Home Blog Page 197

સિંગર બી પ્રાકને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી, 10 કરોડની ખંડણીની માંગ

0

લોરેન્સ બિશ્નોઈ ગેંગ અત્યારસુધી ઘણી જાણીતી ફિલ્મી સેલિબ્રિટીને ધમકી આપી ચૂકી છે. આ ગેંગે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનું તો એન્કાઉન્ટર જ કરાવી નાખ્યું હતું. ત્યારે હવે વધુ એક સિંગર પર આ ગેંગની નજર પડી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે જાણીતા ગાયક બી પ્રાકને ધમકી આપી છે.

સિંગર દિલનૂરને આવ્યો ધમકીભર્યો વોઈસ મેસેજ
લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સિંગર બી પ્રાક પાસે 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. જો આ રકમ નહીં આપવામાં આવે તો તેને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક મેંમ્બરે બી પ્રાકના સાથી દિલનૂરને ફોન કરીને કહ્યું હતું કે, “10 કરોડ રૂપિયા આપ, નહીંતર માટીમાં ભેળવી દઈશું.” ધમકી આપનારે પોતાની ઓળખ આરજુ બિશ્નોઈ તરીકે આપી હતી અને એક અઠવાડિયાની અંદર આ રકમ ચૂકવવા કહ્યું હતું.

લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા આપવામાં આવેલી ધમકીને લઈને મોહાલી ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પંજાબી સિંગર દિલનૂરે SSP મોહાલી પાસે ફરિયાદમાં લખાવ્યું છે કે, “કોલ કરવા વાળાએ પોતાને આરજુ બિશ્નોઈ ગણાવીને કહ્યું કે, તારા મિત્ર, બોલીવૂડ અને પંજાબી સિંગર બી પ્રાકને કહીં દે કે તે 10 કરોડ રૂપિયાની ખંડણઈ આપી દે, નહીંતર એક અઠવાડિયામાં તેનું ખરાબ પરિણામ આવશે.”

મળતી માહિતી મુજબ, 5 જાન્યુઆરીના રોજ એક ફોરેન નંબરથી દિલનૂરને બે મિસ્ડ કોલ આવ્યા હતા. જેનો દિલનૂરે કોઈ જવાબ આપ્યો ન હતો. 6 જાન્યુઆરીએ બીજા ફોરેન નંબરથી કોલ આવ્યો હતો. જેને રિસિવ કરતા દિલનૂરને સામેવાળી વ્યક્તિની વાતચીત શંકાસ્પદ લાગી હતી. જેથી તેણે કોલ કાપી નાખ્યો હતો. ત્યારબાદ તરત તેને એક વોઈસ મેસેજ આવ્યો હતો. જેમાં 10 કરોડ રૂપિયાની ખંડણીની ધમકી આપવામાં આવી હતી.

સુરત: લક્ષ્મી ગ્રુપ પર સતત ત્રીજા દિવસે ITના દરોડા યથાવત

0

સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ઈન્કમટેક્સ વિભાગના દરોડા સતત ત્રીજા દિવસે પણ યથાવત રહ્યા છે. ગજેરા પરિવાર સંચાલિત એજ્યુકેશન, રિયલ એસ્ટેટ અને ડાયમંડ કંપનીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત સહિત મુંબઈની કુલ 30 જગ્યાઓ પર તપાસનો ધમધમાટ જોવા મળ્યો છે, જ્યાંથી જ્વેલરી, રોકડ રકમ તેમજ જમીન અને શેરબજારમાં કરાયેલા રોકાણોને લગતા મહત્વના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે.

ભાગેડુ મેહુલ ચોક્સીની કંપનીનો હિસ્સો ખરીદવાનો સોદો ગજેરા ગ્રુપને ભારે પડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મુંબઈની ED દ્વારા ચાર્જશીટમાં રાકેશ ગજેરાનું નામ દાખલ થયા બાદ તપાસ એજન્સીઓ વધુ સક્રિય બની છે. લક્ષ્મી ડાયમંડના ચોપડામાં કરોડોના કાળા કારોબારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ઈન્કમટેક્સ વિભાગે દસ દિવસ પહેલાં કરચોરી બાબતે નોટિસ ફટકારી હતી અને નોટિસના દસ દિવસમાં વસંત ગજેરા એન્ડ કંપની પર દરોડા પાડવામાં આવ્યા છે.

આ તપાસ પાછળ મુખ્યત્વે મોટી કરચોરીની આશંકા જવાબદાર છે. આઈટી વિભાગને માહિતી મળી હતી કે લક્ષ્મી ગ્રુપમાં ભાગેડુ મેહુલ ચોક્સીનું રોકાણ છે અને ઓફિસ સ્ટાફને ત્યાં રોકડ રકમ રાખવામાં આવતી હતી. મેહુલ ચોક્સીનું નામ મુંબઈમાં દાખલ થયેલા એક કેસની ચાર્જશીટમાં પણ સામે આવ્યું હતું, જેમાં તેના લક્ષ્મી ગ્રુપ સાથેના કનેક્શનની વિગતો મળી હતી. આ કનેક્શન મુદ્દે પણ સઘન તપાસ ચાલી રહી છે.

આવકવેરા વિભાગના અધિકારીઓ ગ્રુપ સાથે સંકળાયેલા બ્રોકરો, ભાગીદારો અને અન્ય સંબંધિત વ્યક્તિઓના રહેણાંક સ્થળો, ઓફિસો, ફેક્ટરીઓ, રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને ડાયમંડ ફેક્ટરીઓ સહિતના વિવિધ સ્થળોએ દરોડા પાડી રહ્યા છે. અધિકારીઓ દ્વારા દસ્તાવેજો જપ્ત કરવામાં આવી રહ્યા છે અને શંકાસ્પદ વસ્તુઓની પણ તપાસ થઈ રહી છે. ઘટના સ્થળે આઈટી વિભાગના અધિકારીઓની અવરજવર સતત જોવા મળી રહી છે.

આઈટી વિભાગની આ તપાસ પૂર્ણ થયા બાદ પ્રવર્તન નિર્દેશાલય (ED) પણ આ મામલે કાર્યવાહી કરી શકે છે, કારણ કે મેહુલ ચોક્સી જેવા ભાગેડુ સાથેના કનેક્શનના મામલામાં મની લોન્ડરિંગનો એંગલ પણ જોડાઈ શકે છે. સુરતમાં ચાલી રહેલી આ કાર્યવાહી ગુજરાતના સૌથી મોટા આઈટી દરોડાઓમાંની એક ગણાય છે.

11 હજાર ઊંચાઈએ ફસાયેલા સેનાના 20 જવાનોને ગ્રામજનોએ જીવ જોખમે બચાવ્યા

0

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના એક ગામના સ્થાનિકોએ 11,000 ફૂટની ઉંચાઈ પર ફસાયેલા સેનાના જવાનોની મદદ કરીને એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામના લોકોએ લગભગ પાંચ કલાક સુધી સતત પર્વતોની મુશ્કેલ ચઢાઇ ચડીને બરફમાં ફસાયેલા સૈનિકોને સુરક્ષિત બહાર કાઢયા હતા.

ગ્રામજનોએ સૈનિકો સુધી પહોંચવા માટે બરફમાંથી એક સાંકડો રસ્તો ખોદી કાઢ્યો હતો. આ ઓપરેશનમાં હિંમત અને એકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

સેનાના જવાનો કેવી રીતે ફસાયા?
જણાવવામાં આવી રહ્યું છે કે સેનાના જવાનો ઉંચા પહાડી શિખરો પર આતંકવાદ વિરોધી સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે 23 જાન્યુઆરીએ સૈનિકોએ આતંકવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન તે એન્કાઉન્ટર બાદ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં આર્મીના હવાલદાર ગજેન્દ્ર સિંહ શહીદ થયા હતા અને અન્ય સાત સૈનિકો ઘાયલ થયા હતા. આ કારણોસર સેનાએ આતંકીઓને શોધવા અને તેમને ડોડા જિલ્લામાં પ્રવેશતા રોકવા માટે ઓપરેશન વધુ તીવ્ર બનાવ્યું હતું.

જોકે ખરાબ હવામાનને કારણે સેનાના જવાનો દુર્ગમ વિસ્તારમાં ફસાઈ ગયા હતા. આવી સ્થિતિમાં સૈનિકો તરફથી ગુંદના આર્મી પોસ્ટને એક સંદેશ મોકલવામાં આવ્યો હતો. 24 જાન્યુઆરીએ ગામના સ્થાનિક લોકો પાસેથી મદદ માંગવામાં આવી હતી.

ગામના લોકોએ કેવી રીતે બચાવ્યા?
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા એક ગ્રામજને જણાવ્યું હતું કે અમે 25 જાન્યુઆરીએ સવારે 8:30 વાગ્યે બચાવ કામગીરી શરૂ કરી હતી. સેનાએ અમને શૂઝ અને કેટલાક ફૂડ પેકેટ આપ્યા હતા, જ્યારે અમે અમારી સાથે પોતાના પાવડા લઈ ગયા હતા. બપોરે લગભગ 1:30 વાગ્યે અમે આર્મીના જવાનો સુધી પહોંચ્યા અને બધાને સલામત રીતે નીચે લાવ્યા હતા.

રક્ષા મંત્રાલયના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનિલ ભારતવાલે જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોએ સેના સાથે મળીને સલામત રસ્તો બનાવ્યો હતો. આ સિવાય બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) એ ચિત્રગલ વિસ્તારમાં બચાવ કામગીરી પણ હાથ ધરી હતી. 26 જાન્યુઆરીએ બીઆરઓ અને ગ્રામજનોની મદદથી સેનાના 40 જેટલા જવાનો અને 20 નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

કચ્છ ફરી એકવાર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતા

કચ્છ જિલ્લાના ભચાઉ વિસ્તારમાં આજે બપોરે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂકંપનો આંચકો બપોરે 1.56 કલાકે નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે 11 કિમી દૂર હોવાનું જાણવા મળ્યું છે.

લોકોમાં ભયનો માહોલ
ભૂકંપના આંચકાથી કેટલાક વિસ્તારોમાં લોકો ઘરોમાંથી બહાર નીકળ્યા હતા. જોકે આ આંચકો હળવો હોવાથી કોઈ મોટી નુકસાનની માહિતી સામે આવી નથી.

કચ્છ વિસ્તાર ભારતના સૌથી વધુ ભૂકંપીય જોખમવાળા વિસ્તારોમાં ગણાય છે. 2001ના વિનાશક ભુજ ભૂકંપ (7.7 તીવ્રતા) પછી અહીં અનેક હળવા અને મધ્યમ તીવ્રતાના આંચકા નોંધાતા રહ્યા છે. તાજેતરના મહિનાઓમાં પણ ભચાઉ, રાપર, ધોળાવીરા અને આસપાસના વિસ્તારોમાં 2.5થી 4.0+ તીવ્રતાના અનેક ભૂકંપો આવ્યા છે, જે કચ્છ રિફ્ટ બેસિનની ભૂસ્તરીય પ્રવૃત્તિને દર્શાવે છે.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય

અજિત પવારના પ્લેન ક્રેશનો મોટો ખુલાસો, દુર્ઘટના પહેલાંનું સુરત કનેક્શન સામે આવ્યું

0

મહારાષ્ટ્રના પુણે જીલ્લાના બારામતીમાં તા. 28 જાન્યુઆરી 2026 ના રોજ સવારે લગભગ 8 વાગ્યે એક મીડ સાઇઝ બિઝનેસ પ્લેન (Learjet-45) દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતુ, જેમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું અવસાન થયું છે. આ દુર્ઘટનામાં વિમાન પર સવાર તમામ પાંચ લોકોના મોત થયા હતા. હવે આ પ્લેન ક્રેશ પહેલાનું આ પ્લેનનું સુરત કનેક્શન સામે આવ્યુ છે.

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના બારામતીમાં થયેલી મિડ-સાઇઝ ચાર્ટર્ડ વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશમાં હલચલ મચાવી છે. દુર્ઘટનાગ્રસ્ત થયેલું Learjet-45 વિમાન ગુજરાતના સુરત સાથે સીધું કનેક્શન ધરાવતું હોવાનું સામે આવ્યું છે. આ વિમાન છેલ્લા બે દિવસ સુરત એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યું હતું, જે બાદમાં મુંબઈથી બારામતી માટે ઉડાન ભરી હતી.

આ વિમાન મુંબઈ એરપોર્ટથી સવારે 8 વાગ્યની આસપાસ ટેક-ઓફ કરીને બારામતી જતું હતું, પરંતુ બારામતી એરપોર્ટ નજીક લૅન્ડિંગ પ્રયાસ દરમિયાન નુકસાન પામ્યું અને આશરે 8:44 કલાકે તે જમીનમાં પટકાયુ. વિમાનનું ઓપરેશન VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવતું હતું અને આ Learjet-45નું રજીસ્ટ્રેશન નંબર VT-SSK હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીનું આ ચાર્ટર્ડ Learjet-45 વિમાન 25 અને 26 જાન્યુઆરી 2026ના રોજ સુરત એરપોર્ટ પર પાર્ક હતું. આ દરમિયાન સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં યોજાયેલા સેલિબ્રિટી કાર્યક્રમમાં મહેમાનોના આવાગમન માટે આ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં આ પ્લેન સુરતમાં ચાલી રહી એક સેલિબ્રિટી ઇવેન્ટ માટે પ્રવાસીઓ લાવા-જવા અને ગેસ્ટ માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. ત્યારબાદ 28 જાન્યુઆરીના રોજ સવારે તે મુંબઈથી બારામતી માટે ઉડાન ભરી હતી.

ત્યારબાદ આ જ વિમાને 28 જાન્યુઆરી 2026ના રોજ સવારે મુંબઈ એરપોર્ટથી બારામતી એરપોર્ટ માટે ટેક-ઓફ કર્યું હતું. પરંતુ બારામતી પહોંચતા પહેલાં જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું. આ દુર્ઘટનાને લઈને રાજકીય અને વહીવટી સ્તરે ભારે ચકચાર છે.

વિમાનોનો આ પ્રકારનો ઉપયોગ સામાન્ય રીતે પ્રાઇવેટ ચાર્ટર્ડ સર્વિસ તરીકે કરવામાં આવે છે જેમાં રાજકીય નેતાઓ, સેલિબ્રિટી અને કોર્પોરેટ ગેસ્ટો માટે મુસાફરી સુવિધા પૂરી કરવામાં આવે છે. આ Learjet-45 મિડ-સાઈઝ બિઝનેસ જેટ છે અને સામાન્ય રીતે મધ્યમ અંતર માટે યોગ્ય કરવામાં આવે છે.

વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સંકળાયેલા હોવાના દાવાઓ સામે આવ્યા બાદ સમગ્ર ઘટના વધુ સંવેદનશીલ બની છે. હાલમાં એરક્રાફ્ટ સેફ્ટી, ફ્લાઈટ રૂટ, ટેક્નિકલ તપાસ અને છેલ્લા દિવસોની મૂવમેન્ટ અંગે સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત એરપોર્ટ પર વિમાનનું બે દિવસનું પાર્કિંગ, સેલિબ્રિટી ઇવેન્ટ માટે ઉપયોગ અને ત્યારબાદની ફ્લાઈટ આ તમામ મુદ્દાઓ તપાસ એજન્સીઓ માટે મહત્વપૂર્ણ બની ગયા છે. આવનારા દિવસોમાં તપાસ પછી જ દુર્ઘટનાના સાચા કારણો અને જવાબદારીઓ અંગે સ્પષ્ટતા થશે.

UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, CJIએ કહ્યું, દુરુપયોગનો ખતરો વધુ; 2012ના નિયમો યથાવત્

0

કેન્દ્ર સરકારે UGC માટે નવા નિયમો બનાવ્યા છે જેને લઈને દેશભરમાં સવર્ણ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભાજપમાં જ કેટલાક નેતાઓ ખૂલીને નવા નિયમોનો વિરોધ કરી રહ્યા છે. એવામાં આજે દેશની સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે આ નિયમો પર રોક લગાવી છે. સુપ્રીમે કહ્યું કે આ નિયમોથી સમાજ બે ભાગમાં વહેંચાઈ જશે.

ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે યુજીસીના નવા નિયમો અસ્પષ્ટ છે અને તેના દુરુપયોગનો ખતરો વધારે છે. સુનાવણી બાદ કોર્ટે નવા નિયમો પર સ્ટે લગાવ્યો છે. આ મામલે આગામી સુનાવણી 19 માર્ચે થશે.

ચીફ જસ્ટિસે આદેશ આપ્યો કે 2012ના જૂના નિયમો જ ફરી લાગુ કરાશે. નવા નિયમોમાં જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે તેનાથી લાગે છે કે તેનો દુરુપયોગ થશે. સુનાવણી દરમિયાન અરજી કરનારા વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે UGCની ધારા 3(C) ગેરબંધારણીય છે. સુનાવણી દરમિયાન દેશના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે સ્વતંત્રતાના 75 વર્ષ બાદ પણ આ દેશ જાતિઓની જાળમાંથી બહાર નથી આવી શક્યો. સુનાવણી દરમિયાન જસ્ટિસ બાગચીએ કહ્યું કે આશા રાખું છું કે આપણે અમેરિકા જેવી સ્થિતિમાં ના પહોંચી જઈએ જ્યાં એક સમયે શ્વેત અને અશ્વેત બાળકોએ અલગ અલગ શાળાઓમાં ભણવું પડતું હતું.

બળાત્કાર–POCSO કેસમાં 60 દિવસમાં ચાર્જશીટ ફરજિયાત, મોડું પડ્યું તો અધિકારી જવાબદાર

રાજ્યમાં મહિલાઓ અને સગીર બાળાઓ પર થતા અત્યાચારોના કિસ્સામાં પીડિતોને ત્વરિત ન્યાય અપાવવા માટે સી.આઈ.ડી. (ક્રાઈમ અને રેલ્વેઝ) વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર હવેથી બળાત્કાર અને પોક્સો હેઠળના તમામ ગુનાઓની તપાસ ફરજિયાતપણે 60 દિવસની અંદર પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરવાની રહેશે.

બળાત્કારના ગુનામાં વધુમાં વધુ 60 દિવસમાં તપાસ પૂર્ણ કરવાની રહેશે
ગુજરાત રાજ્યમાં મહિલાઓ અને સગીર બાળાઓ સામે થતા જાતીય અપરાધોને રોકવા અને પીડિતોને ઝડપી ન્યાય અપાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે. સી.આઈ.ડી. (ક્રાઈમ અને રેલ્વેઝ) વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવ દ્વારા તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકોને કડક સૂચના આપવામાં આવી છે કે મહિલા અને સગીર બાળા પરના બળાત્કારના ગુનાઓમાં હવેથી વધુમાં વધુ 60 દિવસમાં તપાસ પૂર્ણ કરવાની રહેશે. નવા ફોજદારી કાયદા (BNSS) હેઠળ મહિલા સુરક્ષા માટે CID ક્રાઈમનો કડક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

પોલીસ કમિશનર-જિલ્લા પોલીસ વડાઓને રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવા સૂચના
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) 2023 હેઠળ તપાસની ગુણવત્તામાં સુધારો કરવા માટે આ પગલું લેવાયું છે. કલમ 193(2) મુજબ જાતીય અપરાધોની એફ.આઈ.આર. નોંધાયાના બે મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવી હવે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી માટે કાયદેસરની જવાબદારી બની ગઈ છે. રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને આ બાબતે રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવા સૂચના અપાઈ છે.

ડિજિટલ પુરાવા અને ફોરેન્સિક પર ખાસ ભાર મૂકાશે
ડિજિટલ પુરાવા અને ફોરેન્સિક પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જેથી હવે ગુનાની સાબિતી માટે માત્ર નિવેદનો પૂરતા નહીં રહે. સાત વર્ષથી વધુની સજા હોય તેવા ગુનામાં ફોરેન્સિક નિષ્ણાતોની મુલાકાત અનિવાર્ય છે.

ગુનાની તપાસની સમગ્ર પ્રક્રિયા અને પુરાવા એકત્ર કરવાની વિધિની વીડિયોગ્રાફી કરવી પડશે. જેથી કોર્ટમાં પુરાવા સાથે છેડછાડની શક્યતા ન રહે. આ સિવાય રાજ્યના તમામ પોલીસ મથકોએ E-GujCop પ્લેટફોર્મ પર કેસની વિગતો સમયસર અપડેટ કરવી પડશે. આ ડેટા સીધો જ ‘ઇન્વેસ્ટિગેશન ટ્રેકિંગ સિસ્ટમ ફોર સેક્સ્યુઅલ ઓફેન્સિસ’ (ITSSO) પોર્ટલ પર રિફ્લેક્ટ થશે.

60 દિવસથી વધુ સમય લાગશે તો અધિકારીની જવાબદારી
આ પોર્ટલ દ્વારા નેશનલ ડેટા સેન્ટર પરથી પણ રાજ્યના પર્ફોર્મન્સની સમીક્ષા કરવામાં આવશે. જો કોઈ કેસમાં 60 દિવસથી વધુ સમય લાગશે તો તે અધિકારીની જવાબદારી ગણાશે.પોલીસ મહાનિદેશક (સી.આઈ.ડી. ક્રાઈમ) ડો. કે.એલ.એન. રાવ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે તમામ પોલીસ વડાઓએ પોતાના જિલ્લા કે શહેરમાં નોંધાયેલા આવા કેસોની નિયમિત સમીક્ષા કરવી અને તપાસમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

આવતીકાલે ગુજરાતમાં તોફાની દરિયો અને કડકડતી ઠંડી, મોસમ વિભાગની ચેતવણી

હવામાન વિભાગે દરિયાકાંઠે માછીમારોને ભારે દબાણના કારણે તોફાની પવનો અને દરિયામાં તોફાની સ્થિતિની ચેતવણી આપવામાં આવી છે. આજથી બીજી ફેબ્રુઆરી, 2026 સુધીના પાંચ દિવસના સમયગાળા માટે જારી કરાયેલી એડવાઈઝરીમાં ચેતવણી આપવામાં આવી છે કે 29 જાન્યુઆરીએ ભારે પવન ફૂંકાશે અને દરિયો તોફાની બનવાની સંભાવના છે, તો માછીમારોએ માછીમારી માટે દરિયો ખેડવો નહીં.

આગાહી મુજબ, જખૌ, માંડવી, મુન્દ્રા, કંડલા, ઓખા, જામનગર, પોરબંદર અને નજીકના બંદરો સહિત, ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે 45-55થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાય તેવી શક્યતા છે. દરિયો ખૂબ જ તોફાની રહેવાની ધારણા છે, અને માછીમારોને આ વિસ્તારોથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા માટે પણ આવી જ ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં વેરાવળ, દીવ, પીપાવાવ, ભાવનગર, દહેજ, મગદલ્લા અને દમણ જેવા દરિયાકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે. ઉત્તરથી ઉત્તરપૂર્વ દિશાના પવનો સમાન તીવ્રતા સુધી પહોંચી શકે છે, જેના કારણે દરિયાઈ સ્થિતિ અસુરક્ષિત બની શકે છે. જોકે, આ સમયગાળા દરમિયાન ખુલ્લા સમુદ્ર માટે કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.

સલાહમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આજે અને કાલે કોમોરિન વિસ્તારના ઘણા ભાગોમાં 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાય તેવી શક્યતા છે. માછીમારોને પણ તે પ્રદેશમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

આ સાથે આવતા 28 કલાકમા સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં તાપમાનનો પારો 3થી 5 ડિગ્રી ગગડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. મહિનાના અંતમાં ઠંડીનું પ્રમાણ વધશે જ્યારે ત્રણેક દિવસ બાદ ઠંડીથી થોડી રાહત મળશે, તેમ હવામાન ખાતાએ જણાવ્યું હતું.

અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા, વૃદ્ધ મહિલાનું મોત

0

અમદાવાદના ઘી કાંટા વિસ્તારથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જાણીતી નવતાડની પોળમાં એક જૂનું મકાન ધરાશાયી થયાના અહેવાલ સામે આવ્યા છે. આ મકાન પડતાં 3 લોકો દટાઈ ગયા હતા. જેમાંથી એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યાની પુષ્ટી થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડની ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

ધારાસભ્ય પણ પહોંચ્યા ઘટનાસ્થળે, મહિલાના મોતની પુષ્ટી
ધારાસભ્ય કૌશિક જૈને જણાવ્યું હતું કે અહીં પોળમાં આવેલા મકાનો લગભગ 100 વર્ષ જુના છે. જર્જરિત મકાન પાસે જ ડ્રેનેજનું કામ ચાલતું હતું અને તે સમયે જ મકાન પડ્યું હતું. જેમાં એક શ્રમિક અને અન્ય 2 લોકો દટાયા હતા. જેમાં મળતી માહિતી મુજબ પુષ્પાબેન પંચાલ (ઉ. વ 62) નું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે.

અમદાવાદની નવતાળની પોળમાં એક જૂનું અને જર્જરિત મકાન અચાનક ધરાશાયી થવાની ઘટના બની હતી. જે સમયે આ મકાન પડ્યું, ત્યારે કોર્પોરેશન દ્વારા ત્યાં ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું હતું. ડ્રેનેજની કામગીરી દરમિયાન થયેલી ધ્રુજારીને કારણે મકાન પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું હોવાનું માનવામાં આવે છે.આ દુર્ઘટનામાં એક વૃદ્ધા અને બે મજૂરો કાટમાળ નીચે દટાયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ દટાયેલા લોકોને બહાર કાઢી રેસ્ક્યુનો પ્રયાસ કર્યો હતો. જોકે વૃદ્ધ મહિલાને બચાવી ન શકાયા.

ગુજરાતમાં બાળકોની લે-વેચ કરતું આંતરરાજ્ય રેકેટ ઝડપાયું, નવજાત બાળકનો રેસ્ક્યૂ, ચારની ધરપકડ

0

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ATSએ સંયુક્ત ઓપરેશનમાં આંતરરાજ્ય બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ એરપોર્ટ પાસેથી પોલીસને એક ગાડીમાંથી નવજાત બાળક રેસ્ક્યૂ થયો હતો. તપાસમાં સામે આવ્યું કે આ બાળકને હિંમતનગરના મુન્ના પાસેથી ચાર શખસ 3.60 લાખ રૂપિયામાં ખરીદી હૈદરાબાદ મોકલવા જઈ રહ્યા હતા.

પોલીસે હૈદરાબાદના રોશન અગ્રવાલ, યુપીના સુમિત યાદવ, અમદાવાદની વંદના પંચાલ અને કારના ડ્રાઇવર મૌલિક દવેને ઝડપી લીધા છે. મુંન્ના અને હૈદરાબાદના નાગરાજ હજુ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે. નવજાત બાળક તાત્કાલિક ચાઇલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યો છે.

આ પહેલાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે છત્રપતિ સંભાજી નગર અને ધોળકા વિસ્તારમાં બાળકોની તસ્કરી કરતા ગેંગનો પર્દાફાશ કર્યો હતો. 7 મહિનાની બાળકીના અપહરણ બાદ એક મહિલા સહિત 4 આરોપીઓને ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ગેંગ ધોળકા અને મહારાષ્ટ્રમાં બાળકોનું અપહરણ અને વેચાણ કરતી હતી.

અપહરણની વિગત અનુસાર, ધોળકાના ગરીબ મજૂર પરિવારમાં 7 મહિનાની બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી. માતાપિતાએ તપાસ અને ગુમ થયાની ફરિયાદ બાદ પોલીસને માહિતી મળી કે આ એક મોટા આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો ભાગ છે. CCTV ફૂટેજ અને લોકોના નિવેદનોના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને રેકેટનો પર્દાફાશ કર્યો.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ બાળકીનું અપહરણ કરીને તેને ઔરંગાબાદ લઈ જવામાં આવી હતી. આ કૌભાંડમાં કુલ 4 લોકો સંડોવાયેલા હતા, જેમાં 1 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે. આ ગેંગની મુખ્ય સૂત્રધાર એક મહિલા નર્સ હોવાનું બહાર આવ્યું છે. તે ધોળકાના એક IVF સેન્ટરમાં કામ કરતી હતી. આ કૌભાંડમાં છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ)ની એક નર્સ પણ સામેલ હતી, જેણે બાળકીને ખરીદી હતી.

પોલીસે છત્રપતિ સંભાજીનગરથી તમામ આરોપીઓને ઝડપી પાડ્યા
પોલીસે તત્કાળ કાર્યવાહી કરી છત્રપતિ સંભાજીનગર પહોંચીને તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં અને બાળકીને તેમના પંજામાંથી છોડાવી તેના પરિવાર સાથે ફરી મિલન કરાવ્યું હતું. આ ઘટનાએ IVF સેન્ટરોની કામગીરી અને આવા સેન્ટરોમાં કામ કરતા લોકોની ભૂમિકા પર પણ સવાલો ઉભા કર્યા હતાં.

આ કેસમાં ઝડપાયેલા આરોપીઓના નામ

  • જયેશ રાઠોડ
  • વિમલ સોલંકી
  • મનીષા સોલંકી (ધોળકાના એક IVF સેન્ટરમાં કામ કરતી નર્સ)
  • જગતાપ