Home Blog Page 263

રાજકોટની SNK સ્કૂલના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત

0

નાની ઉંમરમાં હાર્ટ એટેકથી યુવાનોના મોતનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટ શહેરમાં આકાશવાણી ચોકમાં આવેલી SNK સ્કૂલમાં વોલીબોલ રમતી વેળાએ ધોરણ 12 નો વિધાર્થી અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. સારવારમાં ખસેડતાં તબીબે મૃત જાહેર કર્યો હતો. એકના એક લાડકવાયાના દીકરાના મોતથી માતા- પિતા શોકમાં ગરક થઈ ગયા હતા.

આ અંગની વિગતો મુજબ, ક્રિસ્ટલ મોલ પાછળ આવેલી પ્લેટિનિયમ હેરિટેજ નામનો બિલ્ડિંગમાં રહેતો એસ.એન કે સ્કૂલમાં ધોરણ 12 અભ્યાસ કરતો આદિત્ય અલ્કેશભાઈ વાછાણી ( ઉંમર 18) નામનો યુવક રવિવારે સાંજના સમયે સ્કૂલના ગ્રાઉન્ડમાં મિત્રો સાથે વોલીબોલ રમી રહ્યો હતો. દરમિયાન અચાનક જ આદિત્ય બેભાન થઈ જતા સાથી મિત્રોએ સ્કૂલની સામે જ આવેલી શાંતિ હોસ્પિટલમાં ખસેડયો હતો. જો કે અહીં તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે જાણ થતાં પરિવારજનો તેમજ યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પરિવારજનો પાસેથી જાણવા મળ્યા મુજબ, મૃતકના પિતા અલ્કેશભાઈને મેટોડામાં ફેક્ટરી છે. અને આદિત્ય તેમનો એકનો એક દીકરો હતો. આદિત્યને સ્પોર્ટ્સમાં રુચિ હોય જેથી તે જુદી જુદી ગેમ રમતો અને રવિવારે પણ મિત્રો સાથે સ્કૂલના ગ્રાઉન્ડમાં વોલીબોલ રમવા માટે ગયો હતો. તે એકદમ ફીટ હતો અને તેને નખમાં પણ રોગ ન હોવાનું પરિવારે જણાવ્યું હતું. બનાવ અંગે હાલ પોલીસે હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરી હતી જો કે મોતનું સચોટ કારણ તો પી.એમ રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે.

ઉલ્લેખનીય છે કે, મેદસ્વીતા તેમજ આધુનિક લાઇફ સ્ટાઇલમાં ખોરાકમાં લેતા જંક ફૂડથી યુવાનોમાં હાર્ટ એટેક આવાનું એક કારણ હોય શકે પણ સ્પોર્ટ્સમેન તેમજ રોજ શારીરિક કસરત કરતા યુવાનોમાં પણ છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ વધુ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે અંગે સરકારે જરૂરી રિસર્ચ કરાવી લોકોને જાગૃત કરવા એ સમયની માંગ વર્તાય આવે છે.

નકલી IAS બનીને 6 મહિનાથી ફાઈવ-સ્ટાર હોટલમાં રહેતી મહિલા ઝડપાઈ

0

રાજ્યના છત્રપતિ સંભાજીનગરમાં જાલના રોડ પર આવેલી એક ફાઇવ સ્ટાર હોટલમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક મહિલાએ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને લગભગ છ મહિના સુધી શંકાસ્પદ રીતે ત્યાં રહીને સુરક્ષા એજન્સીઓમાં ચિંતા ઉભી કરી છે. ધરપકડ કરાયેલી મહિલાની ઓળખ કલ્પના ત્ર્યંબકરાવ ભાગવત (45) તરીકે થઈ છે, જે પડેગાંવના ચિનાર ગાર્ડનની રહેવાસી છે. પોલીસ તપાસમાં તેના અફઘાનિસ્તાન-પાકિસ્તાન સંબંધો પણ બહાર આવ્યા છે.

મહિલાના ફોનમાંથી સંવેદનશીલ ફોટોગ્રાફ્સ મળ્યા
સિડકો પોલીસના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનમાં રહેતા તેના બોયફ્રેન્ડ અશરફ ખલીલ અને પાકિસ્તાનમાં રહેતા તેના ભાઈ અવેદ ખલીલના ખાતામાંથી મહિલાના બેંક ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. મહિલાના મોબાઇલ ફોનમાંથી બંને વિદેશીઓના પાસપોર્ટ, વિઝા અને ભારત આવવાની અરજી નકલો સહિતના સંવેદનશીલ ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા હતા.

મહિલાનુ આધાર કાર્ડ પણ નકલી
મહિલા છેલ્લા છ મહિનાથી જાલના રોડ પર આવેલી હોટલ એમ્બેસેડરમાં રોકાઈ હતી, અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઉચ્ચ કક્ષાના અધિકારી હોવાનો દાવો કરતી હતી. 22 નવેમ્બરની રાત્રે પોલીસને હોટલમાં એક વરિષ્ઠ અધિકારી શંકાસ્પદ રીતે રોકાયા હોવાની માહિતી મળી હતી. દસ્તાવેજોની તપાસ કરતાં, તેનું આધાર કાર્ડ પણ બનાવટી હોવાનું જાણવા મળ્યું.

પોલીસે તેના રૂમની તપાસ કરી, ત્યારે મહિલાએ શરૂઆતમાં રોફ બતાવીને પૂછપરછથી બચવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની બેગમાંથી UPSC 2017 પસંદગી યાદીની નકલ અને ભારતીય વહીવટી સેવા (IAS) નિમણૂક પત્રની બનાવટી ફોટોકોપી મળી આવી. આ દસ્તાવેજો જોતાં, પોલીસે તાત્કાલિક તેની અટકાયત કરી.

ATS અને IB દ્વારા પૂછપરછ
મહિલા વિરુદ્ધ CIDCO પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી, જ્યાં કોર્ટે તેને 26 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેસની ગંભીરતાને જોતાં, ATS અને IB એ પણ મહિલાની સઘન પૂછપરછ શરૂ કરી છે.

સુરતની જાણીતી ડેરીના માલિકની ધરપકડ, દરરોજ 1 હજાર કિલો ભેળસેળ પનીરની સપ્લાયનો ભંડાફોડ

સુરતની નામાંકિત સુરભી ડેરીના પનીરના નમૂના ફેલ થતાં ડેરી સંચાલક વિરુદ્ધ ગુનાહિત કાર્યવાહી કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાંથી લેવામાં આવેલી પનીરના નમૂનાઓ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં સબ-સ્ટાન્ડર્ડ અને નકલી હોવાનું બહાર આવતા સમગ્ર ડેરી વ્યવસાયમાં હલચલ મચી ગઈ છે. જમણ માટે વખણાતા સુરતમાં હવે લોકો ભાર ખાતા ડરી રહ્યા છે.

754 કિલો પનીર સીઝ કરાયું
SOG પોલીસ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે મળીને સુરભી ડેરીના ગોડાઉનમાં રેડ પાડવામાં આવી હતી. જે દરમિયાન લગભગ 700 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કર્યો હતો. ત્યારબાદ અન્ય સ્થળો પરથી મળીને કુલ 754 કિલો પનીર જપ્ત કરાયું હતું. આ પનીરને હોટલ, રેસ્ટોરન્ટ અને વિવિધ લારીઓમાં સસ્તા ભાવે સપ્લાય કરવામાં આવતું હતું, જે લોકોના આરોગ્ય સાથે મોટા પ્રમાણમાં છેડછાડ હતી. SOG એ લેબોરેટરી રિપોર્ટમાં પનીર સબ-સ્ટાન્ડર્ડ હોવાનું સાબિત થતાં ખટોદરા પોલીસ મથકમાં ડેરી સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. આરોગ્ય સાથે ચેડાં, ભેળસેળયુક્ત અને નકલી પદાર્થ વેચાણ, તેમજ છેતરપીંડીના ગુનાઓ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં
પોલીસે કાર્યવાહી કરતાં ડેરીના સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરી છે. જ્યારે ડેરીના અન્ય માલિક કૌશિક પટેલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે, તેની શોધખોળ ચાલુ છે. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે, સુરભી ડેરી દ્વારા દરરોજ લગભગ એક હજાર કિલો જેટલું પનીર બજારમાં પુરું પાડવામાં આવતું હતું. આમાંનો મોટો હિસ્સો નીચી ગુણવત્તાવાળું અથવા નકલી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કારણે અનેક લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થવાની શક્યતા ઊભી થઈ છે. સુરતમાં નકલી ખાદ્ય સામગ્રીઓ ઝડપવાના બનાવો ઝડપથી સામે આવી રહ્યા છે. જે લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલ ગંભીર મુદ્દો છે.

સદીઓના ઘા હવે ભરાઈ રહ્યા છે: રામ મંદિર ધ્વજારોહણ સમારંભમાં PM મોદીનુ ઉદ્દબોધન

0

ધ્વજારોહણ કરતા પહેલા, PM મોદીએ મોહન ભાગવત સાથે મંદિરના પહેલા માળે રામ દરબારમાં પૂજા અને આરતી કરી. ત્યારબાદ તેમણે રામલલ્લાના દર્શન કર્યા. પીએમ રામલલ્લા માટે વસ્ત્રો લઈને પહોંચ્યા હતા. પીએમએ સાકેત કોલેજથી રામ જન્મભૂમિ સુધીનો 1.5 કિમી લાંબો રોડ શો પણ કર્યો હતો.

આ દરમિયાન સ્કૂલના વિદ્યાર્થીઓએ કાફલા પર ફૂલોનો વરસાદ કર્યો અને વિવિધ સ્થળોએ મહિલાઓએ તેમનું સ્વાગત કર્યું. અગાઉ એવી ચર્ચા હતી કે અમિતાભ બચ્ચન સહિત અનેક સેલિબ્રિટીઓને ધ્વજવંદન સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ કોઈ આવ્યું નહીં.

મંદિર સંકુલમાં ચાર શંકરાચાર્યો સિવાય દેશભરના મઠોના સંતો હાજર હતા. શહેરને 1,000 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. મંદિરમાં 5-લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ATS, NSG, SPG, CRPF અને PAC ના જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા. રામલલ્લાએ આજે ​​સોના અને રેશમના દોરાથી ભરતકામ કરેલા પીતાંબર વસ્ત્ર પહેર્યા હતા.

આજે 500 વર્ષના યજ્ઞની પૂર્ણાહુતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સિયાવર રામચંદ્ર કી જય…’ના ઉદ્ઘોષ સાથે સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું, કે ‘આજે અયોધ્યા નગરી દેશની સાંસ્કૃતિક ચેતનાના વધુ એક ઉત્કર્ષ બિંદુની સાક્ષી બની છે. આજે સંપૂર્ણ ભારત અને અને સંપૂર્ણ વિશ્વ રામમય છે. દરેક રામભક્તના હૃદયમાં આજે અદ્વિતીય સંતોષ અને અપાર અલૌકિક આનંદ છે. સદીઓના ઘા હવે રુઝાઈ રહ્યા છે. સદીઓની વેદનાને આજે વિરામ મળી રહ્યો છે. સદીઓના સંકલ્પ આજે સિદ્ધ થઈ રહ્યા છે. આજે તે યજ્ઞની પૂર્ણાહુતિ છે જેની અગ્નિ 500 વર્ષ સુધી પ્રજ્વલિત રહી.

મોદીએ કહ્યું- સત્યનો વિજય, અસત્યનો નહીં
પીએમ મોદીએ કહ્યું, “ધ્વજ ‘સત્યમેવ જયતે’ના નારાને જગાડશે, જેનો અર્થ છે કે સત્યનો વિજય, અસત્યનો નહીં. આ ધ્વજ એ વાતનું પ્રતીક હશે કે સત્ય બ્રહ્મનું સ્વરૂપ છે.” ધર્મ સત્ય પર આધારિત છે. આ ધ્વજ આપણને આપણને પ્રેરણા આપશે, કે પ્રાણ જાય પણ વચન નહીં. ભારતના કણ-કણમાં રામ છે. દરેક ખૂણે ગુલામીની માનસિકતા ઘર કરી ગઈ છે. નૌકાદળના ધ્વજ પર એવા પ્રતીકો બન્યા હતા, જેનો આપણા વારસા સાથે કોઈ સંબંધ નહોતો. આપણે ગુલામીના પ્રતીકને હટાવ્યું છે. રામ મંદિરના શિખર પર ધર્મધ્વજ ફરકાવતાની સાથે, રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા અને હાથ જોડીને ધ્વજને નમન કર્યું હતું.

2047 સુધી વિકસિત ભારતનું સ્વપ્ન
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા 11 વર્ષમાં મહિલા, દલિત, આદિવાસી, યુવા, ખેડૂતો, શ્રમિક સહિત દરેક વર્ગને વિકાસના કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. દરેક સેક્ટર સશક્ત થશે ત્યારે સંકલ્પની સિદ્ધિમાં સૌ કોઈના પ્રયાસ લાગશે. આપણે 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવું જ પડશે. આપણે આગામી 1 હજાર વર્ષો માટે ભારતનો પાયો મજબૂત કરવો છે. જે માત્ર વર્તમાનનું વિચારે તે આગામી પેઢી સાથે અન્યાય કરે છે. આપણે નહોતા ત્યારે પણ દેશ હતો અને જ્યારે આપણે નહીં હોઈએ ત્યારે પણ દેશ રહેશે.

સીએમ યોગી બોલ્યા- પેઢીઓની પ્રતીક્ષા સાકાર થઈ
સીએમ યોગીએ કહ્યું કે ધ્વજારોહણ યજ્ઞની પૂર્ણાહુતિ નથી, પરંતુ નવા યુગનો શુભારંભ છે. ભાજપ સરકાર બન્યા પછી 2014માં જે સંભાવના, સંકલ્પ અને વિશ્વાસનો સૂર્યોદય થયો હતો, આજે તે જ તપસ્યા અને અગણિત પેઢીઓની પ્રતીક્ષા સાકાર થઈ. શ્રીરામ મંદિર પર ફરકતો કેસરિયો ધ્વજ ધર્મ, મર્યાદા, સત્ય-ન્યાય અને રાષ્ટ્રધર્મનું પણ પ્રતીક છે. સંકલ્પનો કોઈ વિકલ્પ હોતો નથી.

બધાએ 11 વર્ષમાં બદલાતા ભારતને જોયું છે. 500 વર્ષમાં સામ્રાજ્યો બદલાયા, પેઢીઓ બદલાઈ, પરંતુ શ્રદ્ધા અડગ રહી. શ્રદ્ધા ન ઝૂકી, ન અટકી. જન-જનનો વિશ્વાસ અટલ હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા સંગઠનના હાથમાં કમાન આવી ત્યારે દરેક મોઢેથી એક જ ઉદ્ઘોષ નીકળતો હતો- રામલલ્લા અમે આવીશું, મંદિર ત્યાં જ બનાવીશું. લાકડીઓ-ગોળીઓ ખાઈશું, પણ મંદિર ત્યાં જ બનાવીશું.’

સિંગર ઝુબિન ગર્ગનું મોતમાં મોટો ખુલાસો: આસામના CMએ કહ્યું—અકસ્માત નહીં, હત્યા

0

જાણીતા સિંગર ઝુબિન ગર્ગના નિધન મામલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે વિધાનસભામાં ખુલાસો કર્યો છે કે ઝુબિન ગર્ગનું મોત કોઈ અકસ્માતમાં નહોતું થયું. તેમની હત્યા કરવામાં આવી હતી. આટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું છે કે દોષિતોને છોડવામાં આવશે નહીં.

સિંગાપોરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડૂબવાથી મોતનું કારણ
નોંધનીય છે કે શરૂઆતમાં સિંગાપોર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગર્ગનું મોટું એક અકસ્માતમાં થયું છે અને સિંગાપોર દ્વારા આપવામાં આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ડૂબવાના કારણે મોતનું કારણ આપવામાં આવ્યું હતું. જોકે બાદમાં આસામ સરકારે પોતાની રીતે અલગથી તપાસ શરૂ કરી હતી.

મુખ્યમંત્રીનો દાવો: ચારથી પાંચ લોકો વિરુદ્ધ કેસ થશે
આસામના મુખ્યમંત્રીએ હવે વિધાનસભામાં કહ્યું છે કે, ‘અમને આશંકા હતી જ કે આ હત્યાનો કેસ છે. આરોપીઓમાંથી એકે હત્યા કરી અને અન્યોએ તેની મદદ કરી છે. ચારથી પાંચ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે.’

આસામ સરકારે SIT અને ન્યાયિક આયોગની રચના કરી
નોંધનીય છે ઝુબિનનું મોત 19 સપ્ટેમ્બર સિંગાપોરમાં એક ફેસ્ટિવમાં થયું હતું. તેઓ તરવા માટે પાણીમાં ઉતર્યા અને અચાનક ડૂબી ગયા. ત્યારે એવો દાવો કરાયો હતો કે તેમણે લાઈફ જેકેટ નહોતું પહેર્યું. જોકે પરિવાર અને ચાહકોએ આ મોત મામલે સવાલ ઉઠાવ્યા હતા. આ દબાણ બાદ આસામ સરકારે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT) અને એક સદસ્યીય ન્યાયિક આયોગની રચના કરી. ભારત સરકારે પણ સિંગાપોર પાસેથી તપાસમાં મદદ મેળવવા માટે MLAT(મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી) પ્રક્રિયા શરૂ કરી છે.

પોલીસે આ કેસમાં સાત લોકોની ધરપકડ કરી છે
તપાસ દરમિયાન અત્યાર સુધીમાં અનેક મહત્ત્વના ખુલાસા થયા છે. પોલીસે આ કેસમાં સાત લોકોની ધરપકડ કરી છે, જેમાં ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંત, મેનેજર સિદ્ધાર્થ શર્મા, કેટલાક બેન્ડ સભ્યો, ઝુબિનના કઝિન ભાઈ અને તેમના સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. વધુમાં, સુરક્ષાકર્મીઓના બેન્ક ખાતાઓમાં ₹1.1 કરોડથી વધુની શંકાસ્પદ રકમ મળી આવ્યા બાદ હવે નાણાકીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ ગઈ છે.

બીજી ઑટોપ્સી રિપોર્ટમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે ઝુબિનનું મૃત્યુ ઝેરથી નથી થયું, તેમ છતાં મોડેથી મળેલી સારવાર, સંભવિત ષડયંત્ર, વિરોધાભાસી નિવેદનો અને નાણાકીય વ્યવહારોએ આ કેસને વધુ ગૂંચવ્યો છે. જોકે સિંગાપોર પોલીસ હજી પણ આ ઘટનાને અકસ્માત માની રહી છે, પણ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સ્પષ્ટપણે તેને હત્યા ગણાવીને જલદી ચાર્જશીટ દાખલ કરવાની વાત કહી છે.

ACBનો સપાટો: અપ્રમાણસર મિલકત અંગે ભૂતપૂર્વ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની ધરપકડ

નવસારીમાં ACBએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. નવસારીનાં ભૂતપૂર્વ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની ધરપકડ કરવામાં આવી છે. 62.13% અપ્રમાણસર મિલ્કતનો કેસ નોંધાયો. નવસારી ACBએ સંદીપ મધકુર ખોપકર, તત્કાલીન મદદનીશ ભૂતત્વશાસ્ત્રી (હાલ નિવૃત), GIS-2, ખાણ ખનીજ વિભાગની અપ્રમાણસર મિલ્કતનો મોટો ગોટાળો બહાર પાડ્યો. પોલીસ તપાસમાં ખુલ્યું કે 2009 થી 2018 દરમિયાન રૂ. 1,02,46,949 ની અપ્રમાણસર મિલ્કત હોવાનું સામે આવ્યું. કાયદેસર આવકની સરખામણીએ 62.13% વધારે સંપત્તિ. ગેરકાયદેસર રીતે નાણાં મેળવી મિલ્કત તથા વિવિધ રોકાણ કર્યાનો ખુલાસો. પોલીસે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો. સમગ્ર મામલાને લઈ સુરત એસીબીના અધિકારીઓએ વધુ તપાસ શરૂ કરી છે.

ACBની તપાસમાં અનેક રોકાણના રાજ ખુલ્યાં
વર્ષ 2021માં તેઓ નિવૃત્ત થયા હતા, જ્યારે તેઓ ફરજ પર હતા ત્યારે અપ્રમાણસર મિલકત અંગે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારથી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, તેઓએ મકાન, LIC, પીપીએફ (PPF) એકાઉન્ટ અને પર્સનલ બેંક એકાઉન્ટ પરથી અલગ-અલગ જગ્યાએ રોકાણ કર્યું હતું.

આરોપીની કમાણીથી મિલકત 62.13 ટકા વધુ
એસીબી સુરતના આસિસ્ટન્ટ ડાયરેકટર આર. આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, આ મિલકત તેમની કાયદેસરની કુલ આવક કરતાં 62.13% જેટલી વધુ છે, જેની રકમ 1,02,46,949 થાય છે. સરકાર તરફથી બી.ડી. રાઠવા, પોલીસ ઇન્સ્પેક્ટર, નવસારી ACB પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે નવસારી ACB પોલીસ સ્ટેશનમાં મુજબ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 13(1)ઇ ગુનો નોંધાયો છે. ACB દ્વારા આક્ષેપિત સંદિપ મધુકર ખોપકરની 24 નવેમ્બરનાના રોજ ધરપકડ કરવામાં આવી છે.

રાજ્યમાં 100 કલાકમાં રાષ્ટ્ર વિરોધી ગુનામાં સામેલ 31,840 આરોપીઓનું વેરીફિકેશન

ગુજરાત પોલીસે ૧૦૦ કલાકની અંદર રાષ્ટ્રવિરોધી કેસોમાં આરોપીઓની ચકાસણી પૂર્ણ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લા ૩૦ વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓની ઓળખ અને ચકાસણી કરવામાં આવી હતી. દિલ્હી બોમ્બ ધડાકા પછી ગુજરાત પોલીસે આ પહેલ શરૂ કરી હતી.

રાજ્ય પોલીસના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ, ટાડા, એનડીપીએસ, શસ્ત્રો અને વિસ્ફોટકો અધિનિયમ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના ૩૦ વર્ષના ડેટાબેઝની તપાસ કરવામાં આવી હતી, અને તેમની વર્તમાન પ્રવૃત્તિઓ અને રોજગાર વિગતો ચકાસવામાં આવી હતી.

તપાસ દરમિયાન, પોલીસે શોધી કાઢ્યું હતું કે ૩૧,૮૩૪ આરોપીઓમાંથી ૩,૭૪૪ લોકોએ તેમના સરનામાં બદલ્યા હતા. તેથી, આ નવા સરનામાંના આધારે ચકાસણી કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં, ૪,૫૦૬ આરોપીઓ ગુજરાત બહારના છે.

ડીજીપીએ જણાવ્યું હતું કે બીજા તબક્કામાં, રાજ્યની બહારના આરોપીઓની ચકાસણી માટે એક ખાસ SOP વિકસાવવામાં આવશે, અને તેમના ડોઝિયર તૈયાર કરવામાં આવશે, અને સઘન કાર્યવાહી કરવામાં આવશે.

સુરક્ષા વધારવા માટે લેવાયેલા પગલાં
ગુજરાત ATS દ્વારા રાષ્ટ્ર વિરોધી તત્વોને હથિયારો અને ઘાતક હથિયારો સાથે પકડવાની દુ:ખદ ઘટના અને ત્યારબાદ દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટોને ગંભીરતાથી લેતા, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે તાત્કાલિક એક એક્શન પ્લાન બનાવ્યો હતો. તેમણે રાજ્યમાં સતર્કતા વધારવાની યોજના બનાવી અને જરૂરી આદેશો જારી કર્યા છે.

રાજ્યની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે, વિકાસ સહાયે 17 નવેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને તમામ શહેરો અને જિલ્લાઓના પોલીસ વડાઓને નિર્દેશ આપ્યો હતો કે તેઓ છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ માટે ધરપકડ કરાયેલા આરોપીઓની સઘન ચકાસણી અને દસ્તાવેજોની તૈયારી આગામી 100 કલાકમાં પૂર્ણ કરે.

પોલીસ આ આરોપીઓના ઘરે પહોંચી
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની સૂચના મુજબ, રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોએ આ પરિણામલક્ષી કાર્ય સમયસર પૂર્ણ કર્યું છે. ગુજરાત પોલીસે છેલ્લા 30 વર્ષના ડેટાબેઝની તપાસ કરી છે અને કુલ 31,834 આરોપીઓની ઘરે ઘરે તપાસ હાથ ધરી છે.

આ ચકાસણી પ્રક્રિયામાં મુખ્યત્વે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA), આતંકવાદી વિક્ષેપકારક પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (TADA), NDPS અધિનિયમ, શસ્ત્ર અધિનિયમ, વિસ્ફોટક અધિનિયમ અને નકલી ભારતીય ચલણ જેવા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સંબંધિત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો સમાવેશ થતો હતો.

2326 આરોપીઓના મૃત્યુ
પોલીસે આ આરોપીઓની તેમની વર્તમાન પ્રવૃત્તિઓ અને રોજગાર વિગતો વિશે પૂછપરછ કરી. વિકાસ સહાયે જણાવ્યું હતું કે કુલ 31,834 આરોપીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 11,880, અથવા આશરે 37 ટકા, ઓળખાઈ ગયા હતા.

આ બધા આરોપીઓના દસ્તાવેજો પૂર્ણ થઈ ગયા છે. વધુમાં, 2,326 આરોપીઓ હવે જીવિત નથી. 3,744 આરોપીઓએ તેમના સરનામાં બદલ્યા છે; ચકાસણી તેમના નવા સરનામાં પર કરવામાં આવશે. 4,506 આરોપીઓ ગુજરાત બહારના છે.

ગુજરાત પોલીસ બીજો તબક્કો શરૂ કરશે
ગુજરાત પોલીસે ચકાસણીનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. વિકાસ સહાયે જણાવ્યું હતું કે બીજા તબક્કામાં, રાજ્ય બહારના આરોપીઓની તપાસ કરવા અને તેમના દસ્તાવેજો તૈયાર કરવા માટે ખાસ SOP સ્થાપિત કરીને સઘન કાર્યવાહી કરવામાં આવશે, જેથી રાષ્ટ્રવિરોધી તત્વોને કાયમી ધોરણે મજબૂત નિયંત્રણમાં રાખી શકાય.

અલવિદા ધર્મેન્દ્રઃ પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી, અજય, કાજોલ સહિતની સેલિબ્રિટીઝે વ્યક્ત કર્યું દુઃખ

0

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર હવે આ દુનિયામાં નથી રહ્યા. અનેક સેલિબ્રિટીઝે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે. ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર, 1935ના રોજ પંજાબમાં થયો હતો. 65 વર્ષના ફિલ્મી કરિયરમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને હિન્દી સિનેમા જગતમાં અનેક હિટ ફિલ્મો આપી હતી. તેમણે 1960માં દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આઈ મિલન કી બેલા, ફૂલ ઔર પથ્થર, આએ દિન બહાર કે જેવી ફિલ્મથી તેમને રાતોરાત લોકચાહના મળી હતી. શોલે અને યમલા પગલા દિવાના તેમની સૌથી પોપ્યુલર ફિલ્મો રહી હતી. આજે પણ લોકો તે ફિલ્મ જોવાનું પસંદ કરે છે. હવે તેઓ ખૂબ જલ્દી અગસ્ત્ય નંદાની ફિલ્મ ઈક્કીસમાં જોવા મળશે, જે 25 ડિસેમ્બરે રીલીઝ થશે. આ ફિલ્મ હવે તેમની અંતિમ ફિલ્મ બની રહેશે. ફિલ્મનું ટ્રેલર પણ રીલીઝ થઈ ગયું છે

વડાપ્રધાને કહ્યું, ધરમજી લાખો લોકોના હ્રદયમાં વસતા હતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી Prime Minister paid tribute છે. તેમણે લખ્યું છે કે ધર્મેન્દ્રજીના નિધનથી ભારતીય સિનેમામાં એક યુગનો અંત આવ્યો છે. તેઓ માત્ર એક મહાન અભિનેતા જ નહોતા, પરંતુ એક એવું વ્યક્તિત્વ હતા, જે તેમણે ભજવેલી દરેક ભૂમિકામાં સરળતા, ઊંડાણ અને અજોડ આકર્ષણ લાવતા હતા. અલગ અલગ પાત્રોને દિલથી ભજવવાની તેમની ખાસિયતના કારણે જ તેઓ લાખો લોકોના હૃદયમાં વસતા હતા. તેમની નમ્રતા, સૌમ્ય સ્વભાવ અને માનવતાએ તેમને સ્ક્રીનની બહાર પણ એટલા જ પ્રિય બનાવ્યા હતા. આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.

અજય દેવગણે કહ્યું, ધરમજીના સમાચારે દિલ તોડી દીધું
અજય દેવગણે અભિનેતા ધર્મેન્દ્રને આંસુભરી આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું છે કે ધરમજીના નિધનના સમાચારે દિલ તોડી દીધું છે. તેમની હૂંફ, ઉદારતા અને હાજરીએ કલાકારોની પેઢીઓને રસ્તો બતાવ્યો છે. ઈન્ડસ્ટ્રીએ એક દિગ્ગજ ગુમાવ્યો છે અને આપણે એ વ્યક્તિને ગુમાવ્યો છે જેણે સિનેમાની આત્માને આકાર આપ્યો હતો. ધરમજી, શાંતિથી વિશ્રામ કરજો. ઓમ શાંતિ.

ધર્મેન્દ્રના નિધનના સમાચાર સાંભળીને કાજોલ દુઃખી થઈ
કાજોલનું દિલ તૂટી ગઈ છે. સ્વર્ગસ્થ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપતાં તેણે લખ્યું છે કે એક સારા વ્યક્તિનો સાચો અર્થ દર્શાવનાર બીજો સ્ટાર ચાલ્યો ગયો છે અને દુનિયા થોડી ગરીબ બની ગઈ છે. એવું લાગે છે કે ફક્ત સારા લોકોને જ આપણી પાસેથી છીનવી લેવામાં આવી રહ્યા છે. ધરમજી હૃદયના શુદ્ધ હતા, બધાને હંમેશા પ્રેમ આપનારા હતા. ધરમજી તમારી ખોટ હંમેશા રહેશે. તમારા આત્માને શાંતિ મળે… હંમેશા ઘણો પ્રેમ.

મધુર ભંડારકરે કહ્યું, ભારતીય સિનેમામાં તેમનો વારસો હંમેશા યાદ રહેશે
મધુર ભંડારકરે અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું છે કે સુપ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્રજીના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે. તેઓ ભારતીય સિનેમાના સાચા હી-મેન હતા. મને તેમને ઘણી વખત મળવાનું સૌભાગ્ય મળ્યું અને દરેક વખતે તેઓ ખૂબ જ જીવંત અને આનંદથી ભરેલા હતા. તેમનું અવિશ્વસનીય યોગદાન એક યુગનો અંત દર્શાવે છે. ભારતીય સિનેમામાં તેમનો વારસો હંમેશા યાદ રહેશે. ઓમ શાંતિ.

જુનિયર એનટીઆરે કહ્યું, તેમણે જાતે એક યુગ બનાવ્યો હતો
જુનિયર એનટીઆરે લખ્યું છે, ધર્મેન્દ્રજીના નિધનના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. તેમણે જે યુગ બનાવ્યો તે ક્યારેય બદલી શકાશે નહીં. તેમણે ભારતીય સિનેમામાં જે હૂંફ અને પોતાનાપણું ઉમેર્યું તે હંમેશા આપણી સાથે રહેશે. મારી સંવેદના અને પ્રાર્થના સમગ્ર પરિવાર સાથે છે.

નૂતન મેડિકલ કોલેજમાં થયેલી રેગિંગની ઘટના બાદ 7 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા

વિસનગરની નૂતન મેડિકલ કોલેજમાં બનેલા રેગિંગના ગંભીર બનાવ અંગે તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં સાત વિદ્યાર્થીઓ અને બીજા વર્ષના અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હેરાન કરી માનસિક ત્રાસ આપતા હતા. જેની ફરિયાદ થતાં તાત્કાલિક ધોરણે તપાસ કરીને આ ઘટનામાં સામેલ ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓને ૨ વર્ષ માટે તેમજ બીજા વર્ષના અન્ય વિદ્યાર્થીઓને છ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તબીબી શિક્ષણ મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ કોલેજના હોસ્ટેલ ડીનને રેગિંગની ફરિયાદ મળતા તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરવામાં આવ્યા હતા. જેમાં ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓ અને અન્ય બીજા વર્ષના વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થી સાથે અસામાજિક અને અનૈતિક વર્તન કર્યું હતું. જેથી તમામ કસૂરવાર વિદ્યાર્થીઓને બે વર્ષ માટે અને બાકીના વિદ્યાર્થીઓને છ મહિના માટે સસ્પેન્ડ કરી પોતાનું વર્તન સુધારવાની કડક શબ્દોમાં તાકીદ કરવામાં આવી છે.

તબીબી શિક્ષણ મંત્રી પાનશેરિયાએ વિદ્યાર્થીઓને વિનંતી કરતાં કહ્યું હતું કે, તમે તમારા માતા-પિતાના સ્વપ્નને સાકાર કરવા માટે અભ્યાસ કરવા આવો છો, ત્યારે તમારા દ્વારા કોઇને પણ હેરાનગતિ કે દુઃખ પહોંચાડવું જોઇએ નહીં. તમારા દ્વારા કોઇને ત્રાસ આપવામાં આવે તે યોગ્ય નથી. તમને એક સન્માનિત ડોક્ટર બનવા જઇ રહ્યા છો ત્યારે માનવતા પણ તમારામાં હોવી જોઇએ તો જ તમે સાચી સેવા કરી શક્શો.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, અન્ય કોલેજોની અંદર પણ આવો બનાવ ન બનવો જોઈએ. જો રાજ્ય સરકારને એક પણ નાની એવી ફરિયાદ મળશે તો ચોક્કસ તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે જેની તમારી કારકિર્દી પર પણ અસર થશે. મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અન્ય વિદ્યાર્થીઓને ત્રાસ આપવાથી ઘણીવાર તો વિદ્યાર્થી આત્મહત્યા સુધીનું પગલું ભરે છે. ૧૮ થી ૨૦ વર્ષના કુમણા યુવાનોમાં વધારે વિચાર કે વધારે સહન શક્તિ હોતી નથી માટે કોઈનો લાડક વાયો છીનવાય અને તમારી કારકિર્દી પૂર્ણ ન થાય તે બાબતે તમામ વિદ્યાર્થીઓને ખૂબ કાળજી રાખવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

કચ્છના ભુજમાં ધારાસભ્ય મેવાણી વિરુદ્ધ પોલીસ પરિવારની રેલી, રાજીનામાની માંગ તેજ

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોલીસ મથકે ઉશ્કેરણીજનક નિવેદન આપવાના મામલે આજે પાટણમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. મેવાણીએ જાહેરમાં પોલીસના પટ્ટા ઉતરાવવાની ચીમકી આપી હોવાના આક્ષેપ સાથે પોલીસ પરિવારે સખત નારાજગી વ્યક્ત કરી છે. આ નિવેદનના વિરોધમાં આજે પોલીસ પરિવારના સભ્યો દ્વારા પાટણમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો બેનરો સાથે રેલીમાં જોડાયા હતા અને જીગ્નેશ મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બે દિવસ અગાઉ થરાદ ખાતે ‘જન આક્રોશ યાત્રા’ દરમિયાન પોલીસ સામે કરેલા આકરા નિવેદનો અને ‘પટ્ટા ઉતારી દેશું’ની ચીમકીને પગલે બનાસકાંઠામાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. પોલીસ પરિવારની સાથે હવે સ્થાનિક જનતા પણ મેવાણી વિરુદ્ધ મેદાનમાં આવી છે.

પાલનપુરમાં પોલીસ પરિવાર એકત્રિત
પાલનપુર ખાતે પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા. તેમણે આ ‘વાણી વિલાસ’ બદલ રોષ વ્યક્ત કર્યો હતો. ‘ગુજરાત પોલીસ જિંદાબાદ’ અને ‘જીગ્નેશ મેવાણી હાય હાય’ના નારા લગાવવામાં આવ્યા હતા. કલેક્ટર કચેરીના ગાર્ડનમાં એકત્રિત થઈને આ પરિવારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

થરાદમાં સ્થાનિક જનતાનો મોરચો
વાવ-થરાદ વિસ્તારની સ્થાનિક જનતા પણ પોલીસના સમર્થનમાં આવી હતી. મેવાણીના આક્ષેપો બાદ સ્થાનિક લોકોએ તેમની સામે મોરચો માંડ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો પોલીસના સમર્થનમાં જોડાયા હતા. સ્થાનિક મહિલાઓએ હાથમાં બેનરો સાથે જિલ્લા એસપી કચેરીથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી અને આવેદનપત્ર સુપરત કર્યું. રેલીમાં ‘જીગ્નેશ મેવાણી હાય હાય’ના નારા લગાવવામાં આવ્યા હતા.

ભુજ ખાતે વિશાળ રેલી
જીગ્નેશ મેવાણીએ પોલીસકર્મીઓને “પટ્ટા ઊતરી જશે” તેવું નિવેદન આપ્યું હતું, જે પોલીસકર્મીઓ અને તેમના પરિવાર માટે અપમાનજનક હોવાનો આક્ષેપ છે. પોલીસ પરિવારનું કહેવું છે કે, ધારાસભ્ય મેવાણી અવારનવાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ખરાબ ભાષાનો પ્રયોગ કરીને અને “પટ્ટા-ટોપી ઊતરી જશે” તેવી ધમકીઓ આપીને પોલીસ દળનું અપમાન કરી રહ્યા છે અને તેમનું મનોબળ તોડી રહ્યા છે.

પોલીસ પરિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓ રાત-દિવસ જોયા વગર પ્રજાના જાનમાલની રક્ષા કરે છે અને ખડે પગે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે, ત્યારે ધારાસભ્યનું આ નિવેદન અસહ્ય છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જાહેરમાં પોલીસકર્મીઓની માફી માંગે અને તાત્કાલિક પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપે. આ માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.