.

પીએમ મોદીના અપમાન મામલે પટનામાં ભાજપનો ઉગ્ર વિરોધ, પોલીસ રફીક ઉર્ફ રાજાની ધરપકડ કરી

0

બિહારના દરભંગામાં કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ની સંયુક્ત રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ થયો હતો. જેને લઈ વિવાદ વકરી રહ્યો છે. ભાજપના કાર્યકર્તા અને નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે 29 ઓગસ્ટ એટલે કે આજે ભાજપના કાર્યકરોએ પટનામાં કોંગ્રેસના કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. આ ઘટનાએ રાજકીય વાતાવરણને ગરમાવ્યું છે

બિહારના દરભંગામાં કોંગ્રેસના મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભાજપના નેતાઓએ મોરચો ખોલી દીધો હતો. આ મામલે દરભંગા તેમજ પટણાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. હવે દરભંગામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

દરભંગાના એસએસપી જગુનાથ રેડ્ડીએ ધરપકડની પુષ્ટિ કરી છે. આ કેસમાં દરભંગાના સિમરી પોલીસ સ્ટેશનમાં કેસ નંબર 243/25 નોંધવામાં આવ્યો હતો. ભાજપના દરભંગા જિલ્લા પ્રમુખે સિમરી પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી હતી. દુર્વ્યવહાર કરનાર વ્યક્તિનું નામ રિઝવી ઉર્ફે રાજા જણાવવામાં આવી રહ્યું છે. તેનું નામ રફીક પણ જણાવવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટનાની ટીકા કરતાં સોશિયલ મીડિયા પર જણાવ્યું કે કોંગ્રેસ અને આરજેડીની આ અભદ્ર ભાષા લોકશાહીને કલંકિત કરે છે. તેમણે રાહુલ ગાંધીની રાજનીતિને નીચા સ્તરની ગણાવી અને કહ્યું કે સામાન્ય પરિવારમાંથી આવતા મોદીને કોંગ્રેસ સહન નથી કરી શકતી.

અમિત શાહે આ ઘટનાને દરેક માતા અને દીકરાનું અપમાન ગણાવ્યું, જેના માટે દેશના 140 કરોડ લોકો કોંગ્રેસને માફ નહીં કરે એવો દાવો કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે ગાંધી પરિવારે મોદી વિરુદ્ધ નફરત ફેલાવવાનું ચાલુ રાખ્યું છે. આ ઘટનાએ બિહારના રાજકીય વાતાવરણને વધુ તંગ બનાવ્યું છે, અને સોશિયલ મીડિયા પર આ વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના રાજકીય સંસ્કૃતિમાં શબ્દોના ઉપયોગ અને મર્યાદા પર નવી ચર્ચા ઉભી કરે છે.