Home Blog Page 187

બાંગ્લાદેશમાં 20 વર્ષ પછી BNPને બે તૃતીયાંશ બહુમતઃપીએમ મોદીએ આપ્યાં અભિનંદન

0

ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં લાંબા સમય બાદ યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીમાં મોટું પરિવર્તન આવ્યું છે. શેખ હસીનાના શાસનકાળના અંત પછી યોજાયેલી આ પ્રથમ ચૂંટણીમાં જનતાએ પરિવર્તનની તરફેણમાં મતદાન કર્યું છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની આ ઐતિહાસિક જીત બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં પણ નવી શરૂઆત થવાની આશા સેવાઈ રહી છે. ભારત સરકારે આ જીતને આવકારીને બાંગ્લાદેશી જનતાના જનાદેશનું સન્માન કર્યું છે.

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ની પ્રચંડ જીત બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (X) પર તારિક રહેમાનને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ લખ્યું કે, “સંસદીય ચૂંટણીમાં BNP ને નિર્ણાયક વિજય અપાવવા બદલ હું તારિક રહેમાનને હાર્દિક અભિનંદન આપું છું. આ જીત તમારા નેતૃત્વમાં બાંગ્લાદેશી લોકોના અતૂટ વિશ્વાસને દર્શાવે છે.” ભારતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે એક લોકશાહી અને સર્વસમાવેશક બાંગ્લાદેશના સમર્થનમાં હંમેશા ઊભું રહેશે.

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની રાજનીતિમાં આ ચૂંટણી એક મોટો ‘ટર્નિંગ પોઈન્ટ’ સાબિત થઈ છે. તારિક રહેમાનની પાર્ટી BNP લગભગ 17 વર્ષ બાદ ફરી સત્તામાં પરત ફરી રહી છે. ગુરુવારે યોજાયેલા મતદાન બાદ જાહેર થયેલા પરિણામો મુજબ, 300 સભ્યોવાળી ‘જાતીય સંસદ’માં BNP ગઠબંધને 209 બેઠકો જીતીને બે-તૃતિયાંશ બહુમતી હાંસલ કરી લીધી છે. દક્ષિણ એશિયાની ભૂ-રાજનીતિ (Geopolitics) માટે આ પરિવર્તન અત્યંત મહત્વનું માનવામાં આવે છે.

ભવ્ય વિજય મેળવ્યા હોવા છતાં, BNP એ પરિપક્વતા બતાવીને પોતાના સમર્થકોને વિજય ઉત્સવ ન મનાવવા વિનંતી કરી છે. પાર્ટીએ એક નિવેદન જારી કરીને કાર્યકરોને અપીલ કરી છે કે તેઓ વિજય સરઘસ કાઢવાને બદલે શુક્રવારની નમાઝ અદા કરે અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની તબિયત તેમજ દેશની શાંતિ માટે દુઆ કરે. આ નિર્ણયથી સંગઠન દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કટિબદ્ધ હોવાનો સંદેશ આપી રહ્યું છે.

વિશ્લેષકોનું માનવું છે કે તારિક રહેમાનના નેતૃત્વવાળી નવી સરકાર સાથે ભારત મજબૂત દ્વિપક્ષીય સંબંધો જાળવી રાખવા માટે ઉત્સુક છે. પીએમ મોદીએ સહિયારા વિકાસલક્ષી લક્ષ્યોને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આવનારા દિવસોમાં બંને દેશો વચ્ચે વ્યાપાર, સુરક્ષા અને કનેક્ટિવિટીના ક્ષેત્રમાં નવા કરારો થાય તેવી શક્યતા છે, જે દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપવામાં મદદરૂપ થશે.

બેંગલુરુમાં ભયાનક અકસ્માત, હાઈવે પર અનેક વાહનો અથડાયા, 7 લોકોના મોત

0

આજે સવારે બેંગલુરુ નજીક હોસ્કોટની બહાર એક ભયાનક માર્ગ અકસ્માત થયો. એક કાર, બાઇક અને કેન્ટર વાહન વચ્ચેની ટક્કરમાં અનેક પરિવારો બરબાદ થઈ ગયા. સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. આ અકસ્માત હોસ્કોટ-દબાસ્પેટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એમ સત્યવારા ગામ નજીક થયો.

પોલીસે જણાવ્યું હતું કે હોસ્કોટથી દેવનહલ્લી જઈ રહેલી એક કારે મોટરસાઈકલને પાછળથી ટક્કર મારી ત્યારે આ અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, શરૂઆતની ટક્કર પછી ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો અને વાહન એક કેન્ટર સાથે અથડાયું હતું. બીજી એક કાર પણ ટક્કર મારી હતી, જેના પરિણામે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર છ લોકો અને મોટરસાઈકલ સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે અકસ્માત વધુ પડતી ઝડપને કારણે થયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા છ લોકો કોઠાનુરના રહેવાસી હતા, જોકે તેમની ઓળખ હજુ સુધી પુષ્ટિ થઈ નથી. પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્કોટ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, અને તેઓ પરિવારોને જાણ કરવાની પ્રક્રિયામાં છે. કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.

દૂરદર્શનના જાણીતા ન્યૂઝ એન્કર સરલા મહેશ્વરીનું દુઃખદ અવસાન

ભારતીય ટેલિવિઝનના સુવર્ણ યુગના પ્રતીક અને દૂરદર્શન (DD)ના પ્રખ્યાત ન્યૂઝ એન્કર સરલા મહેશ્વરીનું આજે 12 ફેબ્રુઆરી, 2026ના રોજ દિલ્હીમાં અવસાન થયું છે. તેઓ 71 વર્ષના હતા. તેમના નિધનના સમાચારથી દેશભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે, અને ઘણા પૂર્વ સાથીઓ તથા પ્રશંસકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

તેઓ 1976થી 2005 સુધી દૂરદર્શનમાં ન્યૂઝ એન્કર તરીકે કાર્યરત રહ્યા હતા. 1980 અને 1990ના દાયકામાં તેઓ તેમના શાંત અવાજ, સરળ શૈલી અને દોષરહિત હિન્દી ઉચ્ચારણ માટે ખૂબ જાણીતા બન્યા હતા. તેમની હાજરી ટેલિવિઝન પર એક અનોખી ઔરા ઉભી કરતી હતી, અને તેઓ સરળતા અને વિનમ્રતાનું પ્રતીક માનવામાં આવતા હતા.

તેમણે ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓના સમાચાર વાંચ્યા હતા, જેમાં 1991માં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના અવસાનના સમાચારનો સમાવેશ થાય છે. તેઓ પંજાબમાં આતંકવાદના સમયે પણ નિર્ભયપણે સમાચાર પ્રસ્તુત કરતા હતા, જ્યારે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. 1997માં મધર ટેરેસાના અંતિમ સંસ્કારને કવર કર્યા બાદ તેઓએ પરિવારને વધુ સમય આપવાનો નિર્ણય લીધો હતો.

તેમના પૂર્વ સાથી ન્યૂઝ એન્કર શમ્મી નારંગે તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, “તેઓ કૃપા અને વિનમ્રતાનું પ્રતીક હતા. તેમની હાજરી દરેક જગ્યાને ઉજ્જવળ બનાવતી હતી.” અન્ય પત્રકારો અને પ્રશંસકોએ પણ તેમને યાદ કરીને કહ્યું કે, તેમના યુગમાં સમાચાર વાંચવું એક કલા હતી, જે આજના ચીસાચીસવાળા મીડિયાથી તદ્દન અલગ હતી.સરલા મહેશ્વરીના પતિ પવન મહેશ્વરી અને પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમના અવસાનથી ટેલિવિઝન જગતે એક મહાન વ્યક્તિત્વ ગુમાવ્યું છે.

સુરતમાં બસ બાઇક વચ્ચે જોરદાર અકસ્માત, BCA વિદ્યાર્થીનું મોત

સુરત શહેરના વસ્તાદેવડી રોડ પર થયેલા એક દુ:ખદ માર્ગ અકસ્માતે બધાને ચોંકાવી દીધા. વોલ્વો બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે BCA ના એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કચડાઈને મોત નીપજ્યું. આ અકસ્માતમાં પરિવારની એકમાત્ર આશા ઠપ્પ થઈ ગઈ, જેનાથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

સુરતના જહાંગીરપુરાનો રહેવાસી 20 વર્ષીય જશ બુંદેલા બુંદેલા કોલેજમાં બીસીએના બીજા વર્ષનો વિદ્યાર્થી હતો.

ગઈકાલે સાંજે, લગભગ 4:30 વાગ્યે, જશ કોલેજ પછી તેના સ્કૂટર પર ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો. જોકે, વિરુદ્ધ દિશામાંથી આવતી બાઇકને જોઈને તેણે અચાનક બ્રેક લગાવી, જેના કારણે તેનું સ્કૂટર સ્લીપ થઈ ગયું. સંતુલન ગુમાવતા તે સીધો ચાલતી બસના પાછળના વ્હીલ નીચે આવી ગયો. જશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

થાઈલેન્ડમાં ભયાનક ગોળીબાર, 22 બાળકો સહિત 34 લોકોના મોત

શાંતિપ્રિય અને પ્રવાસીઓના સ્વર્ગ તરીકે ઓળખાતા થાઈલેન્ડમાં આજે માનવતા શરમાઈ ગઈ છે, કારણ કે દેશમાં એક જ દિવસે બે અલગ-અલગ સ્થળોએ થયેલી ભયાનક ગોળીબારની ઘટનાઓમાં કુલ 34 લોકોના કરુણ મોત થયા છે, જેમાં 22 માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. સૌથી મોટી ઘટના એક ડે-કેર સેન્ટરમાં બની હતી, જ્યાં નોકરીમાંથી કાઢી મૂકાયેલા પૂર્વ પોલીસ કર્મચારીએ બાળકો સૂઈ રહ્યા હતા ત્યારે ગોળીબાર અને ચાકુથી હુમલો કરી 22 બાળકો સહિત 34 લોકોની હત્યા કરી હતી.

મૃતકોમાં 22 જેટલા નાના ફૂલ જેવા માસૂમ બાળકોનો સમાવેશ થાય છે, જે આંકડો સાંભળીને જ કોઈનું પણ કાળજું કંપી ઉઠે. આ ઘટનાને થાઈલેન્ડના ઈતિહાસનો સૌથી ભયાનક અને ‘ઘાતક સામૂહિક ગોળીબાર’ ગણવામાં આવી રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સૌથી મોટી જાનહાનિ એક ડેકેર સેન્ટરમાં થઈ છે. એક બરતરફ કરાયેલા એટલે કે નોકરીમાંથી કાઢી મૂકાયેલા ‘ભૂતપૂર્વ પોલીસ અધિકારી’ એ ડેકેર સેન્ટરમાં ઘૂસીને આડેધડ ગોળીબાર કર્યો હતો અને બાળકો પર ચાકુથી પણ હુમલો કર્યો હતો. આ પાશવી હુમલામાં 22 બાળકો અને 12 પુખ્ત વયના નાગરિકો સહિત કુલ 34 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.

હત્યારાએ બપોરના સમયે જ્યારે બાળકો સૂઈ રહ્યા હતા ત્યારે તેમને નિશાન બનાવતા સમગ્ર દેશમાં શોક અને ગુસ્સાની લહેર પ્રસરી ગઈ છે. આ ઘટના પાછળનો હેતુ શું હતો, તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હુમલાખોર ડ્રગ્સના કેસમાં કોર્ટમાં હાજરી આપીને આવ્યો હતો અને માનસિક રીતે અસ્થિર જણાતો હતો.

આ કરુણાંતિકા ઓછી હતી ત્યાં દક્ષિણ થાઈલેન્ડના ‘હાટ યાઈ’ વિસ્તારમાંથી પણ વધુ એક હુમલાના સમાચાર આવ્યા છે. અહીં એક 18 વર્ષીય યુવકે શાળામાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અહેવાલો મુજબ, હુમલાખોરે શાળાની એક મહિલા કર્મચારીને થોડા સમય માટે ‘બંધક’ બનાવી લીધી હતી, જોકે પોલીસે બાદમાં સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

સ્થાનિક અધિકારીઓએ આ ઘટનાને ‘રાષ્ટ્રીય ત્રાસદી’ ગણાવી છે. સામાન્ય રીતે પ્રવાસીઓ માટે સુરક્ષિત ગણાતા થાઈલેન્ડમાં આ પ્રકારની ‘આતંકવાદ’ જેવી ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નો ઉભા કર્યા છે. થાઈલેન્ડમાં બંદૂક રાખવાના કાયદા કડક હોવા છતાં ગેરકાયદેસર હથિયારોનું પ્રમાણ ચિંતાજનક છે.

રાજપાલ યાદવને જેલમાંથી બહાર લાવવા બોલિવૂડ એકજૂટ, સલમાન ખાન અને અજય દેવગણે કરી મોટી આર્થિક મદદ

અભિનેતા રાજપાલ યાદવ એકવાર ફરી કાયદાકીય મામલાને લઈને ચર્ચામાં છે. દેવા સાથે જોડાયેલા જૂના વિવાદમાં કોર્ટના નિર્દેશ બાદ તેમને ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ દરમિયાન બોલિવૂડના ઘણા મોટા નામ તેમના સમર્થનમાં સામે આવ્યા છે અને આર્થિક તથા પ્રોફેશનલ મદદનો ભરોસો આપ્યો છે.

રાજપાલ યાદવના મેનેજર ગોલ્ડીના જણાવ્યા અનુસાર, ફિલ્મ જગતના ઘણા કલાકારોએ આ મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપ્યો છે. તેમણે જણાવ્યું કે સોનુ સૂદ, સલમાન ખાન અને અજય દેવગણ જેવા કલાકારોએ સમર્થન દર્શાવ્યું છે. નિર્દેશક ડેવિડ ધવન, નિર્માતા રતન જૈન અને અભિનેતા વરુણ ધવન સહિત અન્ય લોકો પણ મદદ માટે આગળ આવ્યા છે.મેનેજરે કહ્યું કે ઘણા લોકોએ આર્થિક સહયોગની ખાતરી આપી છે, પરંતુ આ પ્રકારની નાણાકીય પ્રક્રિયાઓ તરત પૂર્ણ થતી નથી. તેમણે એમ પણ ઉમેર્યું કે અભિનેતાનો પરિવાર માનસિક રીતે મજબૂત છે અને સૌને આશા છે કે કાયદાકીય પ્રક્રિયા ટૂંક સમયમાં સકારાત્મક દિશામાં આગળ વધશે.

શું છે આખો મામલો?

આ મામલો વર્ષ 2010 સાથે જોડાયેલો છે, જ્યારે રાજપાલ યાદવે તેમના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘અતા પતા લાપતા’ ના નિર્માણ માટે એક ખાનગી કંપની પાસેથી આશરે ₹5 કરોડનું દેવું લીધું હતું. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ ન રહી અને ચુકવણીમાં વિલંબ થયો. ત્યારબાદ આપવામાં આવેલા ચેક બાઉન્સ થયા, જેના પછી કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ.

2018 માં કોર્ટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ રાજપાલ યાદવ અને તેમની પત્નીને દોષિત ઠેરવી સજા સંભળાવી હતી. બાદમાં હાઈકોર્ટે સજા પર સ્ટે આપીને બાકી રકમ ચૂકવવાની તક આપી હતી. સમય જતાં વ્યાજ સાથે આ રકમ વધીને લગભગ ₹9 કરોડ સુધી પહોંચી ગઈ છે.અહેવાલો અનુસાર, અભિનેતાએ અત્યાર સુધી આંશિક ચુકવણી કરી છે, પરંતુ પૂરેપૂરી રકમ જમા ન થવાને કારણે કોર્ટે કડક વલણ અપનાવ્યું. તાજેતરમાં વધારાના સમયની માંગ કરતી અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ તેમને આત્મસમર્પણ કરવું પડ્યું હતું.

આર્થિક મદદની ઓફર

સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક કલાકારો અને જાહેર હસ્તીઓએ નાણાકીય સહયોગની જાહેરાત કરી છે. જાણવા મળ્યું છે કે સોનુ સૂદએ તેમને પોતાની આગામી ફિલ્મમાં રોલ અને એડવાન્સ રકમ આપવાની ઓફર કરી છે. આ સિવાય અન્ય કેટલાક લોકોએ પણ લાખો રૂપિયાની મદદની જાહેરાત કરી છે, જેથી બાકી રકમ ચૂકવવામાં અને જામીન પ્રક્રિયામાં મદદ મળી શકે.

હવે સૌની નજર કોર્ટની આગામી સુનાવણી પર ટકેલી છે. જો જામીન મળે છે, તો રાજપાલ યાદવને કામચલાઉ રાહત મળી શકે છે, જોકે દેવા સાથે જોડાયેલો મૂળ વિવાદ હજુ પૂરો થયો નથી.

નવા લેબર કોડના વિરોધમાં ‘ભારત બંધ’ની હાકલ, ગુજરાતમાં ₹15,000 કરોડના વેપાર પર અસરની આશંકા

કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલા નવા લેબર કોડના વિરોધમાં દેશભરના વિવિધ ટ્રેડ યુનિયનોએ મોરચો માંડ્યો છે. આ કાયદાઓને ‘મજૂર વિરોધી’ ગણાવીને આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેની વ્યાપક અસર ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદ સહિત રાજ્યભરમાં જોવા મળી રહી છે.

ગુજરાતમાં કરોડોના ટ્રાન્ઝેક્શન અટવાશે

નિષ્ણાતો અને વેપારી સંગઠનોના અંદાજ મુજબ, આ હડતાલને કારણે ગુજરાતમાં અંદાજે 15,000 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહારો પ્રભાવિત થઈ શકે છે.બેન્કિંગ અને પરિવહન સેવાઓને અસરઆ હડતાલમાં બેંકિંગ યુનિયનો પણ જોડાયા હોવાથી ચેક ક્લિયરન્સ અને અન્ય બેંકિંગ કામગીરી ખોરવાઈ છે. આ ઉપરાંત, ટેક્સટાઈલ માર્કેટ, હીરા ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરના કર્મચારીઓ પણ વિરોધમાં હોવાથી માલસામાનની હેરફેર પર માઠી અસર પડી છે.

ટ્રાન્સપોર્ટ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે જોડાયેલા યુનિયનો આ બંધમાં જોડાયા હોવાથી બજારમાં મોટી નાણાકીય લેવડ-દેવડ અટકી જવાની શક્યતા છે.

શા માટે થઈ રહ્યો છે વિરોધ?

ટ્રેડ યુનિયનોનો આરોપ છે કે નવા લેબર કોડમાં કામદારોના અધિકારોમાં કાપ મૂકવામાં આવ્યો છે. તેમની મુખ્ય માગણીઓ નીચે મુજબ છે:

  • નવા ચાર લેબર કોડ તાત્કાલિક રદ કરવામાં આવે.ખાનગીકરણની પ્રક્રિયા રોકવામાં આવે.
  • મોંઘવારી પર અંકુશ મેળવવામાં આવે અને લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવે.
  • કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરી કાયમી રોજગારી આપવામાં આવે.

અમદાવાદના મજૂર સંગઠનોનું કહેવું છે કે સરકાર જો તેમની માંગણીઓ નહીં સંતોષે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. અત્યારે તો આ બંધને કારણે વેપારીઓ અને સામાન્ય જનતાએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

બિગ બજેટ મુવી રામાયણમાં શું ખરેખર વિક્રાંત મેસીને રિપ્લેસ કરવામાં આવ્યો?

0

દિગ્દર્શક નિતેશ તિવારીની ₹4000 કરોડના બજેટની ફિલ્મ “રામાયણ” ને લગતી અફવાઓનો અંત લાવતા અભિનેતા વિક્રાંત મેસીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી એક વાતનો ખુલાસો કર્યો છે.

વિક્રાંત મેસી જણાવ્યું હતું કે તે ક્યારેય આ પ્રોજેક્ટનો ભાગ નહોતો. “રામાયણ” ના કાસ્ટિંગ અંગેના તાજેતરના મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિક્રાંત મેસીને ફિલ્મમાંથી દૂર કરવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ બીજા અભિનેતાને લેવામાં આવ્યા છે, જેના કારણે તે ખૂબ જ દુઃખી થયા છે.

પોસ્ટમાં વિક્રાંત મેસીએ સ્પષ્ટતા કરી કે “રામાયણ” માં તેના રોલ સંબંધિત કોઈપણ સમાચાર ખોટા અને ભ્રામક છે. તેણે મીડિયાને આવા સમાચાર ફેલાવતા પહેલા સાચી માહિતીની ચકાસણી કરવા અપીલ કરી હતી. વિક્રાંત મેસીએ ફિલ્મના કલાકારો અને ક્રૂને શુભેચ્છાઓ અને પ્રેમ પણ પાઠવ્યો હતો.

વિક્રાંત મેસીએ અફવાઓ શું કહ્યું?
વિક્રાંત મેસીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું, “અફવાઓનો અંત લાવવા માટે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હું ક્યારેય નિતેશ તિવારીની રામાયણનો ભાગ નહોતો. મારા ‘રિપ્લેસમેન્ટ’ની જાણ કરી રહેલા વિવિધ મીડિયા પોર્ટલોએ જરૂરી બેકગ્રાઉન્ડ તપાસ કરવી જોઈતી હતી. આ ખૂબ જ નિરાશાજનક છે, પરંતુ ફિલ્મનો ભાગ રહેલા દરેકને શુભેચ્છાઓ અને પ્રેમ.”

રામાયણમ મુવી
નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત, “રામાયણ” માં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી સીતા અને KGF સ્ટાર યશ રાવણ તરીકે છે. આ ફિલ્મનું શૂટિંગ ઝડપથી ચાલી રહ્યું છે. “રામાયણ” માં ઘણા અન્ય સ્ટાર્સ પણ જોવા મળશે, જેમાં હનુમાન તરીકે સની દેઓલ, જટાયુ તરીકે અમિતાભ બચ્ચન અને કૈકેયી તરીકે લારા દત્તાનો સમાવેશ થાય છે.

ફિલ્મનું સંગીત એ.આર. રહેમાન અને હોલીવુડ સંગીતકાર હંસ ઝિમર દ્વારા કંપોઝ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ બે ભાગમાં બનાવવામાં આવી રહી છે, જેમાં ભવ્ય સેટ છે. હોલીવુડના ટોચના સ્ટંટ ડિરેક્ટર ટેરી નોટરી અને ગાય નોરિસે એક્શન સિક્વન્સ કોરિયોગ્રાફ કર્યા છે. “રામાયણ” IMAX ફોર્મેટમાં ફિલ્માવવામાં આવી રહી છે.

અમેરિકા સાથેના વેપાર સોદામાં ભારતને બેવડી રાહત

ભારત-અમેરિકા વેપાર સોદા માટેની ફેક્ટશીટ બહાર પાડ્યાના એક દિવસ પછી, વ્હાઇટ હાઉસે શાંતિથી અગાઉ લાગુ કરેલી શરતોમાં સુધારો કરી ભારતને વધુ રાહત આપી છે.

ભારત-અમેરિકા વેપાર સોદા અંગે ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ, તેમણે ગયા અઠવાડિયે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. હવે અમેરિકાએ ફેક્ટશીટમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. સૌથી મોટો ફેરફાર એ છે કે આ સોદા હેઠળ ભારત દ્વારા 500 અબજ ડોલરના માલસામાનની ખરીદી કરવી હવે બંધનકર્તા નથી. મતલબ કે 500 અબજ ડોલરથી વધુ મૂલ્યના અમેરિકાના ઉત્પાદનો ખરીદવા માટેની ભારતની શરતને પહેલા “પ્રતિબદ્ધ” તરીકે વર્ણવવામાં આવી હતી, પરંતુ હવે આ શબ્દપ્રયોગને “ખરીદી કરવાનો ઇરાદો” તરીકે બદલી દેવામાં આવ્યો છે, જે કરારને ભારત માટે વધુ રાહત આપે છે.

અમેરિકાના વ્હાઇટ હાઉસની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, બીજો મોટો સુધારો એ કરવામાં આવ્યો છે કે સોદા હેઠળ લાગુ પડતી ઉત્પાદન શ્રેણીઓની સૂચિમાંથી કૃષિ શબ્દને દૂર કરે છે. કેટલીક કઠોળ સહિત કેટલીક વસ્તુઓને ટેરિફ સૂચિમાંથી દૂર કરવામાં આવી છે.

ભારત-અમેરિકા વેપાર સોદાની ફેક્ટશીટના પહેલાના સંસ્કરણમાં જણાવાયું હતું કે ભારત તમામ યુએસ ઔદ્યોગિક માલ અને યુએસ ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોની વિશાળ શ્રેણી પરના ટેરિફને દૂર કરશે અથવા ઘટાડશે, જેમાં સૂકા ડિસ્ટિલર્સના અનાજ (DDG), લાલ જુવાર, બદામ, તાજા અને પ્રોસેસ્ડ ફળો, કેટલાક કઠોળ, સોયાબીન તેલ, વાઇન અને સ્પિરિટ અને અન્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

₹3000થી શરૂ થયેલી સફર, આજે આલિશાન ઘર સુધી પહોંચેલી ટીવી સ્ટારની પ્રેરણાદાયી કહાની

ટેલિવિઝન જગતમાં પોતાની દમદાર એક્ટિંગ અને ખાસ કરીને નેગેટિવ પાત્રોથી ઘરે-ઘરેમાં જાણીતા બનેલા અભિનેત્રી સુધા ચંદ્રન આજે કોઈ ઓળખના મોહતાજ નથી. ફિલ્મો હોય કે નાના પડદાના લોકપ્રિય શો, તેમણે દરેક જગ્યાએ પોતાની એક્ટિંગ સ્કીલથી લોકો મંત્રમુગ્ધ કર્યા છે. જોકે, ગ્લેમરની આ દુનિયામાં ટોચ પર પહોંચવા માટે તેણે જે સંઘર્ષ કર્યો છે, તે ખરેખર પ્રેરણાદાયી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાના શરૂઆતના દિવસો અને મળતી મામૂલી ફી વિશે ખુલાસો કરીને ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

સુધા ચંદ્રને જણાવ્યું કે, જ્યારે તેણે એકતા કપૂરના લોકપ્રિય શોમાં ‘રમોલા સિકંદ’ જેવું આઇકોનિક પાત્ર ભજવ્યું હતું, ત્યારે તેને દિવસના માત્ર 3,000 રૂપિયા મળતા હતા. તે સમયે ટીવી ઇન્ડસ્ટ્રીમાં અત્યાર જેવું મોટું બજેટ કે ઊંચી ફીનું માળખું નહોતું. પરંતુ તેણે મહેનત ચાલુ રાખી અને એ મામૂલી કમાણીમાંથી જ ધીરે-ધીરે મુંબઈમાં પોતાનું ઘર અને સપનાઓ સાકાર કર્યા. આજે રિપોર્ટ્સ અનુસાર, તેઓ એક એપિસોડ માટે અંદાજે 3 લાખ રૂપિયા સુધીની ફી વસૂલે છે, જે તેની શરૂઆતની ફી કરતા 100 ગણી વધારે છે.

પોતાના અંગત જીવન વિશે વાત કરતા સુધાજીએ જણાવ્યું કે, જ્યારે તેણે મોટા શૉ સાઇન કર્યા ત્યારે જ તેના લગ્ન થયા હતા. તે સમયે લોકો એવી અટકળો લગાવતા હતા કે તેનું કામ એટલું વધારે છે કે તેઓ ઘરને સમય નહીં આપી શકે અને જલ્દી છૂટાછેડા થઈ જશે. પરંતુ તેમના પતિએ તેને પૂરો સાથ આપ્યો અને આ તકનો લાભ લેવા પ્રોત્સાહિત કરી. પરિણામે, તેણે લગભગ 8 વર્ષ સુધી સતત દિવસ-રાત કામ કર્યું અને ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું.

અભિનેત્રીનું માનવું છે કે આજે તેઓ જે કંઈ પણ કમાઈ રહ્યા છે, તે તે સમયના સંઘર્ષ અને પાત્રોને આભારી છે. તેણે ઉમેર્યું કે, “વાત માત્ર પૈસાની નથી, પરંતુ તે પૈસાથી જે માન-સન્માન અને ખ્યાતિ મળી છે તે સૌથી મોટી મૂડી છે.” સુધા ચંદ્રનની આ સફર એ વાતની સાબિતી છે કે જો મનમાં દ્રઢ નિશ્ચય હોય, તો નાની શરૂઆત પણ તમને સફળતાના શિખરો સુધી પહોંચાડી શકે છે. આજે તેઓ નવી પેઢીના કલાકારો માટે એક આદર્શ સમાન છે.