Home Blog Page 211

સોના-ચાંદીમાં ભારે ઉછાળો: ચાંદી રૂ. 3 લાખને પાર, ભાવ વધારાના મુખ્ય કારણો

0

સોનાં અને ચાંદીના ભાવે મોટો છલાંગ લગાવી છે. આજે સોમાવરે વાયદા બજારમાં સોનાં અને ચાંદીના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર ગોલ્ડ ફેબ્રુઆરી ફ્યુચર્સમાં લગભગ ₹3,000 (2 ટકા) થી વધુનો વધારો નોંધાયો અને સર્વકાલીન ઉચ્ચ સ્તર ₹1,45,500 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો. MCX સિલ્વર માર્ચ ફ્યુચર્સમાં જંગી ₹13,550 (5 ટકા)નો ઉછળો નોંધાયો અને ₹3,01,315 પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે પહોંચ્યો.

આજે મુંબઈમાં સોનાના ભાવ:

  • 24 કેરેટ- ₹ 14,569 પ્રતિ ગ્રામ
  • 22 કેરેટ- ₹ 13,355 પ્રતિ ગ્રામ
  • 18 કેરેટ- ₹ 10,927 પ્રતિ ગ્રામ

દિલ્હીમાં સોનાનો ભાવ:
24 કેરેટ- ₹ 14,584 પ્રતિ ગ્રામ
22 કેરેટ- ₹ 13,370 પ્રતિ ગ્રામ
18 કેરેટ- ₹ 10,942 પ્રતિ ગ્રામ

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ:
અહેવાલ મુજબ સિંગાપોરમાં સવારે સોનાનો ભાવ 1.6 ટકા વધીને 4668.76 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. ચાંદી 3.2 ટકા વધીને 92.0211 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો હતો.

આ કારણે વધી રહ્યા છે ભાવ:
નોંધનીય છે એક વેનેઝુએલા બાદ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજર ગ્રીનલેન્ડ પર છે. યુએસએ યુરોપના 8 દેશો પર ટેરિફ લાદ્યો છે. વૈશ્વિક રાજકારણમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે, જેની સીધી અસર કોમોડિટી બજાર પર જોવા મળી રહી છે.

સોના બાદ ચાંદી ગરમી અને વીજળી બંનેનું ઝડપી વાહક છે. ઇલેક્ટ્રોનિક્સ, સોલાર એનર્જી અને ઓટો ઉદ્યોગમાં ચાંદીનો વ્યાપકપણે થાય છે. જેથી ચાંદીની ઔદ્યોગિક માંગ વધુ છે અને પુરવઠો ઓછો છે.

ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર ધોરણ 10ના વિદ્યાર્થી પર છરીથી હુમલો, શહેરમાં ચકચાર

અમદાવાદમાં તાજેતરના સમયમાં શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે હિંસાની ઘટનાઓ વધી રહી છે, જેમાં જૂના ઝઘડા જીવલેણ હુમલામાં ફેરવાઈ જાય છે. આવી જ એક ઘટના ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલ બહાર બની, જ્યાં ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો. પીડિતને ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ હુમલો કેટલાક દિવસ પહેલાંના વિવાદને કારણે થયો હતો.

આ પહેલાં પણ સૌથી ચર્ચિત અને દુઃખદ ઘટના સેવન્થ-ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં બની હતી. ખોખરા વિસ્તારમાં ધોરણ 10ના 15 વર્ષીય વિદ્યાર્થી નયન સંતાની પર તેના જુનિયર વિદ્યાર્થીએ બોક્સ કટર વડે જીવલેણ હુમલો કર્યો. હુમલો શાળા બહાર થયો, પરંતુ નયન ઈજાગ્રસ્ત હાલતમાં કેમ્પસમાં પ્રવેશ્યો અને પછી ઢળી પડ્યો. CCTVમાં જોવા મળ્યું કે આસપાસના વિદ્યાર્થીઓ ભેગા થયા, પરંતુ સ્ટાફ કે સિક્યોરિટીએ તાત્કાલિક મદદ ન કરી. લગભગ અડધા કલાક પછી માતા અને અન્ય મહિલાઓએ રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયા પણ તેનું મોત થયું.

આ બંને ઘટનાઓ શાળાઓમાં વધતી હિંસા અને વિદ્યાર્થીઓ વચ્ચેના નાના વિવાદોને જીવલેણ સ્તરે પહોંચવાની ગંભીર સમસ્યા દર્શાવે છે. વાલીઓ અને સમાજ આવી ઘટનાઓને રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા અને કાઉન્સેલિંગ પર વધુ ધ્યાન આપવાની માંગ કરી રહ્યા છે.

સુરતના ઉધનામાં પ્લાસ્ટિક ગોડાઉનમાં ભીષણ આગ, પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આજે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઉધના રોડ નંબર 3 પર આવેલી ધરતી નમકીન પાસેના એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના કાળા ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આગ લાગતા જ આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યાં કામ કરી રહેલા શ્રમિકો તેની ઝપેટમાં આવી ગયા હતા.

આ દુર્ઘટનામાં ગોડાઉનમાં હાજર 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાના અહેવાલ છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા પાંચ લોકોને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

નવી સિવિલ હોસ્પિટલના CMO શીતલ ખેરડીયાના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ લાવવામાં આવેલા પાંચેય દર્દીઓ 30 થી 50 ટકા સુધી ગંભીર રીતે દાઝી ગયા છે. હાલમાં તમામ દર્દીઓની હાલત નાજુક ગણાવવામાં આવી રહી છે અને સિવિલના તબીબો દ્વારા તેમને સઘન સારવાર આપવામાં આવી રહી છે.

સત્તાવાર નિવેદનો
ઘટના સ્થળે પહોંચેલા ફેક્ટરી માલિક રફીક મેમને પણ અકસ્માત અંગે વિગતો આપી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે, પરંતુ ગંભીર રીતે દાઝેલા શ્રમિકોના પરિવારોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. પોલીસ અને પ્રશાસન દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્પેનમાં બે હાઈ-સ્પીડ ટ્રેન સામ-સામે અથડાતા 21ના મોત, અનેક ઘાયલ

0

સ્પેનનાકોર્ડોબામાંએડમ્યુઝ સ્ટેશન પાસે રવિવારે સાંજે 5:40 GMT (ભારતીય સમય મુજબ રાત્રે 11:10) વાગ્યે થઈ હતી. સ્પેનની રેલ સંસ્થા ADIFએ જણાવ્યું કે, મલાગાથીમેડ્રિડ જઈ રહેલી ટ્રેન (ઈર્યો 6189) પાટા પરથી ઉતરી ગઈ અને બાજુના ટ્રેક પર ચાલી ગઈ. તે જ સમયે, સામેથી મેડ્રિડથીહુએલ્વા જઈ રહેલી બીજી ટ્રેન સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી.

સ્પેનમાં બે હાઇ-સ્પીડટ્રેનો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં 20 થી વધુ લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. સ્પેનના પરિવહન મંત્રીએ જણાવ્યું હતું કે દક્ષિણ સ્પેનમાં એક હાઇ-સ્પીડ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને વિરુદ્ધ દિશામાંથી આવતી બીજી ટ્રેન સાથે અથડાતાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા છે.

રેલ ઓપરેટર એડિફના જણાવ્યા અનુસાર, માલાગા અને મેડ્રિડ વચ્ચે દોડતી એક ટ્રેન, જેમાં આશરે 300 મુસાફરો હતા, સ્થાનિક સમય મુજબ સાંજે 7:45 વાગ્યે કોર્ડોબા નજીક પાટા પરથી ઉતરી ગઈ, બીજી ટ્રેનને પાર કરી ગઈ અને મેડ્રિડથી દક્ષિણ સ્પેનના બીજા શહેર હુએલ્વા જતી બીજી ટ્રેન સાથે અથડાઈ. ટ્રેનમાં આશરે 200 મુસાફરો હતા.

સ્પેનિશ પરિવહન મંત્રી ઓસ્કરપુએન્ટેએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં 21 લોકો માર્યા ગયા છે. તેમણે ઉમેર્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે અને અન્ય મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

ગણતંત્ર દિવસ પહેલાં દેશભરમાં હાઈ એલર્ટ, દિલ્હી સહિત અનેક શહેરોમાં આતંકી હુમલાની આશંકા

0

26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસના સમારોહ પહેલાં દેશની સુરક્ષા એજન્સીઓએ મોટું એલર્ટ જાહેર કર્યું છે. ખાલિસ્તાની આતંકી સંગઠનો અને બાંગ્લાદેશ આધારિત આતંકી સંગઠનો દિલ્હી તથા દેશનાં અન્ય અનેક શહેરોને નિશાન બનાવવાની કોશિશ કરે એવી શક્યતા છે, એમ ઇન્ટેલિજન્સ સૂત્રોએ જણાવ્યું હતું. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે.

ઇન્ટેલિજન્સ એલર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પંજાબના ગેંગસ્ટર વિદેશથી કામ કરતા ખાલિસ્તાની અને કટ્ટરપંથી હેન્ડલર્સ માટે ફૂટ સોલ્જર તરીકે કામ કરી રહ્યા છે. આરોપ છે કે આ હેન્ડલર્સ પોતાના એજન્ડાને આગળ ધપાવવા અને દેશની આંતરિક સુરક્ષાને ખોરવવા માટે ગુનાહિત નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે.

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ભારત વિરુદ્ધ મોટું કાવતરું રચી રહ્યું છે. આ મુદ્દે ગુપ્તચર એજન્સીઓએ આતંકી હુમલાના ષડયંત્ર અંગે ચેતવણી જારી કરી છે. એજન્સીઓનું કહેવું છે કે જૈશના અલ-કાયદા, તાલિબાન અને હક્કાની નેટવર્ક જેવાં ખતરનાક સંગઠનો સાથે મજબૂત સંબંધો છે અને આ બધાં જૂથો મળીને IED આધારિત હુમલાઓની યોજના બનાવી રહ્યા છે. બીજી તરફ, જૈશ-એ-મોહમ્મદનો સરગણા મૌલાના મસૂદ અઝહર ‘ઓપરેશન સિંદૂર’ બાદથી ખૂબ સક્રિય થયો છે અને ભારત વિરુદ્ધ સતત ઝેર ઓકી રહ્યો છે.જૈશના સરગના મૌલાના મસૂદ અઝહર અને તેનો સહયોગી રઉફ અસગર ભારત અંદર આતંકી હુમલાઓની યોજના બનાવી રહ્યા છે અને તેને અંજામ આપવા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. આશંકા છે કે સંગઠન આવનારા દિવસોમાં IED હુમલો કરવાની કોશિશ કરે એવી શક્યતા છે, એમ સૂત્રોએ જણાવ્યા હતું.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જૈશના કમાન્ડર મહંમદ મુસદ્દિક અને મસૂદ કાશ્મીરી કાશ્મીરમાં હાજર આતંકીઓને હુમલાઓ અંગેના નિર્દેશ આપી રહ્યા છે. મોહમ્મદ મુસદ્દિક સરહદ પારથી જૈશના આતંકીઓને ભારત અંદર ઘૂસણખોરી કરાવવામાં પણ મદદ કરી રહ્યો છે.

Matar Kachori Recipe: મટર કચોરી રેસીપી, ક્રિસ્પી અને ચટાકેદાર બધાને ભાવશે!

0

શિયાળામાં વટાણા સસ્તા ભાવે મળે છે અને ભરપૂર માત્રામાં મળે છે, આ શાકભાજી પ્રોટીનથી ભરપૂર છે, ઘણા લોકો આખા વર્ષ માટે આ સીઝનમાં વટાણા ફ્રોઝન કરીને રાખે છે, આ ઉપરાંત ખાસ સીઝનમાં મળતા વટાણામાંથી અનેક રેસીપી પણ ટ્રાય કરે છે, જેમાં મટર કચોરીનો સ્વાદ અનેરો હોય છે, આ ક્રિસ્પી રેસીપી બાળકોથી લઇ મોટા બધાને ભાવે છે, અહીં જાણો મટર કચોરી રેસીપી

મટર કચોરી ખુબજ ક્રિસ્પી, ટેસ્ટી અને લાજવાબ બને છે, આ ખાસ મીની કચોરી બનાવવા માટે વટાણા, અન્ય શાકભાજી જો તમારે ઉમેરવા હોય તો બાકી ડ્રાય મસાલા ઉમેરીને સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે, તેને મેંદા અથવા ઘઉંના બાંધેલા લોટમાંથી નાની રોટલી કરી સ્ટફિંગ કરીને તળીને બનાવવામાં આવે છે.

મટર કચોરી રેસીપી

  • મટર કચોરી રેસીપી સામગ્રી
  • 100 ગ્રામ મટર
  • 1 ચમચી ધાણા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી વરિયાળી
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 2 લીલા મરચાં
  • 1 ઇંચ આદુ
  • 1 કપ મેંદો
  • 1 ચમચી અજમો
  • 3 ચમચી ઘી
  • પાણી – જરૂર મુજબ
  • તેલ – તળવા માટે

મટર કચોરી બનાવાની રીત
સૌ પ્રથમ લીલા વટાણાને આદુ અને લીલા મરચાં સાથે સમારી લો. આખા મસાલાને ડ્રાય શેકીને બારીક પાવડર બનાવો.

  • એક પેનમાં તેલ ઉમેરો, મસાલા પાવડરને અન્ય મસાલા સાથે ઉમેરો અને મિક્સ કરો. લીલા વટાણામાં મીઠું મિક્સ કરો અને સારી રીતે મિક્સ કરો. 4-5 મિનિટ માટે કુક કરો.
  • ઉલ્લેખિત બધી સામગ્રીને મિક્સ કરીને નરમ કણક ભેળવો અને તેને 5 મિનિટ માટે રાખો.
  • હવે લોટ બાંધો, એમાંથી થોડો લોટ લઈને રોટલી વણીને એમાં વચ્ચે લીલા વટાણાનું સ્ટફિંગ ભરો પછી તેને કચોરીનો આકર આપો.
  • ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. થોડી ચટણી સાથે ગરમ ગરમ આનંદ માણો.

બોલિવૂડમાં નથી મળતું કામ, એઆર રહેમાનના નિવેદન પર જાવેદ અખ્તર સહિતના લોકોએ જવાબ આપ્યો

ઓસ્કર વિજેતા મ્યુઝિક કમ્પોઝર એઆર રહેમાનના ‘કોમ્યુનલ’ (સાંપ્રદાયિક) નિવેદનને કારણે બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે. રહેમાને દાવો કર્યો છે કે તેમને છેલ્લા 8 વર્ષથી બોલિવૂડમાં કામ મળતું નથી, જેની પાછળનું કારણ ઉદ્યોગમાં બદલાયેલી સત્તા અને અમુક પ્રકારની નકારાત્મક માનસિકતા હોઈ શકે છે. આ નિવેદન બાદ જાવેદ અખ્તર Javed Akhtar, શાન અને શંકર મહાદેવન જેવા દિગ્ગજોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

રહેમાને શું વિવાદાસ્પદ દાવો કર્યો?
એક ઈન્ટરવ્યૂમાં જાણીતા સંગીતકાર રહેમાને બોલિવૂડમાં સાંપ્રદાયિક્તાને લઈને મોટું નિવેદન આપતા વિવાદ ઊભો થયો છે. તેમણે કહ્યું છે કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા આઠ વર્ષથી તેમને કામ નથી મળ્યું. મ્યુઝિક ઈન્ડસ્ટ્રી હવે સંગીતકારો અને ડાયરેક્ટર નહીં પણ કોર્પોરેટ સંસ્થાઓના હાથમાં જતી રહી છે. ઈન્ડસ્ટ્રીની સત્તા તેવા લોકોના હાથમાં છે જે ક્રિએટિવ નથી. મને કામ ન મળવા પાછળ સાંપ્રદાયિક કારણ પણ જવાબદાર હોઈ શકે છે. જોકે આ બધુ સીધું જ મારી સામે નથી થતું, આવી વાતો મને સાંભળવા મળે છે. જોકે હું કામની શોધમાં નથી, જે કામ મને મળે છે તેમાં હું ખુશ છું.

જાવેદ અખ્તરની અસંમતિ
આ મુદ્દે ગીતકાર જાવેદ અખ્તરે કહ્યું છે કે મને આવું નથી લાગતું. હું મુંબઈમાં જ રહું છું અને સૌ કોઈને મળતો રહું છું. લોકો મને ખૂબ સન્માન આપે છે. મને લાગે છે ત્યાં સુધી ઈન્ડસ્ટ્રીના લોકો એમ સમજે છે કે એ. આર. રહેમાન વિદેશના પ્રોજેક્ટ્સમાં વધુ વ્યસ્ત રહે છે. એવામાં લોકોને સંકોચ થતો હશે કે એ. આર. રહેમાન આવશે કે નહીં આવે. તેઓ મહાન વ્યક્તિ છે તેથી નાના પ્રોડ્યુસર તેમની પાસે જતાં ખચકાય છે.

શાને સ્પષ્ટ કર્યું કે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં કોઈ ધાર્મિક ભેદભાવ નથી
બોલિવૂડ સિંગર શાને આ મામલે કહ્યું છે કે લોકોના પોતપોતાનાં વિચાર હોઈ શકે. પણ જે તે સંગીતકાર અને ગીતકાર પોતાના વિચારો પ્રમાણે નિર્ણય લેતા હોય છે. મને પણ ઘણી વાર કામ નથી મળતું. પણ હું ક્યારેય તેને વ્યક્તિગતરૂપે નથી લેતો. આપણને કેટલું કામ મળશે તે આપણાં હાથમાં નથી. જે કામ મળે તે સારી રીતે કરવું જોઈએ. મને નથી લાગતું કે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં કોઈ સાંપ્રદાયિકતા છે. જો આવું જ હોત તો બોલિવૂડના ત્રણેય સુપરસ્ટાર્સ(ખાન ત્રિપુટી) લઘુમતી સમુદાયના છે.

સર્જક અને વિતરક વચ્ચેનો તફાવત: શંકર મહાદેવ
સિંગર શંકર મહાદેવને આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે હું તમારી વાત સમજી શકું છું. ગીતનું નિર્માણ કરનારા અને ગીત રિલીઝ કરનારા બે અલગ અલગ વ્યક્તિ હોય છે. એવામાં ઘણીવાર ગીત અંગે નિર્ણય લેનારા લોકો સંગીત સાથે જોડાયેલા નથી હોતા. ઘણીવાર જેમ આપણે ઈચ્છીએ તેમ બધુ નથી થતું, કોઈ બીજી વ્યક્તિ તેના નિર્ણય લે છે.

માલદામાં વડાપ્રધાન મોદીની જનસભા, દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના માલદામાં એક જંગી જનસભાને સંબોધન કર્યું હતું. આ સાથે તેમણે દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલીઝંડી આપી હતી. તેમજ પશ્ચિમ બંગાળને હજારો કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપતા કહ્યું હતું કે બંગાળમાં પણ અમે સુશાસન લાવીશું.

વંદે ભારત સ્લીપર ટ્રેનની ખાસિયતો

  • મુસાફરીનો સમય: હાવડા અને ગુવાહાટી વચ્ચે મુસાફરીમાં અત્યારે લગભગ 17 કલાક લાગે છે, જે આ ટ્રેન શરૂ થવાથી ઘટીને 14 કલાક થઈ જશે.
  • ઝડપ: આ ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે.
  • કોચની સુવિધા: ટ્રેનમાં કુલ 16 આધુનિક કોચ છે, જેમાં કુલ 1128 મુસાફરો મુસાફરી કરી શકશે.
  • આરામદાયક મુસાફરી: અત્યાર સુધીની વંદે ભારત ટ્રેનો માત્ર બેસવાની સુવિધા (ચેર કાર) આપતી હતી, પરંતુ આ સ્લીપર ટ્રેનમાં મુસાફરો રાત્રે આરામથી સૂઈને લાંબા અંતરની મુસાફરી કરી શકશે.
  • ટેકનોલોજી: ટ્રેનમાં એરોડાયનેમિક ડિઝાઇન અને આધુનિક સસ્પેન્શન સિસ્ટમ છે, જેના કારણે ટ્રેનમાં ઝટકા અને અવાજ ઓછા અનુભવાશે.

ટિકિટનો અંદાજિત દર (ભાડું)
ટ્રેનમાં 11 એસી-3 ટિયર, 4 એસી-2 ટિયર અને 1 ફર્સ્ટ એસી કોચ છે. ભાડાની વિગત નીચે મુજબ છે:

  • થર્ડ એસી (3AC): અંદાજે રૂ.2300
  • સેકન્ડ એસી (2AC): અંદાજે રૂ.3000
  • ફર્સ્ટ એસી (1AC): અંદાજે રૂ.3600

અલ-ફલાહ યુનિવર્સિટીની 140 કરોડની સંપત્તિ જપ્ત, ચાર્જશીટ દાખલ

0

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ શુક્રવારે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ અલ-ફલાહ યુનિવર્સિટી સામે મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ હરિયાણામાં આવેલી આ યુનિવર્સિટીની આશરે રૂ. 140 કરોડની અચલ સંપત્તિને અસ્થાયી રીતે જપ્ત કરી છે. આ કાર્યવાહી 10 નવેમ્બરસ 2025એ દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા ભીષણ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ સાથે જોડાયેલા ‘વ્હાઇટ-કોલર’ આતંકી મોડ્યુલની તપાસ બાદ કરવામાં આવી છે. તપાસમાં ખૂલ્યું છે કે આ યુનિવર્સિટી માત્ર નાણાકીય છેતરપિંડીનું કેન્દ્ર જ નહોતી, પરંતુ આતંકી પ્રવૃત્તિઓ માટે એક ઓપરેશનલ હબ તરીકે પણ તેનો ઉપયોગ થતો હતો.

EDએ યુનિવર્સિટીની સંપત્તિઓને ‘અપરાધની આવક’ તરીકે ગણાવી છે. ફરીદાબાદના ધૌજ વિસ્તારમાં આવેલી 54 એકર જમીન, યુનિવર્સિટીની મુખ્ય વહીવટી ઇમારતો, વિવિધ વિભાગીય બ્લોક્સ અને વિદ્યાર્થી હોસ્ટેલ્સને કબજે કરવામાં આવ્યાં છે. યુનિવર્સિટીના ચેરમેન જવાદ અહમદ સિદ્દીકી અને અલ-ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ પર રૂ. 493 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. એજન્સીનો દાવો છે કે ટ્રસ્ટે NAAC અને UGCની ખોટી માન્યતાનો હવાલો આપી વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી કરોડો રૂપિયાની ફી વસૂલી હતી.

લાલ કિલ્લા બ્લાસ્ટના આતંકીઓ સાથે જોડાણ
NIAએ જ્યારે 15 લોકોના જીવ લેનારા લાલ કિલ્લા બોમ્બ વિસ્ફોટના તાર અહીંથી જોડાયેલા હોવાનું શોધ્યું, ત્યારે યુનિવર્સિટી પર સંકટ વધુ ઘેરાયું. વિસ્ફોટ કરનાર આત્મઘાતી હુમલાખોર ડો. ઉમર ઉન નબી અલ-ફલાહના મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતો. તપાસમાં ખુલાસો થયો છે કે કેમ્પસનો ઉપયોગ ટેક્નિકલ યોજના બનાવવા અને વિસ્ફોટકો સંગ્રહવા માટે કરવામાં આવતો હતો. આ સેલમાં તાલીમપ્રાપ્ત મેડિકલ વ્યાવસાયિકો સામેલ હતા, જેમના સંબંધ ઇન્ડિયન મુજાહિદીન અને વિદેશી હેન્ડલર્સ સાથે હોવાનું જાણવા મળ્યું છે. EDએ જવાદ સિદ્દીકી સામે ચાર્જશીટ દાખલ કરી છે, જે નવેમ્બર 2025થી ન્યાયિક કસ્ટડીમાં છે.

જામનગર બાદ જુનાગઢમાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ, ખેડૂત સભામાં ભારે હોબાળો

જુનાગઢના ગડુમાં AAPની ખેડૂત સભામાં જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યાં ગોપાલ ઈટાલિયા ભાષણ આપવા માટે ઉભા થાય છે તે દરમિયાન એક શખ્સ નજીક આવીને તેમની પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરે છે તે પહેલા કાર્યકર્તાઓનું ધ્યાન પડે છે અને તે શખ્સને ઝડપી પોલીસને સોંપવામાં આવે છે.

જો કે, સદનસીબે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે, અગાઉ પણ એક સભામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું હતુ અને કાર્યકરની નજરે પડતા શખ્સને પકડી લીધો અને જૂતું ફેંકવાનો પ્રયાસ કરનારને પોલીસને સોંપાયો છે, આ મામલે ગોપાલ ઈટાલિયાનું કહેવું છે કે, રાજકીય ઇશારે જૂતું ફેંકાયું છે.

ગોપાલ ઈટાલિયા સાથે આ પ્રકારની ઘટના પહેલીવાર બની નથી. આ અગાઉ જામનગર ખાતે પણ એક કાર્યક્રમ દરમિયાન તેમના પર જૂતું ફેંકવાની ઘટના બની હતી. જામનગરની એ ઘટના બાદ ફરી એકવાર માળિયા હાટીનામાં એનું પુનરાવર્તન થતાં સુરક્ષા-વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવી સખત શબ્દોમાં વખોડી કાઢી છે.

આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે તે શખ્સની પૂછપરછ શરૂ કરી છે, આ શખ્સ કોણ છે તેની ઓળખ હજી થઈ નથી અને સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી.

ગોપાલ ઈટાલિયા તેમનું ભાષણ કરવા માટે સ્ટેજ પર પહોંચ્યા અને તેઓ ખેડૂતોને સંબોધિત કરી રહ્યાં હતા અને ભાષણ દરમિયાન એક શખ્સ તેમની તરફ જૂતું ફેંકવાનો પ્રયાસ કરી રહ્યો છે અને કાર્યકરોનું ધ્યાન જતા તેને ઝડપી લેવામાં આવે છે, આ સમગ્ર ઘટનામાં ગોપાલ ઈટાલિયાને કોઈ ઈજા પહોંચી છે, અને કોના કહેવાથી આ કરવામાં આવ્યું તેને લઈ પોલીસની પણ તપાસ ચાલી રહી છે.