Home Blog Page 186

ડોલર સામે રૂપિયો ફરી ગગડ્યો, ક્રૂડ ઓઈલના ભાવ વધતાં દબાણ વધ્યું

0

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા ભૂરાજકીય તણાવની અસર ભારતીય રૂપિયા પર સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. શુક્રવારે, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, રૂપિયો શરૂઆતના વેપારમાં 27 પૈસા ઘટીને 90.95 પ્રતિ ડોલર થયો. મજબૂત અમેરિકન ચલણ અને વધતા ક્રૂડ ઓઈલના ભાવે રૂપિયા પર દબાણ વધાર્યું છે. આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો 90.94 પર ખુલ્યો અને 90.95 પ્રતિ ડોલર થયો, જે તેના અગાઉના બંધ 90.68 થી 27 પૈસા ઘટીને 90.95 પ્રતિ ડોલર થયો.

કેમ ઘટી રહ્યો છે રૂપિયો?
ગુરુવારે છત્રપતિ શિવાજી મહારાજ જયંતિને કારણે ચલણ બજારો બંધ રહ્યા હતા. દરમિયાન, ડોલરની મજબૂતાઈ માપતો ડોલર ઇન્ડેક્સ થોડો વધીને 97.89 ની આસપાસ પહોંચ્યો. સ્થાનિક શેરબજારમાં પણ નબળાઈ જોવા મળી. BSE સેન્સેક્સ લગભગ 150 પોઈન્ટ ઘટીને 82,347 પર અને નિફ્ટી 50 35 પોઈન્ટ ઘટીને 25,419 પર બંધ રહ્યો.

આંતરરાષ્ટ્રીય બજારમાં, Brent Crude 0.14 ટકા વધીને $71.77 પ્રતિ બેરલ થયું, જેનાથી આયાતકાર દેશ તરીકે ભારત પર દબાણ વધુ વધ્યું. શેરબજારના ડેટા અનુસાર, ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) વેચનાર હતા, જેમણે રૂ. 880.49 કરોડના શેર વેચ્યા હતા.

નિષ્ણાતો શું કહે છે?
ફિનરેક્સ ટ્રેઝરી એડવાઇઝર્સ એલએલપીના ટ્રેઝરી હેડ અનિલ કુમાર ભણસાલીના મતે, ડોલરની ઉપલબ્ધતા જાળવવાના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રયાસોને કારણે રૂપિયામાં ઘટાડો મર્યાદિત હતો. તેમણે કહ્યું કે ડોલર ઇન્ડેક્સ તાજેતરના ઘટાડા પછી કંઈક અંશે સુધરવાની શક્યતા છે, કારણ કે મજબૂત યુએસ આર્થિક વૃદ્ધિ અને વિદેશી રોકાણકારોની રુચી ડોલરને ટેકો આપી રહી છે. એકંદરે, મજબૂત ડોલર, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને વિદેશી રોકાણકારો દ્વારા વેચાણને કારણે રૂપિયામાં નબળાઈ આવી, જ્યારે આરબીઆઈની સાવધાનીથી ઘટાડા પર કાબુ રહ્યો.

ભારત મંડપમમાં AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો, ટી-શર્ટ ઉતારી નારેબાજી

0

ભારત મંડપમમાં AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન, યુથ કોંગ્રેસના કાર્યકરોએ ભારત મંડપમ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. કાર્યકરોએ વિરોધ કરવા માટે તેમના શર્ટ ઉતાર્યા. આ પછી, પોલીસે તેમને કસ્ટડીમાં લીધા. યુથ કોંગ્રેસના કાર્યકરો ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારનો વિરોધ કરી રહ્યા હતા. વિરોધીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ભાજપે તેને શરમજનક ગણાવ્યું છે. ભાજપે કહ્યું છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ શરમજનક વિરોધ કરી રહી છે. યુથ કોંગ્રેસના કાર્યકરોએ પહેરેલા ટી-શર્ટ પર પીએમ મોદીનો ફોટો હતો.

વિરોધ પ્રદર્શનના ફોટા અને વીડિયો શેર કરતા, યુથ કોંગ્રેસના X હેન્ડલે લખ્યું, “જ્યારે પક્ષપાત, કોર્પોરેટ દબાણ અને મૌન વિદેશ નીતિ પર પ્રભુત્વ ધરાવે છે, ત્યારે સ્પષ્ટ થાય છે કે પીએમ મોદી સમાધાન કરી રહ્યા છે. આ સત્યને ઉજાગર કરવા માટે, ભારતીય યુથ કોંગ્રેસના બહાદુર કાર્યકરો એઆઈ સમિટમાં પહોંચ્યા અને સમાધાન કરાયેલા પીએમ સામે વિરોધ પ્રદર્શન કર્યું. દેશની ઓળખ સાથે કોઈ સમાધાન નહીં! ઇન્કલાબ ઝિંદાબાદ.”

દિલ્હી પોલીસ કાર્યવાહી કરશે
દિલ્હી પોલીસનું કહેવું છે કે તે ભારતીય યુવા કોંગ્રેસના વિરોધ પ્રદર્શન અંગે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેઓ પાસ કે QR કોડનો ઉપયોગ કરીને પ્રવેશ્યા હતા કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન, ભાજપે તેને શરમજનક ગણાવ્યું, કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબીને કલંકિત કરે છે. કોંગ્રેસને આના પર શરમ આવવી જોઈએ. ભાજપ IT સેલના વડા અમિત માલવિયાએ લખ્યું કે રાજકીય વિરોધ એ લોકશાહી અધિકાર છે, પરંતુ ભારતની વૈશ્વિક છબીને નુકસાન પહોંચાડવું એ યોગ્ય નથી. ભારત વધુ સારું મેળવવાનું પાત્ર છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે માર્ચમાં એક વચગાળાનો વેપાર કરાર થવાની શક્યતા છે અને તે એપ્રિલમાં અમલમાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે યુકે અને ઓમાન સાથે ભારતના મુક્ત વેપાર કરાર એપ્રિલમાં અમલમાં આવે તેવી શક્યતા છે. ન્યુઝીલેન્ડ સાથે, આ કરાર સપ્ટેમ્બરમાં અમલમાં આવે તેવી અપેક્ષા છે. વચગાળાના વેપાર કરાર માટે કાનૂની લખાણને અંતિમ સ્વરૂપ આપવા માટે ભારતીય અને અમેરિકાના અધિકારીઓ વચ્ચે ત્રણ દિવસની બેઠક 23 ફેબ્રુઆરીથી અમેરિકામાં શરૂ થશે. આ મહિનાની શરૂઆતમાં, ભારત અને અમેરિકાએ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને જાહેરાત કરી હતી કે વચગાળાના વેપાર કરાર માટે એક માળખું અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે નવા નિયમ, માતાપિતાની સહમતિ ફરજિયાત, જાણો ક્યા દસ્તાવેજ માન્ય ગણાશે

ગુજરાત સરકારે લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે નવા નિયમ જાહેર કર્યા છે. હવે લગ્ન નોંધણી માટે વર વધુના માતાપિતાના ડિક્લરેશનની પણ જરૂર પડશે. લગ્ન નોંધણી પ્રમાણપાત્ર માટે અરજી કરનાર યુવક યુવતીના માતાપિતાને આ મામલે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા જાણ કરવામાં આવશે. નિયમોનું સંતોષજનક રીતે પાલન થયા બાદ જ 30 દિવસમાં મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવશે. અહીં લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે અરજી કરવાની પ્રક્રિયા અને માન્ય દસ્તાવેજ વિશે સંપૂર્ણ વિગત આપી છે.

મેરેજ સર્ટિફિકેટ માટે દસ્તાવેજ

  • વર, વધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ
  • વર અને વધુનું જન્મ પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપ્તર
  • લગ્નની કંકોત્રી કે આમંત્રણ પત્રિકા
  • વર, વધુ અને સાક્ષીના બે – બે પાસપોર્ટ ફોટા
  • વર- વધુની લગ્ન વિધિનો ફોટો
  • મેરેજ સર્ટિફિકેટની અરજી સાથે વર – વધુ એ તેમના માતા પિતાને આ લગ્ન બાબતે જાણ કરેલ છે કે તેનું ડિક્લેરેશન

વર – વધુ એ માતાપિતાના ડિક્લેરેશન માટે આ દસ્તાવેજ રજૂ કરવાના રહેશે

  • માતા પિતાના આધાર કાર્ડ
  • પિતાનું પુરું નામ
  • પિતાના ઘરના સરનામાંની વિગત
  • પિતાનો મોબાઇલ નંબર
  • માતાનું પુરું નામ
  • માતાનો મોબાઇલ નંબર
  • માતાના સરનામાંની વિગત


લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે અરજી કરવાની પ્રક્રિયા
લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવાની અરજી માટે બંને પક્ષકાર વર – વધુ અને બે સાક્ષીઓની સહી સાથે નિર્ધારિત ફોર્મમાં અરજી કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઇઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપેલા ઓળખના પુરાવા જેવા કે – ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, ફોટો ઓળખપત્ર આપવાના રહેશે.

પ્રત્યેક લગ્ન નોંધણીની અરજીની આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ લગ્ન નોંધણી અરજીનો નમૂનો -I (આઈ) મુજબ વિગત અને દસ્તાવેજો સાથે રજૂ કરવાનો રહેશે. મેરેજ સર્ટિફિકેટ માટે અરજી મળ્યા બાદ આસિસ્ટન્ટ રજસ્ટ્રાર કામકાજના 10 દિવસની અંદર વર – વધુના માતાપિતાને જાણ કરશે. આ જાણકારી ઇલેક્ટ્રોનિક કે રૂબરૂ રીતે આપવામાં આવશે.(સરકારે નક્કી કરેલા માધ્યમો દ્વારા)

આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર લગ્ન નોંધણી પ્રમાણપત્રની અરજી મળ્યા બાદ સંબંધિત જિલ્લા કે તાલુકાના રજિસ્ટ્રારને મોકલશે. સંતોષજનક નિયમ પાલન અને પુરતી ખાતરી થયા બાદ આ રજિસ્ટ્રાર સમક્ષ પેટા નિયમો ( 1 થી 7)માં દર્શાવ્યા મુજબ 30 દિવસ સમાપ્ત થયા બાદ લગ્ન નોંધણી કરવામાં આવશે.

રજિસ્ટ્રાર આ તમામ વિગતો સરકારના ઓનલાઇન પોર્ટલ ઉપર અપલોડ કરશે અને તે માટે સિરિયલ નંબર, પેજ નંબર, વોલ્યૂમ સહિતની વિગતો અપલોડ કરવામાં આવશે. ઉપરોક્ત કાર્યવાહી પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર દ્વારા લગ્ન નોંધણી પ્રમાણપત્ર ફોર્મ – 2 મુજબ તૈયાર કરવામાં આવશે અને આ પ્રમાણપ્તર વ્યક્તિગત કે પોસ્ટ દ્વારા પક્ષકારો સુધી પહોંચડવામાં આવશે.

મનપાના કાર્યપાલક ઇજનેર અને પત્રકાર લાંચ લેતા ઝડપાયા

સુરત શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંચની માંગ અંગે એક જાગૃત નાગરિકે ફરિયાદ કરતા સુરત શહેર એ.સી.બી.ની ટીમે છટકું ગોઠવી કાર્યવાહી કરી હતી. આ કેસમાં સુરત મહાનગર પાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ શશીકાંતભાઇ ગણેશવાલા તથા ‘નિષ્પક્ષ ગુજરાત’ દૈનિક અખબારના પત્રકાર મહંમદ ઇસ્માઇલ સામે ગુનો નોંધાયો છે.

બાંધકામ અને ડિમોલિશનનો મુદ્દો
ફરીયાદ મુજબ, સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નં. 134-135 ખાતે થયેલા બાંધકામ બાબતે અગાઉ મનાઈ હુકમની નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ડિમોલિશન ચાર્જ તરીકે રૂ. 1.70 લાખ વસૂલવામાં આવ્યા હતા અને આરોપી અધિકારીની સૂચનાથી ડિમોલિશનની કાર્યવાહી રોકવામાં આવી હતી.

લાંચની માંગ અને છટકાની કાર્યવાહી
આરોપી અધિકારીના ખાસ માણસ તરીકે કાર્ય કરતો પત્રકાર ફરીયાદીને અવારનવાર મળી બાંધકામ ન તોડવાના બદલામાં કુલ રૂ. 21 લાખની લાંચ માંગતો હતો. વાટાઘાટોના અંતે રૂ. 15 લાખમાં સોદો નક્કી થયો હતો. તા. 19-02-2026ના રોજ પ્રથમ હપ્તા તરીકે રૂ. 4 લાખ સ્વીકારવાની ગોઠવણ કરવામાં આવી હતી અને બાકી રૂ. 11 લાખ સોમવાર સુધીમાં આપવા દબાણ કરાયું હતું. લાંચ આપવા ઇચ્છા ન હોવાથી ફરીયાદીએ સુરત શહેર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. છટકાની કાર્યવાહી દરમિયાન મહંમદ ઇસ્માઇલએ ફરીયાદી પાસેથી રૂ. 4 લાખ સ્વીકારી શંકા જતા રકમ લઈને ફરાર થઈ ગયો હતો, વિપુલ શશીકાંતભાઇ પાસે તપાસ દરમિયાન મળી આવ્યો નહોતો.

ACB અધિકારીઓની ભૂમિકા
આ સમગ્ર કાર્યવાહીમાં ટ્રેપિંગ અધિકારી તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.જે. ધડુક તથા એ.સી.બી. સ્ટાફે કામગીરી કરી હતી. કેસની દેખરેખ શ્રી આર.આર. ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે ઇન્ચાર્જ અધિકારી તરીકે બલદેવ દેસાઇ, નાયબ નિયામક, વડોદરા રેન્જની જવાબદારી રહી હતી.

દક્ષિણ-મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા

શિયાળાની વિદાય વચ્ચે રાજ્યના વાતાવરણમાં ફરી એકવખત પલટો આવ્યો હતો. દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસતાં ધરતીપુત્રોના જીવ તાળવે ચોંટ્યા હતા.

સુરત, ભરૂચ, દાહોદ, પંચમહાલમાં કમોસમી વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુર, વડોદરાના શિનોર, મહીસાગરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભરૂચના હાંસોટના ઈલાવ, સાહોલ, બાલોતામાં વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાનીની ભીતી છે. તુવેર, કપાસ, એરંડા, ઘઉં સહિતના પાકને નુકસાનીની ભીતી છે. કમોસમી વરસાદના કારણે રોડ-રસ્તા પાણી પાણી થયા હતા. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પંથકમાં સવારે 4:30 કલાકે ચોમાસાની જેમ કમોસમી વરસાદ શરૂ થયો હતો. વડોદરાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી કેટલાક વિસ્તારોમાં વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી કેટલાક દિવસોમાં આશરે 30થી 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. જે મુજબ, 22 ફેબ્રુઆરી બાદ ફરી રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર થશે. ઉત્તર ભારતમાં સક્રિય થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. જેની અસર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. વલસાડ અને નવસારી જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં પણ પડી શકે છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ નીતિન નબીનનો પ્રથમ ગુજરાત પ્રવાસ

0

ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનું પ્રથમ ગુજરાત પ્રવાસ આજે શરૂ થવાથી રાજકીય ક્ષેત્રમાં ઉત્સાહનો માહોલ છે. નીતિન નબીન ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન બપોરે અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત મેળવશે. યાત્રાના સમયસર 3:30 વાગ્યે તેઓ GSC બેંક ખાતે ભાજપના ધારાસભ્યો અને સાંસદો સાથે સંવાદ કરશે, જ્યારે 5:30 વાગ્યે ઇન્ફો સિટી ખાતે ઉદ્યોગકારો, CA અને એન્ટરપ્રિનિયર્સ સાથે મુલાકાત કરશે. સાંજે 7:30 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેના બાદ કેબિનેટ મંત્રીઓ સાથે નીતિન નબીનની બેઠક રહેશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની પત્ની અમૃતા ફડણવીસએ એક્સિસ બેન્કમાંથી રાજીનામું આપ્યું

0

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમૃતા ફડણવીસે જાહેરાત કરી છે કે તેમણે પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ અગાઉ ભારતની પ્રખ્યાત એક્સિસ બેંકમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી ચૂક્યા હતા. જોકે, તેમણે ગુરુવારે રાજીનામું આપ્યું છે. રાજીનામાની જાહેરાત કરતા અમૃતાએ ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે.

અમૃતા ફડણવીસે શું કહ્યું?
અમૃતા ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના સત્તાવાર હેન્ડલ પર લખ્યું, “23 વર્ષ પહેલાં, હું એક્સિસ બેંકમાં એક યુવાન મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે જોડાઈ હતી. આજે, કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે, હું સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદેથી રાજીનામું આપી રહી છું. શાખા સંચાલનથી લઈને કોર્પોરેટ બેંકિંગ, ટ્રેઝરીથી લઈને ગ્રાહક સંબંધો સુધીના અનુભવ સાથે, આ સંસ્થા મારો પરિવાર, શિક્ષક અને બીજું ઘર રહી છે.”

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં વધુમાં કહ્યું, “હું મારા સાથીદારો અને લીડર, ખાસ કરીને એમડી અને સીઈઓ અમિતાભ ચૌધરીનો તેમના બધા સમર્થન માટે આભારી છું. આ સુંદર પ્રકરણનો અંત આવતાં, હું મારી સાથે જીવનભરના પાઠ અને મિત્રતા લઈ જઈશ. આભાર, એક્સિસ બેંક.” “

દેવેન્દ્ર અને અમૃતાના લગ્ન 2005 માં થયા હતા. દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસ ઘણીવાર સમાચારમાં રહે છે. તેમના લગ્ન 2005 માં થયા હતા. અમૃતા ઘણીવાર રાજકીય મુદ્દાઓ પર તેમના પતિ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ટેકો આપતી જોવા મળે છે. અમૃતા, તેના X હેન્ડલ પર જણાવે છે કે તે એક ભૂતપૂર્વ બેંકર, ગાયિકા અને સામાજિક કાર્યકર છે. અમૃતા સોશિયલ મીડિયા પર નોંધપાત્ર ફેન ફોલોઇંગ ધરાવે છે, X પર 237,000 થી વધુ ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 1.6 મિલિયન ફોલોઅર્સ પણ છે.

મેઘાલયના સાંસદ રિકી સિંગ્કોનનું ફુટબોલ રમતી વખતે નિધન

0

મેઘાલયના સાંસદ રિકી એ. જે. સિંગકોનનું 54 વર્ષની ઉંમર નિધન થયું છે. તેઓ ફુટબોલ રમી રહ્યા હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું છે. તેઓ મેઘાલયના શિલોગ મતવિસ્તારના પીપલ્સ પાર્ટીના સાંસદ હતા. તેમના અચાનક નિધનથી મેઘાલયમાં શોકનો માહોલ છે. પ્રાપ્ત માહિતી મુજબ, સિંગ્કોન ગુરુવાર સાંજે માવલાઇ માવિંયોગ સ્થિત એક મેદાનમાં મિત્રો સાથે ફુટબોલ રમી રહ્યા હતા. ફુટબોલ રમતી વખતે તેઓ અચાનક નીચે પડી ગયા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ડોક્ટરોએ ઘણા પ્રયાસ કરવા છતાં રિકી એજે સિંગ્કોનનો જીવ બચાવી શકયા નહીં.

ડો. રિકી સિંગ્કોન સમર્પિત અને કરુણામયી નેતા હતા : મેઘાલયના મુખ્યમંત્રી કે. સંગમા
મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે, સંગમાએ ટ્વિટ કર્યું કે, શિલોંગના માનનીય સાંસદ રિકી એજે સિંગ્કોનના આકસ્મિક નિધનથી હું અત્યંત સ્તબ્ધ અને દુઃખી છું. ડો. રિકી એક સમર્પિત અને કરુણામયી નેતા હતા, તેનામાં જનસેવા પ્રત્યેનો ઉત્સાહ અને પોતાની જનતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા હતી. તેઓ આસ્થાવાન હતા અને વિનમ્રતા, દૂરદર્શિતા અને સમાજના ઉત્થાનની સાચી ઇચ્છા સાથે સેવા કરતા હતા. આ મુશ્કેલીના સમયમાં તેમના પરિવાર, મિત્રો અને અગણિત શુભચિંતકો પ્રત્યે મારી ઉંડી સંવેદનાઓ છે, ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે.

સાંસદ રિકી સિંગ્કોનના નિધન પર PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ શિલોંગના સાંસદ રિકી એજે સિંગ્કોનના અચાનક નિધન થવા પર ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે. PM મોદીએ ટ્વિટમાં લખ્યું છે – શિલોંગના લોકસભા સાંસદ ડૉ. રિકી એજે સિંગકોનના નિધનથી અત્યંત દુઃખ થયું છે. મેઘાલયના લોકો પ્રત્યેની તેમની સમર્પિત સેવા માટે તેમને યાદ કરવામાં આવશે. આ મુશ્કેલ સમયમાં મારા વિચારો તેમના પરિવાર, મિત્રો અને સમર્થકો સાથે છે. તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના.

રિકી સિંગ્કોને 3 વખતના કોંગ્રેસ સાંસદને હટાવ્યો
VVP ની ટિકિટ પર ચૂંટણી લડી તેમણે ત્રણ વખતના કોંગ્રેસ સાંસદ વિંસેન્ટ એચ. પાલાને 37 લાખ કરતા વધારે મતોથી હરાવ્યો હતો, જેનાથી મેઘાલયના રાજકારણના સમીકરણમાં મહત્વપૂર્ણ ફેરફાર આવ્યો હતો. છેવેડાના લોકો સાથે સંપર્ક અને આદિવાસી અધિકારો, શાસન અને પારદર્શિતા માટે તરફેણ કરનાર રિકી સિંગ્કોનના અચાનક નિધનથી મેઘાલય રાજ્ય અને દેશનું રાજકારણ ખાસ કરીને વીપીપીને મોટી ખોટ પડી છે.

રાંદેરમાં આગડિયા પેઢીના કર્મચારીની કારનો કાચ તોડી રૂ.35 લાખની લૂંટ, CCTVમાં કેદ

સુરતના રાંદેર મોરા ભાગળ નજીક ઢળતી સાંજે બાઇક સવાર બે જણા એ જાહેર રોડ પર આગડિયા પેઢીના કર્મચારીને કોઈ હથિયાર વડે આંતરી રૂપિયા 35 લાખની લૂંટ ચલાવી મોપેડ સવાર બે અજાણ્યા ઈસમો ભાગી ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એટલું જ નહીં પણ ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ દોડતી થઈ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

પોલીસે તાત્કાલિક ફરિયાદી પાસે પ્રાથમિક માહિતી લઈ નાકાબંધી કરી મોપેડ સવાર લૂંટારુઓને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. જોકે લૂંટારું બન્ને ઇસમોના CCTV માં કેદ થઈ જતા પોલીસે બન્ને લૂંટારુઓ ઓળખ દિશામાં પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર લૂંટારુઓ મોપેડ ઉપર આવ્યા હતા અને આંખના પલકારે આગદિયા પેઢીના કર્મચારી પાસે રૂપિયા ભરેલો થેલો ઝૂંટવી ભાગી ગયા હતા. લૂંટારુંઓનો ભોગ બનેલા ઇસમે બુમાબુમ કરી દેતા લોકો ભેગા થઈ ગયા હતા.

આ ઘટના રાંદેર રામનગર પાસે મોબાઇલની દુકાન બહાર બની હતી. લૂંટારું બન્ને ઈસમો એક્ટિવા પર આવ્યા હતા. લોકોએ પોલીસને જાણ કરતા રાંદેર પોલીસ સહીત ક્રાઇમ બ્રાન્ચ ની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે તપાસ કરતા લૂંટારુઓ કાર ના કાચ તોડી લૂંટ ચલાવી હોવાનું બહાર આવ્યું હતું.

આવક પ્રમાણપત્ર માટે નવી સરળ પ્રક્રિયા અમલમાં, જાણો નવા નિયમો

ગુજરાત સરકારે ડિજિટલ ઈન્ડિયાની દિશામાં એક મહત્વનું પગલું ભર્યું છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આવકનું પ્રમાણપત્ર અંગે મહત્વપૂર્ણ સુધારા જાહેર કરવામાં આવ્યા છે. હવે રાજ્યના નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને આવક પ્રમાણપત્ર મેળવવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં.

સરકારનો મહત્ત્વનો નિર્ણયઆ નવા સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતાને સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ અપાવવા અને ભ્રષ્ટાચાર ઘટાડાનો છે. નવા ઠરાવ અનુસાર, હવે અરજદારે પોતાની આવક અંગે કોઈ લાંબી વેરિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવાને બદલે સેલ્ફ ડેક્લેરેશન આપવાનું રહેશે. હવે અરજદારે પોતાની આવક બાબતે સ્વ-ઘોષણા આપવી રહેશે. જો કે, ખોટી માહિતી આપવાના કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઓનલાઇન અરજી પ્રક્રિયા મજબૂત બનશેરાજ્ય સરકારના નવા ઠરાવ અનુસાર ડિજિટલ e-સર્ટિફિકેટ સુવિધા સાથે આવકનું પ્રમાણપત્ર હવે QR Code અને Digitally Signed e-Seal સાથે આપવામાં આવશે. સાથે જ અરજી પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે Single Sign-On (SSO) સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે. જેનાથી ઓનલાઈન અરજી પ્રક્રિયા મજબૂત બનશે. SSO સિસ્ટમથી અરજદાર એક જ જગ્યાથી અનેક સુવિધા મેળવી શકે છે. તેમજ અરજદાર ઓનલાઇન માધ્યમથી અરજી અને ટ્રેકિંગ સુવિધાનો લાભ મેળવી શકશે.

અધિકારીઓની જવાબદારી નિર્ધારિતઆ નવી વ્યવસ્થામાં મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી (TDO)ની ભૂમિકા વધુ સ્પષ્ટ કરવામાં આવી છે. દરેક અરજીનો ચોક્કસ સમયમર્યાદામાં નિકાલ થાય તે માટે વહીવટી તંત્રને સુદ્રઢ બનાવવામાં આવ્યું છે. આ નિર્ણયથી રાજ્યમાં ભ્રષ્ટાચાર ઘટશે. આ સાથે જ સમય અને આર્થિક ખર્ચ બચશે અને વહીવટી કામગીરી વધુ પારદર્શી બનશે.