Home Blog Page 254

કચ્છના ખાવડામાં રાત 12:49 વાગ્યે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

0

કચ્છ જિલ્લામાં આજે બપોરે ફરી એકવાર ભૂકંપનો ધ્રુજારો અનુભવાયો હતો. ખાવડા વિસ્તારમાં બરાબર 12:49 વાગ્યે 3.3 તીવ્રતાનો આંચકો નોંધાયો, જેના કારણે સ્થાનિકોમાં થોડો ભયનો માહોલ સર્જાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી આશરે 44 કિલોમીટર ઉત્તર-પશ્ચિમ દિશામાં નોંધાયું હોવાનું સીસ્મોલોજી વિભાગે માહિતી આપી છે.

આ આંચકો નાનો હોવા છતાં ખાવડા તેમજ આસપાસના ગામોમાં લોકો ઘેરા અવાજ સાથે ધરતી ધ્રૂજતા બહાર નીકળી આવ્યા હતા. હાલ સુધી કોઈ જાનહાની કે નુકસાનની માહિતી સામે આવી નથી. કચ્છ જેવા ભૂકંપપ્રવણ વિસ્તારમાં આવા ઝટકા સમયાંતરે અનુભવાતા રહે છે, પરંતુ આજે પડેલો આંચકો લોકોને 2001ના ભૂકંપની યાદ તાજી કરાવી ગયો.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય

ગુજરાત ATSએ પાકિસ્તાન સાથે સંપર્કમાં રહેલા મહિલા સહી બે લોકોને ઝડપ્યા

0

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને મોટી સફળતા મળી છે. દેશની સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાની જાસૂસોને પૂરી પાડતા 2 લોકોની ધરપકડ કરીને જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા બે જાસૂસોમાંથી એક મહિલા અને એક પૂર્વ આર્મી જવાનનો સમાવેશ થાય છે.

ગુજરાત ATSએ ગોવા અને દમણથી જાસૂસી કરતા 2 આરોપીની ધરપકડ કરી છે. ATSએ ગોવાથી રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલાની ધરપકડ કરી છે, જ્યારે દમણમાંથી એ.કે સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. બંને આરોપીઓ જાસૂસી કરતા હતા. આરોપીઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરીને માહિતી ભેગી કરતા હતા. હાલ બંને ધરપકડ કરવામાં આવી છે. ATS દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ પાકિસ્તાનની જાસૂસી સંસ્થાઓના સંપર્કમાં હતા અને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. પૂર્વ આર્મી સુબેદાર એ.કે. સિંહ પર પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવા માટે મદદ કરવાનો ગંભીર આક્ષેપ છે. બંને જાસૂસ દેશના સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરીને ગુપ્ત માહિતી લીક કરતા હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત ATSને મળી હતી બાતમી
7 નવેમ્બર, 2025ને શુક્રવારે સવારે ગુજરાત ATS પાસે માહિતી આવી હતી કે રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલો અહમદ મોહ્યુદ્દીન સૈયદ નામનો એક શંકાસ્પદ શખ્સ ગુજરાત આવ્યો છે. ત્યારબાદ ATSની ટીમે બાતમીને વેરિફાઇ કરી અને ટેક્નિકલ એનાલિસિસ કરીને તેની મૂવમેન્ટ ચેક કરી. સવારથી રાત સુધી ચાલેલી આ મથામણમાં પહેલા તો કોઈ ખાસ સફળતા મળી નહોતી, પરંતુ રાત્રે લગભગ 9:00 વાગ્યાની આસપાસ અહમદ મોહ્યુદ્દીનની મૂવમેન્ટ કલોલ તરફ જોવા મળી, જેથી ATSની ટીમે તેને પકડવા માટે જાળ બિછાવી હતી. ગુજરાત ATS હવે આ નેટવર્કના અન્ય લોકો સુધી પહોંચવા અને તેમણે અત્યાર સુધીમાં કેટલી અને કઈ કઈ સંવેદનશીલ માહિતી લીક કરી છે તે જાણવા માટે તપાસ કરી રહી છે.

શિયાળામાં વધુ પડતા ખોરાક લેવાથી વજનમાં વધારો થાય છે તેને કસરતથી અટકાવી શકાય

શિયાળાની ઋતુ આવે એટલે ઠંડી હવા સાથે માણસની ભૂખ પણ બમણી થઈ જાય છે. સવારે ગરમ ગરમ ગાજરનો હલવો, દિવસે ઘીમાં તરબોળ રોટલી અને રાત્રે ઉંઘતાં પહેલાં એકાદ ગ્લાસ ગરમ દૂધમાં બદામ-પિસ્તા નાખીને પીવાની ઈચ્છા થાય.. આ બધું સ્વાભાવિક લાગે છે, પણ આ જ ઋતુમાં સૌથી વધારે લોકોનું વજન વધે છે અને મેદસ્વીતાનો ભોગ બને છે.શિયાળામાં શરીરનું તાપમાન જાળવી રાખવા માટે શરીર વધારે કેલરી બાળે છે. આ માટે મગજને સિગ્નલ મળે છે કે વધારે ખાઓ. ઉપરાંત દિવસ ટૂંકા થઈ જાય છે, સૂર્યપ્રકાશ ઓછો મળે છે, જેનાથી સેરોટોનિન હોર્મોન ઘટે છે અને મૂડ ડાઉન થાય છે. આનો ઉપાય માણસ મીઠું, ચીઝવાળું કે ઘી-તેલવાળું ભોજન લઈને કરે છે, કારણ કે આ બધું ખાવાથી તરત જ આનંદ થાય છે. પરિણામે શિયાળામાં ગાજર,ગુંદ,લાડુ,ઉંધિયું,મેથીપાક જેવા ઉચ્ચ કેલરીવાળા પદાર્થોનું સેવન વધી જાય છે.

બીજી બાજુ જોઈએ તો શિયાળો એટલે તાજી લીલી ભાજીઓથી ભરપૂર છે.મેથી, પાલક, સરસવ, લીલા ધાણા, લીલો લસણ, ફ્લાવર, ગાજર, શક્કરિયા, વટાણા આ બધું શિયાળામાં સૌથી સસ્તું અને પોષ્ટિક મળે છે. આ ભાજીઓ ફાઇબર, વિટામિન અને એન્ટીઑક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે ભૂખ કંટ્રોલ કરે છે, પેટ લાંબો સમય ભરેલું રાખે છે અને ચરબી ઓછી કરે છે. દરરોજ એક વાટકી મેથી-પાલકનું શાક કે ગરમ સૂપ લેવાથી ઘી-તેલવાળા લાડુ-ઉંધિયાની ઈચ્છા ઘટે છે. ઠંડીમાં ગરમાહટ પણ મળે, રોગપ્રતિકારક શક્તિ વધે અને વજન પણ નિયંત્રણમાં રહે.

બીજું મહત્વનું કારણ છે શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો. ઠંડીમાં વહેલી સવારે ઊઠીને વૉકિંગ કે વ્યાયામ કરવાનું મન નથી થતું. ઘરમાં ગરમ ક્વિલ્ટમાં દબાઈને બેસી રહેવું વધારે આરામદાયક લાગે છે. આ બધાનું પરિણામ એ આવે છે કે ખાધેલી વધારાની કેલરી બળવાને બદલે ચરબી તરીકે સંગ્રહાય છે અને પેટ, કમર તથા જાંઘ પર ચરબીના નવા થર ચડી જાય છે.શિયાળામાં પણ વજન ન વધે તે માટે થોડી સમજણ અને નિયમન જરૂરી છે.પ્રથમ તો ગરમ ખોરાક ખાવો જરૂરી છે, પણ ઘી-ખાંડનું પ્રમાણ ઘટાડી શકાય. દાળ-શાક-રોટલીમાં ઘી ઓછું કરીને પણ ગરમાહટ મળે છે.ગજર-ગુંદના લાડુ ખાવા હોય તો ખાંડને બદલે ખજૂર કે શેરડીનો ખાંડુ વાપરી શકાય.દરરોજ ઓછામાં ઓછા ૩૦-૪૦ મિનિટ ચાલવું કે ઘરમાં જ વ્યાયામ કરવો જરૂરી છે.

ઠંડીમાં વ્યાયામ કરવાથી શરીરની ગરમી પણ વધે છે.પાણી ઓછું પીવાય છે એ પણ વજન વધારે છે. શિયાળામાં પણ દિવસમાં ૮-૧૦ ગ્લાસ પાણી (ગરમ કે નાર્મલ) પીવું જોઈએ.રાત્રે ભારે જમવાને બદલે હળવો ખોરાક (સૂપ, સલાડ, દાળ-ભાત) લેવો.

શિયાળો એ આનંદની ઋતુ છે, ખાવા-પીવાની ઋતુ છે, પણ થોડી સભાનતાથી આ આનંદને મેદસ્વીતાના શોકમાં ફેરવવાની જરૂર નથી. ગરમ ખોરાક લો,પણ લિમિટમાં ગરમ કપડાં પહેરો, પણ શરીરને કસરત પણ આપો એટલે શિયાળો પૂરો થાય ત્યારે કપડાં ટાઈટ નહીં, ફીટ જ રહેશે.

કેલિફોર્નિયામાં US થંડરબર્ડ્સનું F-16 લડાકુ વિમાન ક્રેશ, પાઇલટનો ચમત્કારિક બચાવ

ગુરુવારે અમેરિકામાં US એરફોર્સના થંડરબર્ડ્સ સ્ક્વોડ્રનનું એક F-16 લડાકુ વિમાન ક્રેશ થયું. દુર્ઘટનાની થોડી સેકન્ડ પહેલાં પાઇલટ સુરક્ષિત બહાર નીકળી ગયો હતો, જેનાથી તેનો જીવ બચી ગયો.

આ અકસ્માત સ્થાનિક સમય મુજબ, સવારે 10:45 વાગ્યે દક્ષિણ કેલિફોર્નિયાના ટ્રોના નજીકના રણ વિસ્તારમાં થયો હતો. વિમાન ટ્રોના એરપોર્ટથી લગભગ ત્રણ કિલોમીટર દૂર ક્રેશ થયું હતું. એરપોર્ટ મેનેજરે જણાવ્યું હતું કે લશ્કરી વિમાનો વારંવાર આ વિસ્તાર ઉપરથી ઊડે છે.

સોશિયલ મીડિયા પર આવેલા વીડિયોમાં જોવામાં આવ્યું છે કે વિમાન ઝડપથી નીચે પડી રહ્યું હતું અને પાઇલટ પેરાશૂટના સહારે બહાર નીકળી આવ્યો હતો. જમીન સાથે ટકરાતાં જ વિમાનમાં મોટો ધમાકો થયો અને કાળો ધુમાડો આકાશમાં છવાઈ ગયો.

F-16ની કિંમત 1.70 હજાર કરોડ રૂપિયા
એરફોર્સના 2021ના ડેટા મુજબ, એક F-16 ફાઇટિંગ ફાલ્કનની કિંમત લગભગ 18.8 મિલિયન ડોલર (લગભગ ₹170 હજાર કરોડ) છે. આ એરક્રાફ્ટ થંડરબર્ડ્સ સ્ક્વૉડ્રનનું હતું. આ ટીમ લાંસ વેગાસ પાસેના નેલિસ એરફોર્સ બેઝ પરથી કામ કરે છે. આ ટીમ તેના એર શો અને ખતરનાક સ્ટંટ્સ માટે દુનિયાભરમાં જાણીતી છે.

થંડરબર્ડ્સ ટીમે જણાવ્યું હતું કે તાલીમ મિશન દરમિયાન પાઇલટે સફળતાપૂર્વક ઇજેક્ટ કર્યું. પાઇલટને સામાન્ય ઈજાઓ થઈ અને તેને રિડ્જક્રેસ્ટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

રશિયન રાષ્ટ્રપતિ પુતિનની 25 વર્ષમાં 10 વખત ભારત મુલાકાત, ડિસેમ્બરમાં જ 5 મુલાકાતનું શું છે રહસ્ય?

0

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવાર, 4 ડિસેમ્બરથી ભારતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે, જે ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠ નિમિત્તે છે. 2000 પછી પુતિનની આ 11મી ભારત મુલાકાત હશે અને ડિસેમ્બરમાં તેમની છઠ્ઠી મુલાકાત હશે. પુતિનની આ મુલાકાત 23મી દ્વિપક્ષીય શિખર સંમેલનનો ભાગ હશે, જેના પરિણામે સંરક્ષણ, ઊર્જા, વેપાર અને અવકાશ જેવા ક્ષેત્રોમાં મોટા કરાર થવાની અપેક્ષા છે. રશિયન ડુમાએ ભારત સાથે અનેક લશ્કરી સહયોગ કરારોને મંજૂરી આપી દીધી છે, જેનાથી આ મુલાકાત વધુ મહત્વપૂર્ણ બનશે.

પુતિન તેમની મુલાકાત દરમિયાન શું કરશે?
પુતિનનો કાર્યક્રમ ખૂબ જ વ્યસ્ત રહેશે. તેઓ 4 ડિસેમ્બરે સાંજે 6-7 વાગ્યાની આસપાસ નવી દિલ્હી પહોંચશે, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના સન્માનમાં 7, લોક કલ્યાણ માર્ગ ખાતે એક ખાનગી રાત્રિભોજનનું આયોજન કરશે. બીજા દિવસે સવારે, 5 ડિસેમ્બરે, રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનર યોજાશે, ત્યારબાદ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ત્યારબાદ તેઓ હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય મુલાકાત, પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો અને સંયુક્ત નિવેદન આપશે. સાંજે, ભારત-રશિયા બિઝનેસ ફોરમને સંબોધન કર્યા પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત રાજ્ય ભોજન સમારંભનું આયોજન કરવામાં આવશે.

ડિસેમ્બરમાં પુતિન વારંવાર ભારતની મુલાકાત કેમ લે છે?

ડિસેમ્બરમાં પુતિન ક્યારે ભારત આવ્યા છે?

  • ડિસેમ્બર 2002
  • ડિસેમ્બર 2004
  • ડિસેમ્બર 2012
  • ડિસેમ્બર 2014
  • ડિસેમ્બર 2021

પુતિન રાષ્ટ્રપતિ તરીકે નવ વખત ભારતની મુલાકાતે આવ્યા છે, મોટાભાગે ડિસેમ્બરમાં. તેમની પહેલી મુલાકાત ઓક્ટોબર 2000 માં હતી, જ્યારે બંને દેશોએ વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. ડિસેમ્બરમાં પુતિનની વારંવાર મુલાકાતો ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનને કારણે છે, જે હંમેશા વર્ષના અંતે થાય છે. આ વાર્ષિક શિખર સંમેલન બંને દેશો વચ્ચેના સંબંધોની સમીક્ષા કરવા માટે એક મુખ્ય પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. પુતિન માર્ચ 2010 માં વડા પ્રધાન તરીકે ફક્ત સત્તાવાર મુલાકાતે ભારતની મુલાકાતે આવ્યા હતા.

શું બીજું કોઈ કારણ છે?
આ પેટર્ન પાછળ હવામાન પણ એક પરિબળ છે. ડિસેમ્બરમાં ભારતનો શિયાળો રશિયા જેવા ઠંડા દેશ માટે આરામદાયક હોય છે, જ્યાં તાપમાન શૂન્યથી નીચે આવી શકે છે. આવી સ્થિતિમાં, દિલ્હીનો હળવો શિયાળો પ્રવાસને આરામદાયક બનાવે છે. રશિયન સુરક્ષા ટીમ પહેલાથી જ ભારત પહોંચી ગઈ છે અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું છે, જે પુતિનની મુલાકાતોની એક ખાસ વિશેષતા છે.

પુતિનની મુલાકાત ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે?
આ મુલાકાત દરમિયાન S-400 એર ડિફેન્સ સિસ્ટમની નવી રેજિમેન્ટ, ટેકનોલોજી ટ્રાન્સફર અને Su-57 ફાઇટર જેટના સંયુક્ત ઉત્પાદન જેવા સોદાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી શક્યતા છે. ઊર્જા, વેપાર અને ટેકનોલોજીકલ સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, ખાસ કરીને યુક્રેન કટોકટી વચ્ચે રશિયા-ભારત મિત્રતાની મજબૂતાઈ દર્શાવવા માટે. એકંદરે, આ 30 કલાકની મુલાકાત બંને દેશોના ભાવિ રોડમેપ માટે નવી દિશા પ્રદાન કરશે.

સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ, સિગ્નલ તોડનાર વાહનચાલકો પર તાત્કાલિક કાર્યવાહી

સુરત શહેર ટ્રાફિક પોલીસ શાખા દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી છે , જેના કારણે ટ્રાફિક નિયમ કે સિગ્નલનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

સુરત શહેર વાહનોના ધમધમાટથી ગુંજતું રહે છે,વધતા ટ્રાફિકના ભારણ સામે નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો માટે ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી છે.જેના કારણે વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક શાખાના ડીસીપી પન્ના મોમયાની ઉપસ્થિતિમાં સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી હતી.સુરત શહેરના દરેક રિઝિયનમાં આ ડ્રાઈવ યોજાઈ હતી.આ અવસરે ડીસીપીએ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ પણ કરી હતી.અને વાહન ચાલકોને ટ્રાફિક સિગ્નલ ઉપર સ્ટોપ લાઈન ઉપર જ વાહનો ઉભા રાખવાની સમજ પણ આપી હતી.વધુમાં હવે વાહન ચાલકો જો ટ્રાફિક નિયમોનો ભંગ કરશે કે સિગ્નલ તોડશે તો તેવા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

હિન્દુ દેવી-દેવતાઓ અંગે CM રેવંત રેડ્ડીની ટિપ્પણીથી વિવાદ

0

તેલંગાણાના મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીએ હૈદરાબાદ સ્થિત ગાંધી ભવનમાં તેલંગાણા કોંગ્રેસ સમિતિની કાર્યકારિણી બેઠકને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે પાર્ટીના આંતરિક વૈવિધ્ય પર પ્રકાશ પાડ્યો અને હિંદુ ધર્મની સાથે તેની તુલના કરી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ દરેક પ્રકારના લોકોને સાથે લઈને ચાલે છે. કોઈ કહે છે કે તે ભગવાન વેંકટેશ્વરની પૂજા કરશે, બીજો કહે છે કે તે હનુમાનજીની પૂજા કરશે. જ્યારે આપણે દેવતાઓ પર સહમતી બનાવી શક્યા નહીં, ત્યારે મને લાગતું નથી કે આપણે રાજકીય નેતાઓ અને ડીસીસી અધ્યક્ષોને લઈને પણ સહમતી બનાવી શકીશું.

તેમણે વધુમાં કહ્યું હતું કે હિંદુ ધર્મમાં કેટલા દેવતાઓ છે? કેટલા દેવતાઓ છે? ત્રણ કરોડ? કેમ? જે અવિવાહિત છે, તેમના માટે ભગવાન હનુમાન છે. જે બે વાર લગ્ન કરે છે, તેમના માટે એક બીજા દેવ છે. જે દારૂ પીએ છે, તેમના માટે અન્ય ભગવાન છે. યેલ્લમ્મા, પોચમ્મા, મૈસમ્મા. જે ચિકન માગે છે, તેમના માટે એક ભગવાન છે, અને જે દાળ-ભાત ખાય છે, તેમના માટે બીજા ભગવાન છે, બરાબર? બધા પ્રકારના દેવ છે.

ભાજપના નેતાઓએ કરી ટીકા
કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી અને બંદી સંજય કુમાર સહિત તેલંગાણા ભાજપના નેતાઓએ આ નિવેદનની આલોચના કરી હતી. કિશન રેડ્ડીએ એક નિવેદનમાં કહ્યું હતું કે મુખ્ય મંત્રીએ તાજેતરમાં જ જ્યુબિલી હિલ્સની પેટા-ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે કોંગ્રેસ એટલે મુસ્લિમ અને મુસ્લિમ એટલે કોંગ્રેસ.

તેમણે કહ્યું હતું કે એવું લાગે છે કે AIMIM સાથેની મિત્રતાને કારણે મુખ્ય મંત્રી હિંદુઓ અને હિંદુ દેવી-દેવતાઓ વિશે અહંકારીયુક્ત ટિપ્પણીઓ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે હવે તેલંગાણામાં પણ હિંદુઓએ એક થવાનો સમય આવી ગયો છે. રેવંત રેડ્ડી અને કોંગ્રેસ પાર્ટીને હિંદુઓની શક્તિ બતાવવાનો સમય આવી ગયો છે.

સુરત સ્મીમેર હોસ્પિટલમાં સર્વર ઠપ, સારવાર માટે દર્દીઓ કલાકો સુધી રઝળ્યા!

સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલનો ‘રેઢીયાર વહીવટ’ ફરી એકવાર લોકો સામે ખુલ્લો પડી ગયો છે. બુધવારની સવારથી જ હોસ્પિટલનું સર્વર અચાનક બંધ પડી જતા દૂર–દરાજથી સારવાર માટે આવેલા હજારો દર્દીઓ અને તેમના સગાંઓને ભારે પરેશાની ભોગવવી પડી. બે કલાકથી વધુ સમય સુધી લાંબી કતારમાં ઊભા રહેવાં છતાં ટોકન ન મળતાં દર્દીઓમાં જોરદાર રોષ ફાટી નીકળ્યો અને સમગ્ર હોસ્પિટલ કચેરીમાં અફરાતફરી મચી ગઈ.

દક્ષિણ ગુજરાત માટે આશીર્વાદરૂપ ગણાતી સ્મીમેર હોસ્પિટલમાં OPD ટોકન પ્રક્રિયા સંપૂર્ણ પણે ઠપ્પ થઈ ગઈ હતી. સર્વર ડાઉન થતા બાળકો, વૃદ્ધો અને ગંભીર બીમારીઓથી પીડાતા અનેક લોકો સારવાર માટે અટકી પડ્યા હતા. લોકો બે કલાકથી વધુ સમય સુધી ધુપમાં ઉભા રહ્યા, છતાં સિસ્ટમ શરૂ ન થતા હોસ્પિટલ પ્રશાસન સામે ગુસ્સો છલકાયો.

સ્થાનિક રહેવાસીઓ અને દર્દીઓના સગાંઓએ વહીવટને રેઢીયાર ગણાવીને ઉગ્ર રજૂઆતો કરી. એક દર્દીના સગાએ ગુસ્સે ભરાયેલા સ્વરે કહ્યું, “અમે સવારથી લાઈનમાં ઊભા છીએ, બે કલાક થઈ ગયા પરંતુ સર્વર ચાલુ નથી. દર્દીઓ પીડાઈ રહ્યા છે, ત્યારે જવાબદારી કોણ લેશે?”

પરિસ્થિતિ બગડતાં વહીવટી અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા અને ટેકનિકલ ટીમને બોલાવી સર્વર શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરી. પરંતુ અવારનવાર આવતી સર્વર સમસ્યાઓને લઈને મનપાના હોસ્પિટલ વહીવટ પર ગંભીર સવાલો ઊભા થયા છે. એક બાજુ સ્માર્ટ સિટીની વાતો થાય છે, ત્યારે બીજી બાજુ તેના જ હોસ્પિટલમાં ટેકનિકલ તંત્ર જર્જરિત છે.

ગોડાદરા મીડાસ સ્ક્વેર પર લોહીયાળ ઘટના, પૈસાના વિવાદે મિત્રો જ બન્યા દુશ્મન

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા મીડાસ સ્કવેર પાસે પૈસાની લેતીદેતીના મામલે એક યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. આ હત્યાના આરોપીઓ અન્ય કોઈ નહીં પરંતુ મૃતક યુવકના મિત્રો જ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક યુવક પાસેથી આરોપીઓને કેટલાક પૈસા લેવાના બાકી હતા.

હત્યા પાછળનું ક્રૂર કારણ
તમને જણાવી દઈએ કે, ઉઘરાણી દરમિયાન આરોપીઓએ યુવકને માર મારવાનું શરૂ કર્યું હતું અને આ દરમિયાન આરોપીઓએ યુવકની માતાને ફોન કરીને પૈસા લઈને તાત્કાલિક સ્થળ પર આવવા જણાવ્યું હતું.

જોકે, મૃતકની માતા સમયસર પૈસા લઈને ઘટનાસ્થળે ન પહોંચતા, આરોપીઓએ ગુસ્સામાં યુવકને એટલો માર માર્યો કે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ગોડાદરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યા કરનાર બે આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે હવે આ સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

તત્કાલ ટિકિટના નિયમમાં ફેરફાર, હવે OTP વેરિફિકેશન વગર ટ્રેન ટિકિટ બુકિંગ થશે નહીં

0

ટ્રેનની તત્કાલ ટિકિટ બુકિંગના નિયમ બદલાયા છે. પશ્ચિમ રેલવેએ ઓનલાઇન તત્કાલ ટિકિટ બુક કરાવનારા વપરાશકર્તાઓ માટે નવો નિયમ લાગુ કર્યો છે. નવા ફેરફાર અનુસાર, હવે તત્કાલ ટિકિટ બુક કરવા માટે પેસેન્જરના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલા વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) નું વેરિફિકેશન કરવું ફરજિયાત રહેશે.

ટ્રેનની તત્કાલ ટિકિટ માટેના નવા નિયમ 1 ડિસેમ્બરની મધ્યરાત્રિ 12 વાગ્યાથી અમલમાં આવી ગયા છે અને આઇઆરસીટીસીની વેબસાઇટ, રેલ્વે કાઉન્ટર, અધિકૃત એજન્ટો અને મોબાઇલ એપ્લિકેશન સહિત તમામ બુકિંગ ચેનલો પર ઉપલબ્ધ છે. એટલે કે નિયમ ખૂબ જ સ્પષ્ટ છે કે તમે ઓફલાઈન કે ઓનલાઇન તત્કાલ ટિકિટ બુક કરાવશો, ઓટીપી વેરિફિકેશન વગર બુકિંગ નહીં થાય.

પશ્ચિમ રેલવે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રેલવે બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સિસ્ટમ દ્વારા જનરેટ કરવામાં આવેલા વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) ની ચકાસણી પછી જ તત્કાલ ટિકિટ જારી કરવામાં આવશે. આ ઓટીપી બુકિંગ સમયે પેસેન્જર દાખલ કરશે તે મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે અને ઓટીપીની સફળતાપૂર્વક ચકાસણી થયા પછી જ ટિકિટ જારી કરવામાં આવશે.”

રેલવેએ મુસાફરોની સુવિધા વધારવા માટે OTP આધારિત તત્કાલ રિઝર્વેશન સિસ્ટમનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ નવીનતા તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવી રહી છે. સૌપ્રથમ, જુલાઈ 2025માં ઓનલાઈન તત્કાલ ટિકિટો માટે આધાર આધારિત પ્રમાણીકરણ શરૂ કરાયું હતું. ત્યારબાદ, ઓક્ટોબર 2025માં તમામ જનરલ રિઝર્વેશનની ફર્સ્ટ-ડે બુકિંગ માટે OTP આધારિત ઓનલાઈન સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. આ બંને સિસ્ટમ મુસાફરો દ્વારા સફળતાપૂર્વક અપનાવવામાં આવી છે, જેનાથી રિઝર્વેશન પ્રક્રિયામાં પારદર્શિતા અને સગવડ વધી છે.

નવા OTP આધારિત તત્કાલ રિઝર્વેશન સિસ્ટમને હવે બાકીની તમામ ટ્રેનો પર લાગુ કરવામાં આવશે. રેલવેનું માનવું છે કે આ પગલું ટિકિટિંગ પ્રક્રિયામાં પારદર્શિતા, મુસાફર સુવિધા અને સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. દલાલો પર નિયંત્રણ આવતા, ખરેખર જરૂરિયાતમંદ સામાન્ય મુસાફરોને અંતિમ મિનિટોમાં પણ સરળતાથી તત્કાલ ટિકિટ મળી શકશે, જે લાંબા સમયથી પ્રવાસીઓની મુખ્ય માંગ રહી છે.