Home Blog Page 247

World News: થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદ વિવાદ વકર્યો, જાણો શું છે મામલો?

થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સરહદી સંઘર્ષ ચોથા દિવસમાં પ્રવેશી ચૂક્યો છે, જેના કારણે સરહદ નજીક રહેતા લાખો લોકોએ સલામત સ્થળોએ આશરો લેવો પડ્યો છે. બુધવારે થાઇલેન્ડના F-16 વિમાનોએ કંબોડિયાના ગામો પર બોમ્બમારો કર્યો, જ્યારે કંબોડિયાએ વળતા હુમલામાં થાઇલેન્ડની એક હોસ્પિટલ પર રોકેટ છોડ્યા હતા.

ઐતિહાસિક સ્થળોએ પણ હુમલા
થાઇલેન્ડની સેનાના F-16 વિમાનોએ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પ્રેહ વિહાર મંદિર સહિત અનેક સ્થળો પર હુમલા કર્યા અને એક પ્રાથમિક શાળા પર પણ ગોળા ફેંક્યા હતા. સુરક્ષાના પગલે થાઈ સેનાએ ચાર જિલ્લામાં કર્ફ્યુ લાદી દીધો છે.

તાજેતરના અહેવાલો મુજબ, 800 કિલોમીટર લાંબી વિવાદિત સરહદ પર ભારે ગોળીબાર, તોપોની ગર્જના અને હવાઈ હુમલાઓ ચાલુ છે. મીડિયા અહેવાલો જણાવે છે કે થાઈલેન્ડે તેના F-16 જેટ્સનો ઉપયોગ કરીને કંબોડિયાના લશ્કરી લક્ષ્યો પર બોમ્બમારો કર્યો છે. તેના જવાબમાં, કંબોડિયાએ ડ્રોન અને BM-21 રોકેટ વડે વળતો હુમલો કર્યો છે.

બંને દેશો એકબીજા પર સરહદનું ઉલ્લંઘન કરવા અને યુદ્ધવિરામ કરારનું ભંગ કરવાના આરોપો લગાવી રહ્યા છે. કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયના મતે, થાઈલેન્ડના હુમલામાં એક બાળક સહિત 9 નાગરિકો માર્યા ગયા છે, જ્યારે થાઈલેન્ડે એક સૈનિકના મૃત્યુની પુષ્ટિ કરી છે. હાલ ચાર જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને અસરગ્રસ્ત પરિવારો કામચલાઉ શિબિરોમાં આશરો લઈ રહ્યા છે.

જુલાઈ 2025માં થયેલી પાંચ દિવસની લડાઈમાં 48 લોકો માર્યા ગયા હતા અને 3 લાખ લોકો વિસ્થાપિત થયા હતા. તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોના નેતાઓને અમેરિકામાં તેમના નિકાસ પર ઊંચા ટેરિફ લાદવાની ધમકી આપી હતી. થાઈલેન્ડ અને કંબોડિયા બંને ઇલેક્ટ્રોનિક્સ અને કપડાં જેવા ઉત્પાદનો મોટા પાયે અમેરિકાને નિકાસ કરે છે, અને તેઓ નીચા ટેરિફ પર આધાર રાખે છે.

ટ્રમ્પની આ ‘ટેરિફ ગન’ એટલી અસરકારક સાબિત થઈ કે બંને દેશોએ ઝૂકવું પડ્યું અને શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા. જોકે, વિશ્લેષકોનું માનવું છે કે આ શાંતિ ક્યારેય મજબૂત બની નહોતી, તે માત્ર સપાટી પરની શાંતિ હતી. દુશ્મનીના મૂળ ઊંડા હતા અને બંને પક્ષો વચ્ચે સતત પ્રચાર યુદ્ધ ચાલતું રહ્યું હતું.

નવેમ્બરમાં સરહદ પર થયેલા લેન્ડમાઈન વિસ્ફોટમાં એક થાઈ સૈનિકનો પગ કપાઈ ગયો અને આ ઘટના સંઘર્ષનું ટ્રિગર બની હતી. થાઈલેન્ડે કંબોડિયા પર નવી માઈન્સ બિછાવવાનો આરોપ લગાવ્યો, જેનો કંબોડિયાએ ઇનકાર કર્યો. તેના પરિણામે થાઈલેન્ડે યુદ્ધવિરામને સ્થગિત કરી દીધો. ત્યારબાદ 8 ડિસેમ્બરે કંબોડિયાના સૈનિકો દ્વારા થાઈ એન્જિનિયરિંગ ટીમ પર થયેલો ગોળીબાર આગમાં ઘી હોમવા જેવો સાબિત થયો.

સંયુક્ત રાષ્ટ્ર (UN) અને યુરોપીયન યુનિયન (EU) એ બંને દેશોને સંયમ જાળવવાની અપીલ કરી છે, જ્યારે મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે મધ્યસ્થી કરવાની ઓફર કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ એક રેલીમાં દાવો કર્યો હતો કે ‘હું તેને એક ફોન કોલથી ફરી રોકી દઈશ.’ જોકે, થાઈલેન્ડના વડાપ્રધાન અનુતિન ચારવિરાકુલે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ હાલમાં કૂટનીતિના મૂડમાં નથી.

થાઈલેન્ડની સ્પષ્ટ શરત છે કે કંબોડિયાએ પહેલા લેન્ડમાઈનનો ઉપયોગ બંધ કરવો પડશે. આ સંઘર્ષ 1907ના ફ્રેન્ચ સંસ્થાનવાદી નકશા અને પ્રીહ વિહાર જેવા પ્રાચીન મંદિરોના વિવાદમાંથી ઉદ્ભવ્યો છે. જ્યાં સુધી કૂટનીતિ અને મજબૂત કરાર ન થાય ત્યાં સુધી, માત્ર એક નાજુક યુદ્ધવિરામ થોડા મહિનામાં લડાઈને ફરી શરૂ કરી શકે છે.

અમદાવાદમાં વિનોદ ઈન્ડસ્ટ્રીઝની કંપનીમાં ITના દરોડા, 50થી વધુ સ્થળોએ સર્ચ

અમદાવાદમાં વિનોદ ઈન્ડસ્ટ્રીઝની કંપનીમાં IT વિભાગે દરોડા પાડ્યા છે. આ કામગીરીમાીં કરોડોની રોકડ મળી આવી હોવાનું સામે આવી રહ્યું છે. વિનોદ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી કંપનીમાંથી લાખોની કેશ પણ મળી આવી છે. ત્યારે વિનોદ મિત્તલના ઘરે આજે પણ સર્ચની કામગીરી ચાલુ છે.

મંગળવાર સાંજથી ચાલી રહેલી આ કાર્યવાહીમાં તપાસનો દાયદો વધતા IT અધિકારીઓ ટીમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન 250 જેટલા અધિકારીઓ દ્વારા અલગ-અલગ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે, તો લગભગ 50થી વધુ સ્થળોએ IT વિભાગની ટીમો દ્વારા સર્ચની કાર્યવાહી ચાલી રહી છે. આ સર્ચની કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં બેનામી ટ્રાન્ઝેક્શન અને રોડોની બિનહિસાબી આવકનો પર્દાફાશ થઈ શકે છે.

સર્ચની કાર્યવાહી દરમિયાન અમદાવાદના સેટેલાઇટ, નારોલ, પીરાણા, સૈજપુર અને પીપળજ સહિતના વિસ્તારોમાં આવેલા વિનોદ ગ્રુપના ઠેકાણાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. મંગળવારે શરૂ થયેલા આ સર્ચ ઓપરેશનમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાની ટીમો પણ સામેલ છે. આ તપાસની પગલે શહેરના ટેકસટાઇલ સર્કલના ખળભળાટ મચી ગયો છે.

લિસ્ટેડ કંપની વિનોદ ડેનિમ લિમિટેડની કોર્પોરેટ ઓફિસ સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલી છે અને પીપળજ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં તેની મુખ્ય ફેક્ટરી આવેલી છે. આ સિવાય અમદાવાદમાં ચાર વધારાના યુનિટ્સ પણ છે. કંપની 25થી વધુ દેશોમાં ડેનિમની નિકાસ કરે છે. માહિતી પ્રમાણે, ચાલુ તપાસમાં બિનહિસાબી રોકડ અને દસ્તાવેજો સહિતની ગડબડ સામે આવી શકે છે.

ગોવા નાઈટક્લબ કાંડ: ભાગેડુ લુથરા ભાઈઓ થાઈલેન્ડમાં ઝડપાયા, ભારત લાવવાની તૈયારી શરૂ

0

ગોવા નાઈટક્લબ અગ્નિકાંડ મામલે મોટી સફળતા મળી છે, કાયદાકીય કાર્યવાહીથી બચવા ભારત છોડીને ભાગી ગયેલા મુખ્ય આરોપી સૌરભ લુથરા અને ગૌરવ લુથરાને થાઈલેન્ડમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે. અહેવાલ મુજબ બંનેને ભારત પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ગત રવિવારે મધ્યરાત્રિ બાદ ગોવાનાં આર્પોરા ખાતે આવેલા બિર્ચ બાય રોમિયો લેન નાઇટક્લબમાં લાગેલી આગની ઘટનામાં 25 લોકોએ જીવ ગુમાવ્યો હતો, સૌરભ લુથરા અને ગૌરવ લુથરા આ નાઈટક્લબના માલિક છે.

ધરપકડના ડરે બંને રાતોરાત દેશ છોડીને થાઈલેન્ડના ફૂકેટ પહોંચી ગયા હતાં. થાઈલેન્ડમાં આરોપીઓને પકડવા માટે ગોવા પોલીસે ઇન્ટરપોલનો સંપર્ક કર્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(CBI)ની અરજી પર ઇન્ટરપોલે બંને વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી હતી.

થઈલેન્ડમાં અટકાયત બાદ બંનેના દેશનિકાલ માટેની પ્રક્રિયા માટે ભારતીય અધિકારીઓ થાઇલેન્ડ સરકારના સાથે સંકલન કરી રહ્યા છે. બંનેને ભારત પરત લાવવામાં આવશે તો કાર્યવાહી ઝડપી બનશે અને પીડિત પરિવારોને ઝડપી ન્યાય મળી શકશે.

લુથરા ભાઈઓએ તેમના વકીલો મારફતે ગઈ કાલે બુધવારે દિલ્હીની એક કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. કોર્ટે તાત્કાલિક રાહત આપી ન હતી, વધુ સુનાવણી આજે ગુરુવારે કરવામાં આવશે.

આગોતરા જામીન માટેની અરજીમાં લુથરા ભાઈઓએ દલીલ કરી છે કે તેઓ ક્લબના માલિક નથી, તેઓ માત્ર લાઇસન્સધારક છે. ક્લબના કામગીરી સ્ટાફ મેમ્બર્સ સંભળાતા હતાં, આ ઘટનામાં લુથરા ભાઈઓ જવાબદાર નથી.કોર્ટ સમક્ષ વકીલોએ દલીલ કરી હતી કે લુથરા ભાઈઓ દેશ છોડીને ભાગ્યા નથી તેઓ બિઝનેસ ટૂર પર છે.

ગોવા સરકારે લુથરા ભાઈઓના પાસપોર્ટ રદ કરવા માટે ભારતનમાં વિદેશ મંત્રાલય (MEA)ને વિનંતીની કરી છે, જેના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાતે લાગેલી આગ સવારે ઓલવાય એ પહેલા જ લુથરા ભાઈઓ સવારે 5:30 વાગ્યાની ઇન્ડિગો 6E 1073 ફ્લાઇટમાં બેસીને થાઈલેન્ડના ફુકેત માટે નીકળી ગયા હતાં.

ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવે પર CNG ટેન્ક બ્લાસ્ટથી ભયાનક અકસ્માત, 5 લોકોનાં દર્દનાક મોત

0

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ગત રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ઝડપી કારની ટક્કરથી CNG ટાંકી ફાટતાં કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં આઝમગઢમાં તહેનાત પોલીસ કોન્સ્ટેબલ જાવેદનો આખો પરિવાર – બે મહિલાઓ અને ત્રણ બાળકો સહિત પાંચના દર્દનાક મોત નિપજ્યાં હતા.

CNG ટાંકીમાં બ્લાસ્ટ
અહેવાલો મુજબ, કોન્સ્ટેબલ જાવેદનો પરિવાર કારમાં મઉથી લખનઉ તરફ જઈ રહ્યો હતો. બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર તેમની કારને પાછળથી પૂરઝડપે આવતી અન્ય એક કારે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારની CNG ટાંકી ફાટી ગઈ અને ગણતરીની સેકન્ડોમાં કારમાં ભીષણ આગ લાગી ગઈ.

કારમાં ફસાયેલી બે મહિલાઓ અને ત્રણ બાળકો સહિત પાંચ લોકો આગને કારણે દરવાજો ખોલી શક્યા નહોતા અને જીવતા બળી ગયા હતા. પોલીસ અને સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પાંચેય લોકોને બહાર કાઢ્યા હતા, પરંતુ તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ચૂક્યું હતું.

નોટબંધી કૌભાંડનો ભાંડાફોડ: દિલ્હીમાં કરોડોની જૂની નોટો સાથે 4 આરોપીઓ ઝડપાયા

0

નોટબંધીને ઘણા વર્ષો વીતી ગયા હોવા છતાં, બજારમાં હજી પણ જૂની, રદ કરાયેલી ₹500 અને ₹1000ની નોટોનો ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો છે. આવા જ એક મોટા રેકેટનો પર્દાફાશ દિલ્હી પોલીસે કર્યો છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક ગુપ્ત ઓપરેશન પાર પાડીને ₹3.5 કરોડથી વધુની રકમ જૂની ચલણી નોટો જપ્ત કરી છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દિલ્હી પોલીસને બાતમી મળી હતી કે જૂની ₹500 અને ₹1000ની નોટોનો મોટા પાયે ગેરકાયદેસર સોદો થવાનો છે. આ માહિતીના આધારે, ક્રાઈમ બ્રાન્ચની એક વિશેષ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. શાલીમાર બાગ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 4 પાસે ટ્રેપ ગોઠવીને પોલીસે ચાર વ્યક્તિઓને રંગે હાથે પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ₹3.5 કરોડથી વધુની રદ થયેલી કરન્સીના મોટા બંડલો મળી આવ્યા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી આ ગેરકાયદેસર ધંધામાં ઉપયોગમાં લેવાયેલા બે વાહનો પણ જપ્ત કર્યા છે. પકડાયેલા આરોપીઓની ઓળખ હર્ષ, ટેક ચંદ, લક્ષ્ય અને વિપિન કુમાર તરીકે થઈ છે.

પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેમની મોડસ ઓપરેન્ડી એકદમ ચાલાકીભરી હતી. તેઓ લોકોને એવું કહીને છેતરતા હતા કે આ જૂની કરન્સી ભારતીય રિઝર્વ બેંક (RBI) માંથી બદલાવી શકાય છે, જે એકદમ ખોટો દાવો છે. આ ખોટા વાયદાના આધારે, તેઓ બજાર કિંમત કરતાં ખૂબ જ ઓછા ભાવે આ રદ કરાયેલી નોટો ખરીદતા હતા અને તેને ઊંચા ભાવે અન્ય લોકોને વેચવાનો પ્રયાસ કરતા હતા.

આરોપીઓ જાણતા હતા કે 8 નવેમ્બર 2016ના નોટબંધી પછી આવી નોટો રાખવી અથવા તેનો વ્યવહાર કરવો કાયદેસર રીતે ગુનો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આરોપીઓ પાસે આટલી મોટી માત્રામાં નોટો રાખવા માટે કોઈ કાયદેસર કારણ કે દસ્તાવેજો નહોતા.

નોટબંધી પછી લાગુ કરાયેલા સ્પેસિફાઈડ બેંક નોટ્સ (SBNs) એક્ટ હેઠળ, રદ કરાયેલી નોટો રાખવી, ખરીદવી કે વેચવી એ શિક્ષાપાત્ર અપરાધ છે. આ કાયદાના આધારે, પોલીસે આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને નોટબંધી કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.

ધોળકામાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગની ઘટના, 200થી વધુ લોકોને અસર થતા હોસ્પિટલ ખસેડાયા

પોપટપરા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગની મોટી ઘટના સામે આવી છે. આ જમણવારમાં 1000થી વધુ લોકો હાજર હતા, જેમાંથી આશરે 200 જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગની ગંભીર અસર થઈ છે. સ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક પોલીસ અને સાતથી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

હાલ સ્થિતિ નિયંત્રણમાં

આ અંગે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જે લોકોને અસર થઈ છે, તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં (કંટ્રોલમાં) છે. જે લોકો જમણવાર બાદ ઘરે ગયા છે, તેમનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે, અને જો તેમને સારવારની જરૂર પડશે તો તે પણ પૂરી પાડવામાં આવશે. આ સમગ્ર ઘટના અંગે હાલ વધુ તપાસ ચાલુ છે, પરંતુ જમણવારમાં લીધેલા ભોજનને કારણે આ ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું પ્રાથમિક તારણ છે.

રાજસ્થાન-સિકર હાઈવે પર ભયાનક અકસ્માત, વલસાડ જિલ્લાના ચાર લોકોનાં કરુણ મોત

0

રાજસ્થાનના સિકર પાસે બસ અને ટ્રક વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં વલસાડ જિલ્લાના અલગ-અલગ ગામોના ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે 28 મુસાફરો ઘાયલ થયા છે. તેમાંંથી સાતની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ, વલસાડ જિલ્લાના 50 જેટલા લોકો ખાનગી લક્ઝરી બસમાં વૈષ્ણવ દેવી મંદિરે દર્શન અને રાજસ્થાન પ્રવાસે નીકળ્યા હતા. બિકાનેર હાઈવે પરથી ખાટુશ્યામ જતા સમયે સિકર પાસે અકસ્માત થયો હતો.

બસમાં કુલ 50 યાત્રાળુ હતા, જેમાં ફલધરા ગામના 18 પ્રવાસી પણ સામેલ હતા. અકસ્માતમાં ડ્રાઇવર અને તેમને રસ્તો બતાવતા એક સ્થાનિક પોલીસકર્મીનો સ્થળ ઉપર જ મૃત્યુ થયો. બે અન્ય મૃતકોની ઓળખ હજી સુધી થઈ નથી. અકસ્માતમાં ઘાયલ 15 લોકોને ગંભીર હાલતમાં સિકર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિક અગ્રણી ફૂલસિંહ પટેલે જણાવ્યું કે તેમને રાત્રે સાડાઅગિયાર વાગ્યે અકસ્માતની જાણ મળી હતી. માહિતી મળ્યા બાદ તેમણે સાંસદનો સંપર્ક કર્યો હતો, જેમણે જયપુરથી તાત્કાલિક મદદ માટે સૂચના આપી. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા બાદ ગાડીના માલિકે જણાવ્યું કે જયપુરથી બીજી ગાડી મોકલીને તમામ લોકોને વલસાડ પરત લાવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.

ફૂલસિંહ પટેલે વધુમાં જણાવ્યું કે એક યુવકનું અકસ્માતમાં મોત થયું છે. તેના માતા-પિતા તો સાથે જ છે, પરંતુ તેની પત્નીને હજી સુધી ઘટના અંગે જાણ કરવામાં આવી નથી.

ફલધરા ગામના અગ્રણી ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું કે ગામના 18 લોકો આ પ્રવાસમાં સામેલ હતા. 2 ડિસેમ્બરના રોજ બસ વલસાડથી નીકળી હતી. વૈષ્ણોદેવીનાં દર્શન બાદ બધા લોકો ગુજરાત પરત ફરી રહ્યા હતા ત્યારે આ ભયાનક દુર્ઘટના બની હતી.

રોહિંગ્યા મુદ્દે CJI સુર્યકાંતના નિવેદન પર વિવાદ, 44 ભૂતપૂર્વ જજોએ આપ્યો ટેકો

0

દેશમાં રોહિંગ્યાઓ સંબંધિત એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી સામે ચલાવવામાં આવી રહેલા અભિયાન અને પ્રશ્નોની 44 નિવૃત્ત ન્યાયાધીશોએ ટીકા કરી છે. આ નિવૃત્ત ન્યાયાધીશોએ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની ટિપ્પણી પર પ્રશ્નો ઉઠાવનારાઓને કડક હાથે લીધા છે અને CJI ને સમર્થન આપતો પત્ર જારી કર્યો છે. તાજેતરમાં, નિવૃત્ત હાઇકોર્ટના ન્યાયાધીશો, વરિષ્ઠ વકીલો અને કાનૂની વિદ્વાનોએ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને એક ખુલ્લો પત્ર લખીને તેમની ટિપ્પણીને અવિવેકી ગણાવી હતી. હવે નિવૃત્ત ન્યાયાધીશો આ અભિયાનનો વિરોધ કરી રહ્યા છે.

જસ્ટિસ સૂર્યકાંતે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટ પ્રખ્યાત લેખિકા અને માનવાધિકાર કાર્યકર્તા ડૉ. રીતા મનચંદા દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ભારતમાં રોહિંગ્યા શરણાર્થીઓને અટકાયતમાં લેવામાં આવી રહ્યા છે અને પછી ગાયબ કરવામાં આવી રહ્યા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે જવાબ આપ્યો, “રોહિંગ્યા શરણાર્થીનો દરજ્જો કોણે આપ્યો? તમે (રોહિંગ્યા) પહેલા સુરંગ ખોદીને અથવા વાડ ઓળંગીને ગેરકાયદેસર રીતે પ્રવેશ કરો છો, અને પછી ખોરાક, પાણી અને શિક્ષણનો અધિકાર માંગો છો.” આ ટિપ્પણી પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને મુખ્ય ન્યાયાધીશને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

તેમના પત્રમાં, 44 નિવૃત્ત ન્યાયાધીશોએ લખ્યું છે કે અમે, નિવૃત્ત ન્યાયાધીશો, રોહિંગ્યા સ્થળાંતર કરનારાઓ સંબંધિત કાર્યવાહીમાં માનનીય મુખ્ય ન્યાયાધીશની ટિપ્પણીઓ પછી તેમને લક્ષ્ય બનાવતા ઇરાદાપૂર્વકના અભિયાન સામે અમારો સખત વાંધો વ્યક્ત કરીએ છીએ.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “ન્યાયિક કાર્યવાહીની વાજબી અને વાજબી ટીકા થઈ શકે છે અને થવી જોઈએ. જો કે, આપણે જે જોઈ રહ્યા છીએ તે સિદ્ધાંતો પર મતભેદ નથી, પરંતુ નિયમિત કોર્ટરૂમની કાર્યવાહીને ભેદભાવપૂર્ણ તરીકે દર્શાવીને ન્યાયતંત્રને ખલનાયક બનાવવાનો પ્રયાસ છે. મુખ્ય ન્યાયાધીશ પર સૌથી મૂળભૂત કાનૂની પ્રશ્ન પૂછવા બદલ હુમલો કરવામાં આવી રહ્યો છે: કાયદા દ્વારા, કોર્ટ સમક્ષ દાવો કરવામાં આવી રહેલો દરજ્જો કોણે આપ્યો? જ્યાં સુધી આ મર્યાદાને પહેલા સંબોધવામાં ન આવે ત્યાં સુધી અધિકારો અથવા હકદારી પર કોઈ નિર્ણય આગળ વધી શકતો નથી.”

તેવી જ રીતે, આ ઝુંબેશ સુપ્રીમ કોર્ટની બેન્ચના સ્પષ્ટ નિવેદનને સરળતાથી અવગણે છે કે ભારતીય ભૂમિ પર કોઈપણ માનવી, નાગરિક કે વિદેશી, પર ત્રાસ, ગુમ થવું કે અમાનવીય વર્તન થવું જોઈએ નહીં, અને દરેક માનવી આદરને પાત્ર છે. આને દબાવવા અને પછી કોર્ટ પર “અમાનવીયકરણ”નો આરોપ લગાવવો એ ખરેખર જે કહેવામાં આવ્યું હતું તેનું ઘોર વિકૃતિકરણ છે.

આ સંદર્ભમાં, અમે કેટલાક મૂળભૂત મુદ્દાઓ દર્શાવવાનું મહત્વપૂર્ણ માનીએ છીએ:

  • રોહિંગ્યા ભારતીય કાયદા હેઠળ શરણાર્થી તરીકે ભારતમાં પ્રવેશ્યા નથી. તેમને કોઈ કાનૂની શરણાર્થી-સુરક્ષા માળખા દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો નથી. મોટાભાગના કિસ્સાઓમાં, તેમનો પ્રવેશ અનિયમિત અથવા ગેરકાયદેસર છે, અને તેઓ ફક્ત તેનો દાવો કરીને તે સ્થિતિને કાયદેસર રીતે માન્ય “શરણાર્થી” સ્થિતિમાં બદલી શકતા નથી.
  • ભારતે 1951ના યુએન રેફ્યુજી કન્વેન્શન કે તેના 1967ના પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા નથી. તેની સરહદો પાર કરનારાઓ પ્રત્યે ભારતની જવાબદારીઓ તેના બંધારણ, વિદેશીઓ અને ઇમિગ્રેશન અંગેના તેના સ્થાનિક કાયદાઓ અને સામાન્ય માનવ અધિકારોના ધોરણો દ્વારા સંચાલિત થાય છે.
  • ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સે આધાર કાર્ડ, રેશન કાર્ડ અને અન્ય ભારતીય દસ્તાવેજો કેવી રીતે મેળવ્યા છે તે એક ગંભીર અને કાયદેસર ચિંતાનો વિષય છે. આ દસ્તાવેજો નાગરિકો અથવા કાયદેસર રહેવાસીઓ માટે છે. તેમનો દુરુપયોગ આપણી ઓળખ અને કલ્યાણ પ્રણાલીઓની અખંડિતતાને નબળી પાડે છે અને દસ્તાવેજ છેતરપિંડી અને મિલીભગતના સંગઠિત નેટવર્ક વિશે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

Meesho IPO લિસ્ટિંગ પર પૈસાનો વરસાદ, 46 ટકા પ્રીમિયમ સાથે રોકાણકારોએ મળવ્યું જોરદાર રિટર્ન

0

આજે દલાલ સ્ટ્રીટ પર મીશોના શેર આખરે લિસ્ટ થયો છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મના IPO એ શેરબજારમાં મજબૂત એન્ટ્રી કરી, રોકાણકારોને બમ્પર નફો આપ્યો. મીશોના શેર NSE પર ₹162.50 પર લિસ્ટ થયા, જે 46.39 ટકાનો વધારો દર્શાવે છે, જ્યારે BSE પર, તેઓ ₹161.20 પર લિસ્ટ થયા, જે 45.22 ટકાનો વધારો દર્શાવે છે.

કોટક મહિન્દ્રા કેપિટલ કંપનીએ બુક રનિંગ લીડ મેનેજર તરીકે કામ કર્યું. KFin ટેક્નોલોજીસે ઇશ્યૂ માટે રજિસ્ટ્રાર તરીકે કામ કર્યું.

એ નોંધવું જોઈએ કે લિસ્ટિંગ પહેલાં, કંપનીનો ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) 4 ડિસેમ્બરે 44.6% થી ઘટીને 32% થયો હતો. IPO 3 ડિસેમ્બરે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો અને 5 ડિસેમ્બરે બંધ થયો.

કંપનીએ ₹4,250.00 કરોડમાં 38.29 કરોડ નવા શેર અને ₹1,171.20 કરોડમાં 10.55 કરોડ શેરના વેચાણ માટે ઓફર દ્વારા જાહેર જનતા પાસેથી ₹5,421.20 કરોડ એકત્ર કર્યા. મીશોએ પ્રતિ ઇક્વિટી શેર ₹105 થી ₹111 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. શેરની ફાળવણી 8 ડિસેમ્બરે થઈ હતી.

અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની 12 ફ્લાઇટ કેન્સલ, મુસાફરો ફરી મુશ્કેલીમાં

0

ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ થવાનો સિલસિલો હજી પણ યથાવત જ છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની 12 ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરો ફરી એકવાર અટવાયા છે.

અમદાવાદ આવતી અને જતી ઇન્ડિગોની કુલ 12 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટો રદ થવા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ આ સતત રદીકરણના કારણે અનેક મુસાફરોના પ્રવાસ કાર્યક્રમો ખોરવાયા છે. ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા અને રિફંડ માટે લાંબી રાહ જોવી પડી રહી છે. ઇન્ડિગો તરફથી આ સમસ્યાના કાયમી ઉકેલ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ઈન્ડિગોની ફ્લાઈટો રદ્દ થવાની માહિતી સામે આવી રહી છે. જેના કારણે મોટા ભાગના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જયારે હજી પણ મોટા ભાગના એરપોર્ટ પર ફ્લાઈટ રદ્દ થવાનો સિલસિલો યથાવત જ રહ્યો છે.