Home Blog Page 310

RBIનો કડક નિયમ: EMI ન ચૂકવતા મોબાઈલ-ટીવી-વોશિંગ મશીન જશે બંધ

0

લોકો ઘણી વાર EMI પર ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ ખરીદી લે છે, પરંતુ લોનના હપ્તા સમયસર ચૂકવતા નથી. જેના કારણે લોન વસૂલીમાં બેંક કર્મચારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) હવે એક નવો અને કડક નિયમ લાવવાની તૈયારીમાં છે. તેનો હેતુ મોબાઈલ, ટીવી, વોશિંગ મશીન જેવા પ્રોડક્ટ્સ માટેની નાની લોનની વસૂલીને સરળ બનાવવાનો છે. આ મુદ્દે RBIએ બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે ચર્ચા પણ કરી છે.

લોનની હાલની સ્થિતિ
ફાઈનાન્સ એક્સપર્ટ આદિલ શેટ્ટીના જણાવ્યા અનુસાર, ફોન, લેપટોપ કે અન્ય ઇલેક્ટ્રોનિક્સ ખરીદવા માટે મળતો લોન સામાન્ય રીતે કોલેટરલ-ફ્રી હોય છે, એટલે કે ગ્રાહકને કોઈ સંપત્તિ ગીરવી રાખવાની જરૂર નથી પડતી. આ લોન પર વ્યાજ દર 14% થી 16% સુધી હોય છે. જો RBI નવી વ્યવસ્થા લાગુ કરે છે, તો આવી લોનને સિક્યોર્ડ લોન (જેમ કે હોમ લોન, ઓટો લોન)ની શ્રેણીમાં લાવવી પડશે. સાથે સાથે બેંકોને વ્યાજ દરમાં પણ ઘટાડો કરવો પડશે.

અમેરિકા સહિત અનેક દેશોમાં આવી વ્યવસ્થા છે કે EMI ન ચૂકવાતાં કાર સ્ટાર્ટ નથી થતી. કેનેડા, આફ્રિકા, કેન્યા અને નાઇજિરિયા સહિત અનેક દેશોમાં આ પદ્ધતિ લાગુ છે.

દેશમાં એક તૃતીયાંશથી વધુ ગ્રાહકો ઇલેક્ટ્રોનિક્સ- ખાસ કરીને મોબાઇલ ફોન EMI પર ખરીદે છે. હાલ દેશમાં 1.16 અબજથી વધુ મોબાઇલ કનેક્શન છે. CRIF હાઇમાર્કના જણાવ્યાનુસાર રૂ. એક લાખથી ઓછી કિંમતના ફોનની લોનમાં ડિફોલ્ટ દર સૌથી વધુ છે.

કેવી રીતે લાગુ થશે નવી વ્યવસ્થા?

  • RBI જે મોડલ પર વિચાર કરી રહી છે તે ખાસ કરીને નાના ઉપભોક્તા લોન (મોબાઈલ, સ્માર્ટ ટીવી, વોશિંગ મશીન, ઇલેક્ટ્રોનિક્સ) પર લાગુ થશે.
  • EMI પર લેવાયેલા પ્રોડક્ટમાં પહેલેથી જ એક એપ અથવા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલું રહેશે.
  • જો ગ્રાહક હપ્તા ન ભરે, તો આ સોફ્ટવેર દ્વારા તે પ્રોડક્ટને દૂરથી જ લોક કરી દેવામાં આવશે.
  • એટલે કે, જો EMI બાકી રહેશે તો તમારો ફોન, ટીવી કે વોશિંગ મશીન બંધ થઈ જશે.

બરેલીમાં શુક્રવારની નમાજ પહેલા કોમી તણાવ: ઈન્ટરનેટ બંધ, કડક પોલીસ બંદોબસ્ત

0

ગત શુક્રવારે થયેલી હિંસા બાદ ઉત્તર પ્રદેશના બરેલીમાં સાંપ્રદાયિક તાણવનો માહોલ છે. ‘આઈ લવ મુહમ્મ’ લખેલા પોસ્ટર સામે પોલીસની કાર્યવાહીના વિરોધ ગત શુક્રવારે વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેના પર પોલીસે બળપ્રયોગ કરતા હિંસક અથડામણો થઇ હતી. હવે આજે ફરી શુક્રવારની નમાજ યોજવાની છે ત્યારે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અહેવાલ મુજબ, બરેલી શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. સુરક્ષા વ્યવસ્થાને પાંચ વિભાગોમાં વહેંચવામાં આવી છે, વિવિધ સ્થળોએ 13 સર્કલ ઓફિસર, 250 ઇન્સ્પેક્ટર અને 2,500 કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, અર્ધલશ્કરી દળો, PAC અને પોલીસના આશરે 8,000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. બરેલી ડિવિઝનના ચાર જિલ્લાઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

ઈન્ટરનેટ સર્વિસ સ્થગિત:
અહેવાલ મુજબ પોલીસ ડ્રોન દ્વાર વિવિધ વિસ્તાર પર દેખરેખ રાખી રહી છે. જીલ્લામાં ઇન્ટરનેટ, બ્રોડબેન્ડ અને SMS સર્વિસ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. 2 ઓક્ટોબરના રોજ બપોરે 3 વાગ્યાથી 4 ઓક્ટોબરના રોજ બપોરે 3 વાગ્યા સુધી હાઈ એલર્ટ લાગુ રહેશે.

શાંતિ જાળવવા અપીલ:
મુસ્લિમ ધાર્મિક નેતાઓએ લોકોને શાંતિપૂર્ણ રીતે નમાજ અદા કરવા અને કોઈપણ પ્રકારનું વિરોધ પ્રદર્શન ન કરવા અપીલ કરી છે. અખિલ ભારતીય મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ લોકોને શાંતિપૂર્ણ નમાઝ માટે અપીલ કરી હતી. તેમણે લોકોને નમાઝ પછી પોતાના ઘર અને દુકાનોમાં પાછા ફરવા અપીલ કરી.

ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનશે જગદીશ પંચાલ

0

ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળવા જઈ રહ્યા છે. જગદીશ પંચાલ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ હશે. તેઓ બપોરે 12.30 કલાકે વિજય મુહૂર્તમાં કમલમમાં જઈને ફોર્મ ભરશે. સૂત્રો મુજબ અમદાવાદ નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના તેમજ પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરશે.

જગદીશ પંચાલ સાથે તેમના 10 ટેકેદારો પણ હાજર રહેશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષની રેસમાં જગદીશ પંચાલ ખાલી એકલા ફોર્મ ભરશે તેવી માહિતી મળી રહી છે. બપોરે 12.30 વાગ્યાની આસપાસ જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર કમલમ ખાતે પહોંચશે. અહીં ઉલ્લેખનિય છે કે ગુજરાત ભાજપમાં હવે અમદાવાદનો દબદબો જોવા મળશે.કેમ કે મુખ્યમંત્રી બાદ હવે પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના હશે.

કોણ છે જગદીશ પંચાલ
જગદીશ પંચાલ 46-નિકોલ મત વિસ્તારના વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમણે એમબીએ ઈન માર્કેટિંગનો અભ્યાસ કરેલો છે. તેઓ ટેક્સટાઈલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે વાંચન અને સ્વિમિંગનો શોખ છે. રાજ્ય સરકાર બદલાયા બાદ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં તેમને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.

જગદીશ પંચાલની રાજકીય સફર
જગદીશ પંચાલ અમદાવાદમાં શરુઆતથી ભાજપનો એક મોટો ચહેરો રહ્યા છે. તેઓ 2021માં નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2017માં પણ તેઓ નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. જગદીશ પંચાલ અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હવાલો સંભાળી ચુક્યા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તેમને વન અને પર્યાવરણ મંત્રીનો રાજ્ય કક્ષાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

અર્જેન્ટિનામાં 5.7 તીવ્રતાનો ભૂકંપ, 571 KM ઊંડાઈને કારણે મોટું નુકસાન ટળ્યું

અર્જેન્ટિનાના સેન્ટિયાગો ડેલ એસ્ટેરો પ્રાંતમાં ગુરુવારે 5.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ ભૂકંપ રાત્રે 21:37 વાગ્યે (UTC) આવ્યો, જેનું કેન્દ્ર ઉત્તર અર્જેન્ટિનાના એલ હોયો શહેરથી 29 કિલોમીટર પશ્ચિમમાં હતું.

ભૂકંપ ધરતીથી 571 કિલોમીટર (354 માઈલ)ની ઊંડાઈમાં હતો. તેનું કેન્દ્ર 27.064S અને 63.523W અક્ષાંશ–દેશાંશ પર નોંધાયું હતું. હાલ સુધી કોઈ પ્રકારના જાનમાલના નુકસાનની માહિતી મળી નથી.

આટલી ઊંડાઈમાં આવતાં ભૂકંપો ધરતીની સપાટી પર વ્યાપક વિનાશ સર્જવાની સંભાવના ઓછી હોય છે, પરંતુ મોટા વિસ્તારમાં તેને અનુભવી શકાય છે. USGS મુજબ આ ભૂકંપ નાઝ્કા પ્લેટ દક્ષિણ અમેરિકન પ્લેટની નીચે ધસતા (Subduction) પ્રક્રિયા સાથે સંકળાયેલો છે. આ વિસ્તાર ઊંડા અને શક્તિશાળી ભૂકંપીય ઘટનાઓ માટે જાણીતો છે. નાઝ્કા પ્લેટની નીચે ધસાવાથી ઉત્પન્ન થતો તાણ ઘણી વાર ધરતીની સપાટીથી સૈંકડો કિલોમીટર નીચે ભૂકંપનું કારણ બને છે.

ઇન્ડોનેશિયાના વેસ્ટ પાપુઆમાં 5.5 તીવ્રતાનો ભૂકંપ
ઇન્ડોનેશિયાના વેસ્ટ પાપુઆ વિસ્તારમાં પણ 5.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનું યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) એ પુષ્ટિ કરી છે. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ કિનારા નજીક હતું અને તેની ઊંડાઈ લગભગ 20 કિલોમીટર હતી. જોકે, જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી.

ઇન્ડોનેશિયાનું આ પ્રાંત “રિંગ ઓફ ફાયર” પર આવેલું છે, જેના કારણે આ વિસ્તારમાં ભૂકંપીય ઘટનાઓ સામાન્ય છે. અહીં ઇન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટની ટેક્ટોનિક પ્રવૃત્તિ સતત સક્રિય રહે છે.

ફિલિપિન્સના સેબૂ કિનારે 6.9 તીવ્રતાનો ભૂકંપ, 72નાં મોત
તાજેતરમાં, દુનિયાના અલગ–અલગ ભાગોમાં ભૂકંપીય પ્રવૃત્તિ જોવા મળી છે. ફિલિપિન્સના સેબૂ કિનારે 30 સપ્ટેમ્બરે 6.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર બોગો સિટી નજીક હતું. આ ભૂકંપ માત્ર 5 કિલોમીટરની ઊંડાઈમાં હોવાથી સપાટી પર ભારે અસર થઈ હતી.

ફિલિપિન્સમાં આ ભૂકંપના કારણે 72 લોકોનાં મોત થયા અને અનેક સો લોકો ઘાયલ થયા. ઘરો, હોસ્પિટલો અને પુલોને નુકસાન પહોંચ્યું. રસ્તાઓ, વીજળી અને અન્ય આધારીક માળખાં પર પણ ભારે અસર પડી.

હાક, ધાક અને શાખથી ગુજરાત ભાજપને અકબંધ રાખનાર સી.આર.પાટિલનો વિકલ્પ મળવો મુશ્કેલ

  • નરેન્દ્ર મોદીની વડાપ્રધાનપદે વરણી બાદ ગુજરાતના પોતીકાઓના અસંતુષ્ટોએ આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારો બદલવાની ફરજ પાડી હતી
  • પરંતુ સી.આર.પા‌િટલની પ્રદેશ પ્રમુખપદે વરણી બાદ પક્ષના પોતીકા તો ઠીક, બહારના અસંતુષ્ટો પણ ભાજપ સરકારને હલાવી શક્યા નહોતા
  • પક્ષમા આંતરિક અસંતોષ ઉપર કાબૂ મેળવવા ઉપરાંત પ્રત્યેક ચૂંટણીઓમાં ભાજપ તરફી ઝળહળતાં પરિણામો મેળવ્યા હતાં અને વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના ઇતિહાસમાં ૧૫૬ બેઠકો મેળવીને નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો
  • ગામડાની ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ કબજે કરવા ઉપરાંત ભાજપની ‘જડ’ વધુ મજબૂત બનાવી ગુજરાતમાં ભાજપની કિલ્લેબંધી કરી દીધી
  • ગ્રામ્ય જીવન અને ખેડૂતો સાથે સંકળાયેલી સહકારી મંડળીઓ, સંસ્થાઓમાં પણ ભાજપનો ભગવો લહેરાવીને સી.આર.પાટિલે પોતાની રાજકીય પીઢતા, મુત્સદ્દીપણું પુરવાર કર્યા હતા

આખરે ગુજરાત ભાજપને નવા પ્રદેશપ્રમુખ આપવાની કવાયત હાથ ધરવામાં આવી છે અને સત્તાવાર ચૂંટણી જાહેર કરવામાં આવી છે. વર્તમાન પ્રદેશપ્રમુખ સી.આર.પા‌ટિલ પાંચ વર્ષ પૂરાં કરીને છઠ્ઠા વર્ષમાં કારભાર સંભાળી રહ્યા છે. વીતેલા પાંચ વર્ષના ગુજરાત ભાજપના લેખાજોખા કરવામાં આવે તો સી.આર.પા‌ટિલે ગુજરાત ભાજપને સક્ષમ નેતૃત્વ પૂરું પાડીને ગુજરાત ભાજપની ‘જડ’ વધુ મજબૂત બનાવવા સાથે સરકાર અને સંગઠન બંનેને વધુને વધુ સુદ્રઢ બનાવ્યા છે. રાજ્ય સરકારને વધુ મજબૂત અને અસરકારક બનાવવા સાથે સરકારમાં ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ ઐતિહાસિક કક્ષાએ લઇ જવામાં સિંહ ફાળો આપ્યો હતો. ગુજરાત સરકારના ભૂતકાળના રેર્કોડો તોડીને ૧૫૬ ધારાસભ્યોનું સંખ્યાબળ લઇ આવવા સાથે ગુજરાતના ગામડાઓની ગ્રામ પંચાયતથી શરૂ કરીને તાલુકા, જિલ્લા પંચાયતો, નગરપાલિકા અને મહાપાલિકાઓમા સાર્વત્રિક ભાજપનું શાસન સ્થાપવામાં કલ્પી શકાય નહીં એવી ભૂમિકા અદા કરવા સાથે લક્ષ્યાંકો પાર પાડ્યા હતા. આનાથી પણ આગળ વધીને ખાસ કરીને ગ્રામ્ય લોકો સાથે સંકળાયેલી સહકારી મંડળીઓમાં પણ ભાજપ પ્રેરિત હોદ્દેદારોની વરણી કરાવવામાં અદ્‍ભુત સફળતા હાંસલ કરી છે.મતલબ ગુજરાતના છેવાડાના ગામડાથી શરૂ કરીને મહાનગરો અને રાજ્ય સરકાર સુધી સાર્વત્રિક ભાજપની વિજયપતાકા લહેરાવીને સમગ્ર ગુજરાતમાં કિલ્લેબંધી કરી દીધી છે. બલ્કે હવે પછી આવનારા ભાજપનો નવો પ્રદેશપ્રમુખ સી.આર.પા‌ટિલ જેટલું સજ્જડ અને સફળ આયોજન કરી શકશે કે તેની સામે ચોક્કસ શંકા વ્યક્ત કરી શકાય. કારણ કે સી.આર.પા‌ટિલે ગુજરાત ભાજપને રાજકીય પાર્ટી હોવા છતાં સેનાની શિસ્તની માફક જાળવી રાખવા સાથે લોકોના ભાજપ પ્રત્યેના વિશ્વાસમાં સતત વધારો કર્યો છે.

કેટલીક વખત પક્ષના કાર્યકરો માટે સી.આર.પા‌ટિલ આકરા પુરવાર થયા હશે પરંતુ સરકાર અને પક્ષનું શાસન સક્ષમ અને લોકાભિમુખ ચલાવવા માટે એક પ્રમુખ હોવાના નાતે આકરા થવું અનિવાર્ય હતું.ઘણી વખત પક્ષના આંતરિક અણબનાવ અને સર્વોપરિ પુરવાર થવાની લહાયમાં ખટરાગ પણ થયા હતા. થોડા સમય પહેલા ભાજપના જ પોતીકા લોકો દ્વારા પત્રિકાકાંડ પણ થયા હતા, પરંતુ પક્ષની આબરૂનું લીલામ કરનાર આવા પત્રિકાકાંડ કરનારાઓને સી.આર.પા‌ટિલે જબરદસ્ત પાઠ ભણાવીને ઠેકાણે પાડી દીધા હતા. આવા અસંતુષ્ટો ફરી કુચેષ્ટા કરવાની હિંમત કરી શક્યા નથી. પ્રારંભે સુરતથી શરૂ કરીને રાજકોટ, અમરેલી, અમદાવાદ અને વડોદરા સહિત અન્ય શહેરોમાં પોતીકાજ અસંતુષ્ટોએ પોતાનુ ધાર્યું કરાવવા પત્રિકાકાંડ ચલાવ્યા હતા. પરંતુ આજે આવા લોકો શોધ્યા પણ મળતા નથી. વળી ભાજપ છોડીને સામે આવવાની પણ હિંમત કરી શકતા નથી. આવા લોકો સમયની રાહ જોઇને બેઠા હતા, પરંતુ સી.આર.પા‌ટિલે એકને પણ તક આપી નહોતી. વળી અસંતુષ્ટો બળવો કરી શકે એવી સ્થિતિમાં પણ નહોતા.

સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગરમાં ઘણા લોકોએ ઉધામા કર્યા, પરંતુ ભૂગર્ભમાં પણ ભાજપને નુકસાન પહોંચાડી શક્યા નહોતા. કોઇ પણ રાજકીય પક્ષ માટે સરકાર બનાવવી એ સૌથી પહેલું લક્ષ્ય હોય છે. સી.આર.પા‌િટલે પક્ષના સુકાની તરીકે આ લક્ષ્ય સાકાર કરવા ઉપરાંત ગુજરાતભરમાં ભાજપની વિચારધારાને એક આંદોલનના રૂપમાં પ્રસ્થાપિત કરી દીધી હતી.પ્રદેશ પ્રમુખપદે બબ્બે ટર્મ પૂરી કરવા ઉપરાંત કેન્દ્ર સરકારમાં સી.આર.પાટિલ કેબિનેટ મંત્રી હોવાથી નવા પ્રદેશપ્રમુખની વરણી અનિવાર્ય હતી, પરંતુ ભાજપની કેન્દ્રીય નેતાગીરી ગુજરાતમાં ભાજપની જડ વધુ મજબૂત બનાવવા ઇચ્છતી હોવાથી સી.આર.પાટિલને બદલવાની ઉતાવળ નહોતી. જોકે નેતાગીરીના મોટાભાગના લક્ષ્યાંકો સિદ્ધ થઇ ચૂક્યા હોવાથી સી.આર.પાટિલની ક્ષમતાનો અન્યત્ર ચોક્કસ ઉપયોગ કરાશે.

સી.આર.પાટિલ કેન્દ્રીય મંત્રી મંડળના કેબિનેટ મંત્રી હોવા ઉપરાંત ગુજરાત પ્રદેશપ્રમુખ તરીકે પણ ફરજ બજાવી રહ્યા હતા. આ ઉપરાંત બિહારમાં ચૂંટણીના સહપ્રભારી તરીકે પણ વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. મતલબ ભાજપની કેન્દ્રીય નેતાગીરી સી.આર.પાટિલના સક્ષમ નેતૃત્વને હવે કદાચ નવી અને મહત્ત્વની જવાબદારી સોંપવા માટે પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરવા ઇચ્છતી હશે. વર્તમાનમાં સી.આર.પાટિલ કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં એકથી દસમાં સ્થાન ધરાવે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત ભરોસાપાત્ર છે.તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરતની મુલાકાત દરમિયાન સી.આર.પાટિલના નિવાસે મુલાકાત લેવા સાથે રાત્રિભોજન પણ કર્યું હતું અને લાંબી ચર્ચાઓ કરી હતી મતલબ અમિત શાહ અને સી.આર.પાટિલ વચ્ચેની આત્મીયતામાં જાદુઇ પરિવર્તન જોવા મળ્યું હતું. અમિત શાહે સુરતના તેમના નિર્ધારિત કાર્યક્રમમાં સી.આર.પાટિલને સાથે રાખ્યા હતા અને ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન વખતે પણ સી.આર.પાટિલના હાથે પણ ભૂમિપૂજન કરાવ્યું હતું. અમિત શાહની સુરતની મુલાકાત અને સી.આર.પાટિલના નિવાસસ્થાને સાથે બેસીને ભોજન લેવાની ઘટના ઘણા રાજકીય વમળો છોડી ગઇ હતી અને એક સકારાત્મક સંદેશો પાઠવ્યો હતો.

સી.આર.પાટિલે કેન્દ્ર સરકારમાં જળશક્તિ મંત્રી તરીકેના ટુંકાગાળામાં જળશક્તિ મંત્રાલયનો લોકોને અહેસાસ કરાવ્યો હતો અને જળસંગ્રહના ક્ષેત્રે જબરજસ્ત પરિવર્તન લાવવા સાથે લોકોને જળશક્તિ મંત્રાલય હોવાની અનુભૂતિ કરાવી હતી.ખેર, ગુજરાતના કેટલાક પ્રદેશોમાં પાછલા કેટલાક સમયથી ભાજપની છાવણીમાં ભૂગર્ભમાં અસંતુષ્ટો પક્ષની છબીને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિ કરી રહ્યા છે. જો આવી પ્રવૃત્તિને ઊગતા જ ડામી દેવામાં નહીં આવે તો લાંબાગાળે પક્ષને નુકસાન પહોંચાડી શકે. સત્તામાં મહત્વનું પદ મેળવવા માટે ઉધામા કરતા પક્ષના અસંતુષ્ટો હવે ખાનગી રહ્યા નથી. પરંતુ આવા અસંતુષ્ટોને કોલરમાંથી પકડીને બેનકાબ કરી શકે એવા સબળ નેતૃત્વની સંગઠન અને સરકાર બન્ને પક્ષે જરૂર છે. કોઇ નબળી વ્યક્તિને પ્રમુખનો તાજ પહેરાવવામાં આવશે તો સી.આર.પાટિલે ધાકથી, હાકથી અને વહેવારથી ટકાવી રાખેલા ભાજપના ગઢના કાંગરાઓને નુકસાન થવાનો પૂરેપૂરો ભય છે. ભૂતકાળમાં કેશુબાપા, કાશીરામ રાણા જેવા દિગ્ગજ નેતાઓ ભાજપને સત્તા સુધી લઇ આવવામાં સફળ રહ્યા હતા. પરંતુ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભાજપનો ઝંઝાવાત ઊભો કરી દીધો હતો. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અમલમાં મૂકેલી એક એક યોજના શાળામાં ભણતા પહેલા ધોરણના બાળકથી શરૂ કરીને કોર્પોરેટ ઉદ્યોગજગત અને ખેતરમાં કામ કરતા ખેડૂત સુધી સ્પર્શી ગઇ હતી. ગુજરાતના લોકો આજે પણ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂલ્યા નથી.નરેન્દ્ર મોદીની ગુજરાતમાંથી વિદાય અને વડાપ્રધાન બન્યા બાદ ગુજરાત ભાજપે અનેક ચઢાવ-ઉતાર જોયા, આંદોલનો પણ જોયા અને સરકારો પણ બદલવી પડી, પરંતુ સી.આર.પાટિલને પ્રદેશ પ્રમુખપદની જવાબદારી સોંપાયા બાદ ગુજરાતને એકપણ ખૂણામાં ભાજપમા કે રાજ્યમાં અસંતુષ્ટોના ઉધામાને કોઇ સ્થાન મળવા દીધું નથી. કારણ અસંતુષ્ટોને ખ્યાલ આવી ગયો કે પક્ષમાં રહેવું હશે તો શિસ્તમાં રહેવું પડશે. સી.આર.પાટિલે ઊભી કરેલી હાક, ધાક અને પક્ષની શાખ જાળવી રાખે એવો સુકાની પસંદ કરવામાં નહીં આવે તો કદાચ ગુજરાત ભાજપમાંથી જ પોતીકા અને બહારના વિદ્રોહીઓને પોતાનું ધાર્યું કરાવવાની તક મળી જશે અને એક વાત ચોક્કસ છે કે ગુજરાત ભાજપમાં ઉપરથી દેખાય છે એટલું ‘અકબંધ’ નથી.

મધ્યપ્રદેશમાં શ્રદ્ધાળુઓનું ટ્રેક્ટર તળાવમાં ખાબક્યું, 13 લોકોના મોત

0

મધ્યપ્રદેશના ખંડવામાં દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન એક મોટો અકસ્માત સર્જાયો હતો. પંઢણા નજીક અર્દલા ગામે કામચલાઉ પુલ પર પાર્ક કરેલી ટ્રેક્ટર-ટ્રોલી અચાનક તળાવમાં પડી જતા 13 લોકોનાં મોત થયા, જેમાં 8 છોકરીઓનો પણ સમાવેશ થાય છે. આશરે 20થી 25 લોકો તળાવમાં ડૂબી ગયાના અહેવાલ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવારે સાંજે લગભગ 5 વાગ્યે આ ઘટના બની હતી. ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં ખાબકતાં મુસાફરો પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ગામલોકો અને બચાવ ટીમ તાત્કાલિક તળાવમાં કુદી પડ્યા. અંદાજે 10-15 લોકોએ પોતાના જીવની પરવા કર્યા વિના ડૂબતા લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો.

બચાવ કામગીરી દરમિયાન JCBનો પણ સહારો લેવાયો હતો. સાંજે 8 વાગ્યા સુધીમાં 13 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શી પ્રદીપ જગધનેએ જણાવ્યું કે જ્યાં ટ્રેક્ટર-ટ્રોલી પડી હતી ત્યાં લગભગ 50 ફૂટ ઊંડું પાણી હતું. “અમે નવ લોકોને બચાવ્યા અને તેમને પંઢણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, બાદમાં તેમને ખંડવા જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા,”

મંત્રી સી.આર. પાટીલ દ્વારા એર સ્મોગ ટાવર અને બેઝિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સુરત શહેરમાં વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા તેમજ નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે અદ્યતન સુવિધાઓ સ્થાપિત કરવામાં પૂર્વ કેન્દ્રીય ટેક્ષટાઈલ અને રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશની ગ્રાન્ટમાંથી ફાળવાયેલ અંદાજિત રૂ.૩૪.૯૯ લાખના ખર્ચે કતારગામ અલ્કાપુરી ખાતે નિર્મિત એર સ્મોગ ટાવરનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે કતારગામ અલ્કાપુરી ખાતે આયોજીત કાર્યક્રમમાં મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોએ રૂ.૧.૨૮ કરોડના ખર્ચે ૪ ટાટા વિન્ગર બેઝિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે, સ્મોગ ટાવર શહેરીજનોને આરોગ્યની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેમજ પ્રદૂષણના દૂષ્પ્રભાવ સામે રક્ષણ આપશે. સુવ્યવસ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તાત્કાલિક આરોગ્યસહાય સુવિધાઓ આજના સમયમાં અત્યંત આવશ્યક બની ગઈ છે.

સુરત શહેરમાં વધતા જતા વાયુ પ્રદૂષણને ધ્યાને લઈને એર સ્મોગ ટાવર ઉભો કરવામાં આવ્યો છે. જે વાયુમાં રહેલા ઝેરી કણોને શોષી લેવાની ક્ષમતા ધરાવે છે, જે શહેરની હવા વધુ શુદ્ધ અને નાગરિકોને શ્વાસ સંબંધિત રોગોથી બચાવવા માટે અતિ ઉપયોગી સાબિત થશે. તેમજ શહેરીજનોને આપાતકાલિન સ્થિતિમાં ઝડપી અને યોગ્ય આરોગ્યસહાય મળી રહે તે અદ્યતન સાધનોથી સુસજ્જ એમ્બ્યુલન્સ લોકાર્પિત કરાઈ હતી.

આ પ્રસંગે મેયર શ્રી દક્ષેશ માવાણી, ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલર, પુર્વે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, સ્થાયી સમિતિના ચેરમેન રાજનભાઈ પટેલ, અગ્રણી પરેશભાઈ પટેલ, મહાનગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

એર સ્મોગ ટાવરનો પરિચય:
આ Air Smog Tower એ ૪.૦ મીટર ઊંચાઇનું અને ૧.૮ મી. X ૧.૮ મી. વિસ્તારનો બેઝ ધરાવતું, સરળતાથી ખસેડી શકાય તેવું હવા શુદ્ધિકરણ કરવાનું ઉપકરણ છે. જે ૫૦ થી ૫૦૦-મીટર ત્રિજ્યામાં હવાની ગુણવત્તા સુધારવા માટે રચાયેલ છે. જે અદ્યતન ફિલ્ટરેશન અને આયનાઇઝર ટેકનોલોજીથી હવામાં રહેલ પ્રદૂષકોને દૂર કરે છે અને ગીચ શહેરી વિસ્તારોમાં હવાની ગુણવત્તામાં સુધારો કરે છે, જે ધુમ્મસની વધતી જતી સમસ્યાઓનો ઉકેલ આપે છે.

એર સ્મોગ ટાવરની વિશેષતા:
આ એર સ્મોગ ટાવર, PM2.5 (2.5 માઇક્રોમીટર વ્યાસ સુધીના હોય તેવા કણો) અને PM10 (10 માઇક્રોમીટર સુધીના હોય તેવા કણો) જેવા હાનિકારક હવામાં રહેલા કણોને અસરકારક રીતે દૂર કરવા માટે અદ્યતન હાઇ-એફિશિયન્સી પાર્ટિક્યુલેટ એર (HEPA) ફિલ્ટરેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.

વધુમાં, આ Air Smog Tower માં ક્લાઉડ ડેટા ઇન્ટિગ્રેશન સાથે Air Quality Index, ભેજ, તાપમાન અને ફિલ્ટર સ્થિતિ સહિતનાં ડેટાઓનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ કરી શકાય છે.

એર સ્મોગ ટાવરની કાર્યપ્રણાલી:
આ એર સ્મોગ ટાવરનો એક વ્યાપક ચાર-તબક્કાની ફિલ્ટરેશન સિસ્ટમનો ઉપયોગ કરીને, ટાવર તેમાંથી પસાર થતી હવાને વ્યવસ્થિત રીતે શુદ્ધ કરે છે, સૂક્ષ્મ ધૂળ, એલર્જન અને અન્ય પ્રદૂષકોને પકડી લે છે.

રાતે સૂવાના પહેલા ગાયનું દૂધ પીવું જોઈએ કે ભેંસનું? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે

દૂધને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. તેનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેથી, તમે ઘણીવાર લોકોને સૂતા પહેલા દૂધ પીતા જોયા હશે. દૂધ જરૂરી પોષણ પૂરું પાડે છે અને શરીરને આરામ આપે છે. એવું કહેવાય છે કે સૂતા પહેલા ગરમ દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે. કેટલાક લોકો સૂતા પહેલા ગાયનું દૂધ પીવે છે, જ્યારે કેટલાક ભેંસનું દૂધ પીવે છે. જોકે, ઘણીવાર પ્રશ્ન એ થાય છે કે સૂતા પહેલા ગાયનું દૂધ પીવું જોઈએ કે ભેંસનું? કયું દૂધ, ગાયનું કે ભેંસનું, સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે? અહીં અમે તમને જણાવીશું કે રાત્રે સૂતા પહેલા ગાયનું દૂધ પીવું જોઈએ કે ભેંસનું. આપણે એ પણ જાણીશું કે આરોગ્ય નિષ્ણાતો તેના વિશે શું કહે છે.

આરોગ્ય નિષ્ણાતો શું કહે છે
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ગાય અને ભેંસ બંનેનું દૂધ પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તેમની વચ્ચે નોંધપાત્ર તફાવત છે. તેઓ કહે છે કે ગાયનું દૂધ હલકું અને પચવામાં સરળ હોય છે. તેમાં ટ્રિપ્ટોફન અને મેલાટોનિન નામના સંયોજનો પણ હોય છે, જે ગાઢ અને શાંત ઊંઘને ​​પ્રોત્સાહન આપે છે. ગાયનું દૂધ ઊંઘની ગુણવત્તામાં સુધારો કરે છે. બીજી તરફ, ભેંસનું દૂધ ઘટ્ટ અને પ્રોટીન અને ચરબીથી ભરપૂર હોય છે, જે ઉર્જા પ્રદાન કરે છે પરંતુ પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે. આનાથી રાત્રે સારી ઊંઘ આવવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી, સૂતા પહેલા ગાયનું દૂધ પીવું જોઈએ.

રાત્રે દૂધ પીતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો
પીવાનો યોગ્ય સમય
સૂવાના સમયે લગભગ 1 થી 2 કલાક પહેલાં દૂધ પીવો, કારણ કે દૂધ ભારે હોય છે અને તેને પચવામાં સમય લાગે છે. સૂવાના સમયે તરત જ તેને પીવાથી પાચનમાં ખલેલ પહોંચી શકે છે, જેના કારણે ઊંઘ ખરાબ થઈ શકે છે અથવા ગેસ/એસિડિટી થઈ શકે છે. ઉપરાંત, રાત્રિભોજન પછી ઓછામાં ઓછા 2 કલાક પછી દૂધ પીવાનો પ્રયાસ કરો.

દૂધનું તાપમાન
હંમેશા ગરમ કે હૂંફાળું દૂધ પીવો. ઠંડુ દૂધ ટાળવું જોઈએ, ખાસ કરીને રાત્રે. ઠંડુ દૂધ પચવામાં મુશ્કેલી પડી શકે છે અને તેનાથી શરદી કે ગળામાં દુખાવો થઈ શકે છે. ગરમ દૂધ પીવાથી શરીરને આરામ મળે છે અને સારી ઊંઘ આવે છે.

ગુજરાત TET: પરીક્ષામાં 30 મિનિટ વધારાથી હજારો ઉમેદવારોને લાભ

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી 12 ઓક્ટોબરે ગુજરાતના વિવિધ શહેરોના કેન્દ્રોમાં સ્પેશ્યલ એજ્યુકેટર્સ માટેની ટેટ-1 અને ટેટ-2 પરીક્ષા લેવામા આવનાર છે.

ટેટ-1માં જે 90 મીનિટનો પરીક્ષા સમય હતો
ટેટ-1માં જે 90 મીનિટનો પરીક્ષા સમય હતો તેમાં વધારો કરીને 120 મિનિટ કરી દેવાયો છે. જ્યારે સામાન્ય શિક્ષકો માટેની ટેટ-1માં પણ હવે 30 મિનિટ વધારવા માટેની દરખાસ્ત છે. જે થોડા સમયમાં મંજૂર થઈ જશે.

ધો.6થી 8ની ટેટ-2 પરીક્ષા આગામી 12 ઓક્ટોબરે લેવામા આવનાર છે
દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેના ખાસ શિક્ષક એટલે કે સ્પેશ્યલ એજ્યુકેટર્સ માટેની ધો.1થી 5ની ટેટ-1 અને ધો.6થી 8ની ટેટ-2 પરીક્ષા આગામી 12 ઓક્ટોબરે લેવામા આવનાર છે. આ બંને પરીક્ષા માટેના જાહેરનામા અગાઉ જાહેર કરી દેવાયા હતા. ત્યારે ટેટ-1 પરીક્ષાના જાહેરનામામાં પરીક્ષાનો સમયગાળો 90 મિનિટ હોવાનો ઉલ્લેખ હતો.

ટેટ-2માં 150 પ્રશ્નો સામે 120 મિનિટઆપવામા આવે છે
પરંતુ ઉમેદવારોએ રજૂઆત કરી હતી કે ટેટ-2માં 150 પ્રશ્નો સામે 120 મિનિટઆપવામા આવે છે. જેથી પરીક્ષા બોર્ડ દ્વારા સરકારની મંજૂરીથી ટેટ-1માં પણ 90 મીનિટથી સમય વધારીને 120 મિનિટ કરી દીધો છે. આમ સ્પેશ્યલ એજ્યુકેટર્સ માટેની ટેટ-1 પરીક્ષામાં 30 મિનિટ સમય વધતા સામાન્ય વિદ્યાર્થીઓના શિક્ષક માટેની ટેટ-1 માં પણ સમય વધારાશે.

નેપાળ બાદ હવે આ દેશમાં પણ સરકાર વિરુદ્ધ હિંસા, વિરોધ પ્રદર્શનમાં 2 લોકોના મોત

નેપાળમાં તાજેતરમાં થયેલા Gen-Z આંદોલન બાદ, બીજા દેશમાં મોટી સંખ્યામાં લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. આવી સ્થિતિમાં, સરકાર માટે વિરોધીઓને મનાવવા એ એક મોટો પડકાર બની ગયો છે. ગુરુવારે, વિરોધીઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું હતું. તેઓએ બેરિકેડ તોડીને આગળ વધતા રહ્યા. આ દરમિયાન, તેમની પોલીસ સાથે અથડામણ થઈ, જે દરમિયાન ઓછામાં ઓછા 2 લોકો માર્યા ગયા. આનાથી વિરોધીઓ વધુ હિંસક બન્યા.

આ વિરોધ 5 દિવસથી ચાલી રહ્યો
લગભગ પાંચ દિવસથી વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. દિવસ-રાત શેરીઓમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે. અનેક સ્થળોએ, વિરોધીઓએ વાહનોને આગ ચાંપી દીધી. જાહેર સેવાઓની સ્થિતિ પર કેન્દ્રિત આ પ્રદર્શનો હિંસક બન્યા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને દક્ષિણના એક શહેરમાં ગોળીબાર કરવાની ફરજ પડી, જેમાં બે લોકોના મોત થયા. મોરોક્કનની રાજધાની રબાતથી લગભગ 500 કિલોમીટર દક્ષિણમાં લેક્લિયામાં આ મૃત્યુ થયા.

પોલીસે તેના પર હથિયારો છીનવી લેવાનો આરોપ લગાવ્યો
મોરોક્કોની રાજ્ય સમાચાર એજન્સી MAP એ સ્થાનિક અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે પોલીસે સ્વ-બચાવમાં બે “મુશ્કેલી સર્જનારાઓ” ને ગોળી મારી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે ગોળીબાર કરાયેલા લોકો પોલીસના હથિયારો છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, કોઈ પ્રત્યક્ષદર્શી આ અહેવાલની પુષ્ટિ કરી શક્યા નથી અને વધુ વિગતો પણ આપવામાં આવી નથી.