Home Blog Page 148

મણિપુરમાં ફરી તણાવ: કુકી ઉગ્રવાદીઓનો સેનામાં ફાયરિંગ, અડધો કલાક મોઢામોઢ અથડામણ

0

મણિપુરના વિષ્ણુપુરમાં ગઈકાલે મોડી રાત્રે સેના અને શંકાસ્પદ કુકી આતંકવાદીઓ વચ્ચે 30 મિનિટ સુધી ગોળીબાર થયો હતો, જેમાં આતંકવાદીઓએ સેનાની ચોકી પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ સેના, CRPF અને પોલીસે આ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

બુધવારે મોડી રાત્રે મણિપુરના વિષ્ણુપુર જિલ્લામાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટર બાદ, સેના, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને રાજ્ય પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલુ છે.

પોલીસે જણાવ્યું હતું કે ગોળીબાર લગભગ 30 મિનિટ સુધી ચાલ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે રાત્રે લગભગ 11:40 વાગ્યે, ફોલજાંગ/ગોટોલ વિસ્તારમાંથી શંકાસ્પદ સશસ્ત્ર કુકી આતંકવાદીઓએ ફોગકચાઓ અવંગ લીકાઈ ખાતે ભારતીય સેનાની ચોકી પર ગોળીબાર કર્યો હતો. આ વિસ્તારમાં તૈનાત CRPF ની 58મી બટાલિયને તાત્કાલિક જવાબી કાર્યવાહી કરી, જેના કારણે ગોળીબાર શરૂ થયો.

સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરાયું
ગોળીબારની ઘટના પછી તરત જ, સેના, CRPF, પોલીસ અને ભારતીય રિઝર્વ બટાલિયન (IRB) દ્વારા સંયુક્ત શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન તે વિસ્તાર પર કેન્દ્રિત છે જ્યાં ગોળીબાર થયો હતો તેમજ આસપાસના પહાડી વિસ્તારો પર પણ કેન્દ્રિત છે.

નાગરિકોને અફવાઓ ન ફેલાવવા અપીલ
સુરક્ષા દળો પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને આસપાસના પર્વતીય વિસ્તારોમાં તેમની કામગીરી ચાલુ રાખશે. અધિકારીઓએ નાગરિકોને કોઈપણ અફવાઓ ન ફેલાવવા વિનંતી કરી છે.

મણિપુર છેલ્લા કેટલાક સમયથી વંશીય હિંસાનો સામનો કરી રહ્યું છે, જે મુખ્યત્વે મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચેના તણાવને કારણે છે. આવી ઘટનાઓ પ્રદેશમાં સુરક્ષા જાળવવાના પડકારોને ઉજાગર કરે છે. સેના અને સુરક્ષા દળો શાંતિ અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે.

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. રાજ્યપાલ અજય કુમાર ભલ્લા દ્વારા લૂંટાયેલા અને ગેરકાયદેસર રીતે રાખેલા હથિયારો સોંપવાની સમયમર્યાદા ગયા અઠવાડિયે પૂરી થઈ ગઈ છે. જો ભારે હથિયારોથી સજ્જ “સ્વયંસેવકો” ફરીથી રસ્તા પર નાકાબંધી કરવાનો પ્રયાસ કરશે તો સુરક્ષા દળો તેમની સામે કડક કાર્યવાહી કરશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

એપ્રિલથી દવાઓ મોંઘી: પેઈનકિલરથી માંડી તાવ સુધી 1,000 દવાઓના ભાવમાં વધારો

0

હોળીના તહેવાર બાદ સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે. આગામી 1 એપ્રિલ 2026થી તાવ, ઈન્ફેક્શન અને એનીમિયા જેવી બીમારીઓમાં વપરાતી આવશ્યક દવાઓના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. સરકાર દ્વારા નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સમાં સામેલ દવાઓની કિંમતોમાં અંદાજે 0.6% ના વધારાને મંજૂરી આપવામાં આવી છે.

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સમાં થયેલા ફેરફારને આધારે આ વધારો કરવામાં આવ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા મુજબ, વર્ષ 2024ની સરખામણીએ 2025માં WPI માં (+) 0.64956% નો વાર્ષિક ફેરફાર જોવા મળ્યો છે.

આ વધારો 1,000 થી વધુ આવશ્યક દવાઓ પર લાગુ થશે. જેમાં મુખ્યત્વે પેરાસીટામોલ કે જે તાવ અને દુખાવા માટે સૌથી વધુ વપરાતી દવા છે. બેક્ટેરિયલ ઇન્ફેક્શન માટે વપરાતી એઝિથ્રોમાસીન જેવી દવાઓ, એનીમિયા અને વિટામિન્સ લોહીની ઉણપ દૂર કરવાની દવાઓ અને મિનરલ્સ, સ્ટીરોઈડ્સ કે જે ગંભીર બીમારીઓ અને શ્વસન સંબંધી સારવારમાં વપરાતી દવાઓનો સમાવેશ થાય છે.

ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતોના મતે, આ મામૂલી વધારો પૂરતો નથી. ચાલુ ઈરાન યુદ્ધને કારણે દવાઓ બનાવવામાં વપરાતા કાચા માલ (APIs) અને સોલ્વન્ટ્સના ભાવમાં જંગી ઉછાળો આવ્યો છે. ગ્લિસરીનની કિંમતમાં 64% નો વધારો થયો છે. આ ઉપરાંત પેરાસીટામોલ APIની કિંમતમાં 25% નો વધારો થયો છે. પેકેજિંગ મટિરિયલ જેવા કે એલ્યુમિનિયમ ફોઈલ અને PVC ના ભાવ 40% સુધી વધ્યા છે. દવાઓના ઉત્પાદન ખર્ચમાં 30-35% નો વધારો થયો છે, જેની સામે 0.6% નો ભાવ વધારો ઉદ્યોગ માટે પૂરતો નથી. અમે આ મુદ્દે NPPA સમક્ષ રજૂઆત કરવાની પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.

આંધ્રપ્રદેશમાં ભયાનક અકસ્માત: લોરી સાથે અથડાતાં સ્લીપર બસમાં લાગી આગ, 14 લોકોના મોત

0

આંધ્રપ્રદેશના માર્કપુર જિલ્લામાં રાયવરમ નજીક ગુરુવારે વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સ્લેબ ખાણો નજીક એક ખાનગી સ્લીપર બસ અને ટિપર લારી વચ્ચે જોરદાર ટક્કર થતાં બસમાં આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે 14 લોકોના કરૂણ મોત થયા હોવાનું જાણવા મળે છે, જ્યારે અનેક મુસાફરો ઘાયલ થયા છે.

માર્કપુરમના ડીએસપી હર્ષવર્ધન રાજુના જણાવ્યા મુજબ, બસ જાગિત્યાલાથી કાલિગિરી તરફ જઈ રહી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં તરત જ આગ લાગી અને થોડી જ વારમાં બસ સંપૂર્ણપણે બળી ને ખાક થઈ ગઈ. પ્રાથમિક માહિતી મુજબ ઘણા મુસાફરો જીવતા જ સળગી ગયા હોવાની આશંકા છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ અને રાહત-બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતદેહોની ઓળખ માટે પ્રયત્નો ચાલુ છે.

આ દુર્ઘટનાને લઈને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે અધિકારીઓ સાથે વાતચીત કરીને ઘટનાની સંપૂર્ણ માહિતી મેળવી અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાની સાથે અકસ્માતના કારણોની વિગતવાર તપાસ કરવા નિર્દેશ આપ્યો છે.

પોલીસ મુજબ, હરિકૃષ્ણ ટ્રાવેલ્સની આ બસ તેલંગાણાના નિર્મલથી નેલ્લોર જઈ રહી હતી. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસમાં લાગી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા પ્રયાસો ચાલી રહ્યા છે.

દેશમાં દરેક નાગરિક માટે સમાન કાયદો હોવો જોઈએ’, અમિત શાહ

0

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે ગુજરાતમાં પણ UCCના અમલીકરણની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) બિલ પસાર કરવામાં આવ્યું છે.

આ માટે હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આ બિલને ટેકો આપનારા તમામ ધારાસભ્યોને અભિનંદન આપું છું. દેશને તુષ્ટિકરણના આધારે ચલાવવામાં આવવો જોઈએ નહીં, પરંતુ તમામ નાગરિકો માટે સમાન કાયદા સાથે, આ અમારી પ્રાથમિકતા અને અમારો સંકલ્પ છે.

યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. મંગળવારે, ન્યાયમૂર્તિ રંજના દેસાઈની આગેવાની હેઠળની યુસીસી પેનલે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને ત્રણ ભાગમાં તેનો ડ્રાફ્ટ રિપોર્ટ સુપરત કર્યો હતો.

ગુજરાત સરકારે ફેબ્રુઆરી 2024માં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે એક સમિતિની રચના કરી હતી. આ પછી સમિતિએ લગ્ન, છૂટાછેડા, વારસા અને દત્તકને લગતા સમાન કાયદા અંગે સૂચનો લીધા હતા.

આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ ધામી સરકારના ખુલ્લેઆમ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે ઉત્તરાખંડે UCC લાગુ કરીને દેશની સામે એક નવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. અમિત શાહે એમ પણ કહ્યું હતું કે કોઈપણ નાગરિકનો ધર્મ અલગ હોઈ શકે છે પરંતુ દેશમાં દરેક વ્યક્તિ માટે સમાન કાયદા હોવા જોઈએ.

UCC ના અમલીકરણથી સમાજમાં સમાનતા અને ન્યાયની લાગણી મજબૂત થશે. આ કાયદો વસ્તીમાં થતા અકુદરતી વધારાને અંકુશમાં લેવામાં પણ મદદરૂપ સાબિત થશે.

ગૃહમંત્રીએ એમ પણ કહ્યું હતું કે દેશના વસ્તી માળખામાં અકુદરતી ફેરફારોને ધ્યાનમાં રાખીને, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો છે, જે ટૂંક સમયમાં તેનું કામ શરૂ કરશે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં યુસીસીનો મુદ્દો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો. જેમાં યુસીસી કમિટીની રચનાને પડકારવામાં આવી હતી. જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આવો જ કાયદો ગોવામાં પહેલાથી જ અમલમાં છે. ગયા વર્ષે ઉત્તરાખંડે UCC લાગુ કર્યું હતું.

સુરતના કતારગામમાં સાવકા પિતાનો શરમજનક કૃત્ય: દીકરી પર દુષ્કર્મનો આરોપ

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં માનવતાને શરમાવે એવી ઘટના સામે આવી છે, જ્યાં સાવકા પિતાએ પોતાની જ નાબાલિક દીકરી સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

માહિતી મુજબ, 14 વર્ષની દીકરીને અચાનક પેટમાં દુખાવો થતા મામલો બહાર આવ્યો હતો. દીકરીએ પોતાની માતાને સમગ્ર હકીકત જણાવી, જેમાં સાવકા પિતાએ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો કર્યો હતો. આ સાંભળ્યા બાદ માતાએ તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

ફરિયાદના આધારે કતારગામ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. સાથે જ બાળકીનું તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને જરૂરી મેડિકલ તપાસ પણ કરવામાં આવી રહી છે.

પોલીસે આ ગંભીર મામલામાં પોક્સો (POCSO) અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.

35 દિવસનું શટડાઉન: શું પેટ્રોલ પંપ ખાલી થશે? જાણો રિફાઈનરી કેમ બંધ રહેશે

0

ઈરાન-ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ પેદા કર્યો છે. આની સૌથી વધુ અસર હોર્મુઝ સ્ટ્રેટ પર પડી છે. ઈરાને તેમાંથી પસાર થતા મોટાભાગના તેલ અને ગેસ જહાજોને અવરોધિત કર્યા છે. આનાથી ભારત સહિત વિશ્વભરના ઘણા દેશોમાં તેલ અને ગેસનો પુરવઠો ઓછો થયો છે. આ પુરવઠાની અછત વચ્ચે, દેશની એક મોટી તેલ કંપની, નાયરા એનર્જીને ભારે ફટકો પડ્યો છે. આ કંપની 35 દિવસ માટે બંધ રહેશે. રશિયન જાયન્ટ રોઝનેફ્ટ દ્વારા સમર્થિત નાયરા એનર્જી, એપ્રિલની શરૂઆતથી લગભગ 35 દિવસ માટે કામગીરી સ્થગિત કરવાની છે.

ઈરાન યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ અને LPG આયાતમાં પહેલાથી જ નોંધપાત્ર વિક્ષેપોને ધ્યાનમાં રાખીને, આ નિર્ણય ભારતના સ્થાનિક ઇંધણ પુરવઠા માટે એક મહત્વપૂર્ણ પડકાર ઉભો કરી શકે છે. નાયરા એનર્જીના દેશભરમાં અસંખ્ય પેટ્રોલ પંપ છે, જેના કારણે આ પંપો પર તેલની અછત સર્જાઈ શકે છે.

નાયરા એનર્જી ગુજરાતના વાડીનારમાં સ્થિત છે. તે દેશની બીજી સૌથી મોટી રિફાઇનરી છે, જેની ક્ષમતા વાર્ષિક 20 મિલિયન ટન છે. ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, તેના બંધ થવાથી ભારતની કુલ રિફાઇનિંગ ક્ષમતામાં આશરે 8%નો ઘટાડો થશે.

આ રિફાઇનરી કેમ બંધ રહેશે?
જાળવણીના કારણે રિફાઇનરી 35 દિવસ માટે બંધ રહેશે. યુરોપિયન પ્રતિબંધોને કારણે ગયા વર્ષે રિફાઇનરીની જાળવણી મુલતવી રાખવામાં આવી હતી. જાળવણી માટે જરૂરી રસાયણો અને ઉત્પ્રેરક સપ્લાય કરતા યુરોપિયન વિક્રેતાઓએ નાયરા સાથે કામ કરવાનો ઇનકાર કર્યો હતો. કંપનીએ હવે જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

સામાન્ય લોકો માટે આ કેવો આઘાત?
નયારા એનર્જી તેનું મોટાભાગનું ઉત્પાદન સ્થાનિક બજારમાં વેચે છે. દેશભરમાં તેના આશરે 7,000 પેટ્રોલ પંપ છે. તે રાજ્યની માલિકીની તેલ કંપનીઓને પણ ઇંધણ પૂરું પાડે છે. તેથી, રિફાઇનરી બંધ થવાથી સ્થાનિક બજારમાં તેલ અને ગેસની ઉપલબ્ધતા પર વધુ અસર પડી શકે છે.

PNG સ્વિચ નિયમ: જો ઘરો પાઇપ ગેસ આદેશનો ઇનકાર કરશે તો LPG સપ્લાય બંધ થશે

0

સરકારે નવા આદેશ હેઠળ જણાવ્યું છે કે જ્યાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્ટિવિટી ઉપલબ્ધ છે, ત્યાં જો ગ્રાહકો ત્રણ મહિનામાં PNG પર સ્વિચ નહીં કરે તો તેમના ઘર સુધીનો LPG ગેસ સપ્લાય બંધ કરી દેવામાં આવશે. ગેસ નેટવર્કનો વિસ્તાર ઝડપથી કરવા અને એક જ ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

ભારતમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સપ્લાયમાં અવરોધોને કારણે LPGની અછત સર્જાઈ રહી છે. આ કારણે સરકાર ઘરેલુ અને વ્યાવસાયિક ગ્રાહકોને PNG તરફ પ્રોત્સાહિત કરી રહી છે. PNG પાઇપલાઇન મારફતે સીધો રસોડા સુધી પહોંચે છે, જેથી વારંવાર ગેસ સિલિન્ડર બુક કરવાની જરૂર રહેતી નથી.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે નેચરલ ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનો વિતરણ (પાઇપલાઇન અને અન્ય સુવિધાઓના નિર્માણ, સંચાલન અને વિસ્તરણ દ્વારા) આદેશ, 2026 જાહેર કર્યો છે. આ આદેશનો હેતુ પાઇપલાઇન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ, મંજૂરી પ્રક્રિયા સરળ બનાવવી અને LPGમાંથી PNG તરફ પરિવર્તન વધારવાનો છે. આ આદેશ અનુસાર જ્યાં PNG કનેક્શન ટેક્નિકલ રીતે શક્ય છે અને ઘર PNG લેતું નથી, ત્યાં ત્રણ મહિનાની અંદર LPG સપ્લાય બંધ કરી દેવાશે. જો ટેક્નિકલ કારણોસર PNG કનેક્શન શક્ય ન હોય તો NOC (નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ) આપવામાં આવશે અને LPG સપ્લાય ચાલુ રહેશે.

સરકારનો હેતુ શો છે?
સરકારનો ઉદ્દેશ એ છે કે જ્યાં પાઇપલાઇન સુવિધા ઉપલબ્ધ છે ત્યાંથી LPGની માગ ઘટાડીને તે ગેસ એવા વિસ્તારોમાં મોકલી શકાય જ્યાં PNG ઉપલબ્ધ નથી. આ સાથે ઊર્જા સુરક્ષા મજબૂત કરવી અને ઈંધણના વિકલ્પોને વધારવાનો પ્રયાસ પણ છે. આ આદેશ બાદ PNG ઉપલબ્ધ હોય ત્યાં ઘરોએ PNG તરફ જવું લગભગ અનિવાર્ય બનશે અને LPG સપ્લાય માત્ર તે વિસ્તારોમાં જ રહેશે જ્યાં PNG શક્ય નથી.

ગુજરાતમાં બનશે ભારતનું ત્રીજું સેટેલાઇટ લોન્ચ સેન્ટર? જાણો ક્યાં બનશે આ સ્પેસપોર્ટ

0

ભારત અવકાશ ક્ષેત્રમાં પોતાની શક્તિ વધુ મજબૂત બનાવવાના દિશામાં ઝડપી પગલાં લઈ રહ્યું છે. આ જ કડીમાં દેશનું ત્રીજું સેટેલાઇટ લોન્ચ સેન્ટર ગુજરાતમાં સ્થાપિત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. માહિતી મુજબ આ સ્પેસપોર્ટ ગીર સોમનાથ જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે બનાવવામાં આવી શકે છે, જેના માટે યોગ્ય સ્થાન પણ ઓળખવામાં આવ્યું છે.

શ્રીહરિકોટા સ્પેસ સેન્ટર અને તમિલનાડુના થુથુકુડી જિલ્લાના કુલશેખરપટ્ટીનમ ખાતે બનાવવામાં આવી રહેલા લોન્ચ સેન્ટર પછી, ભારતનું ત્રીજું સેટેલાઇટ લોન્ચ સેન્ટર ગુજરાતમાં સ્થાપિત થવાની સંભાવના છે . ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ તાજેતરમાં વિધાનસભામાં જાહેરાત કરી હતી કે અરબી સમુદ્ર કિનારે ગીર સોમનાથ જિલ્લા નજીક એક પ્રસ્તાવિત લોન્ચ સાઇટ ઓળખવામાં આવી છે.

ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં જણાવ્યું હતું કે ગીર સોમનાથ નજીક દીવ અને કોડીનાર વચ્ચે એક યોગ્ય સ્થળ ઓળખવામાં આવ્યું છે. આ પસંદગી ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACE) સાથે ચર્ચા કર્યા બાદ કરવામાં આવી છે, જે આ પ્રોજેક્ટને વધુ મજબૂત આધાર આપે છે.

રાજ્ય સરકાર માત્ર લોન્ચ સેન્ટર પૂરતું જ નહીં, પરંતુ અવકાશ ટેકનોલોજી ક્ષેત્રે ઉદ્યોગોને આકર્ષવા માટે પણ સક્રિય છે. સાણંદ નજીક લગભગ 100 એકર જમીન પર સ્પેસ પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે. ઉપરાંત, અજિસ્તા એરોસ્પેસ જેવી કંપનીઓએ નાના ઉપગ્રહોના ઉત્પાદન માટે કરોડો રૂપિયાનું રોકાણ શરૂ કર્યું છે, જે ગુજરાતને સ્પેસ ઇન્ડસ્ટ્રીનું મહત્વપૂર્ણ હબ બનાવવાની દિશામાં મોટું પગલું માનવામાં આવે છે.

ઈરાન પાસેથી ‘સીક્રેટ ગિફ્ટ’ મળવાનો દાવો કરી રહ્યા છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમને ઈરાન તરફથી મોટી ‘ગિફ્ટ’ મળી છે. તેમના મતે, આ ભેટનો સંબંધ પરમાણુ સાથે નથી, પરંતુ તેલ અને ગેસ સાથે છે. જો કે, ટ્રમ્પે હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે તેમને ઈરાન પાસેથી શું મળ્યું.

તેમણે નિશ્ચિતપણે કહ્યું કે ઈરાન આ સમયે સમજૂતી કરવા માંગે છે. ટ્રમ્પના કહેવા પ્રમાણે ઈરાનનું નૌકાદળ લગભગ નાશ પામ્યું છે, તેની વાયુસેના નષ્ટ થઈ ગઈ છે અને તેની કોમ્યુનિકેશન સિસ્ટમ પણ યોગ્ય રીતે કામ કરી રહી નથી.

ટ્રમ્પે પરમાણુ શસ્ત્રો વિશે વાત કરી હતી
રાષ્ટ્રપતિ ટ્રમ્પે એમ પણ કહ્યું કે જો ઈરાન પાસે આ સમયે પરમાણુ હથિયાર હોત તો તે અત્યાર સુધીમાં તેનો ઉપયોગ કરી લેત. તેમના મતે, જો તેમણે બરાક ઓબામાના સમયમાં કરવામાં આવેલ ઈરાન પરમાણુ કરારને ખતમ ન કર્યો હોત તો ઈરાન પાસે ચાર વર્ષ પહેલા પરમાણુ શસ્ત્રો હતા અને તેનો ઉપયોગ કર્યો હોત. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ઈરાન સાથે વાટાઘાટો ચાલુ છે અને સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે.

સાથે જ ઈરાન દ્વારા આ દાવાઓને ફગાવી દેવામાં આવ્યા છે. ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાકિર કાલિબાફે સોમવારે આવા તમામ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે.

15-પોઇન્ટ યુદ્ધવિરામ યોજના
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાની હેઠળના વહીવટીતંત્રે ઈરાનને 15-પોઈન્ટની યુદ્ધવિરામ યોજનાની ઓફર કરી છે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે યુદ્ધવિરામ યોજના પાકિસ્તાની મધ્યસ્થીઓ દ્વારા ઈરાનને સોંપવામાં આવી હતી. પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતમાં મધ્યસ્થી કરવાની ઓફર કરી છે.

કેન્દ્ર સરકારે કોંગ્રેસને 28 માર્ચ સુધીમાં 24 અકબર રોડ ઓફિસ ખાલી કરવા નોટિસ ફટકારી

કોંગ્રેસ પાર્ટીને તેના બે મહત્વના કાર્યાલયોમાંથી બહાર કાઢવાની નોટિસ મળી છે. આમાં રાષ્ટ્રીય મુખ્યાલય 24 અકબર રોડ અને યુવા કોંગ્રેસનું મુખ્ય કાર્યાલય 5 રાઈસિના રોડ સામેલ છે. કેન્દ્ર સરકારે પાર્ટીને 28 માર્ચ (શનિવાર) સુધીમાં આ બંને પ્રિમિસીસ ખાલી કરવા જણાવ્યું છે.

આ નોટિસ કેટલાક દિવસ પહેલાં મોકલવામાં આવી છે અને તે લુત્યન્સ દિલ્હીમાં કોંગ્રેસની હાજરીને અસર કરશે. 1978થી અકબર રોડ પર કોંગ્રેસનું રાષ્ટ્રીય મુખ્યાલય છે, જ્યાં પાર્ટીના મોટા નિર્ણયો અને સંકલનનું કામ થાય છે. 5 રાઈસિના રોડ પર ઈન્ડિયન યુવા કોંગ્રેસ અને NSUIના કાર્યાલયો છે. કોંગ્રેસ પક્ષે તૈયારીના ભાગરૂપે અગાઉથી જ ઈન્દિરા ભવન, આઈટીઓ પાસે ઓફિસ ખસેડી લીધી છે.

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, અમે અમારી પાસે ઉપલબ્ધ કાનૂની વિકલ્પો તપાસી રહ્યા છીએ, પરંતુ આ વખતે સરકાર વધુ આક્રમક છે. પાર્ટી હવે કોર્ટમાં જવા સહિતના વિકલ્પો પર વિચાર કરી રહી છે.

અને સરકાર પાસેથી સમય મર્યાદા વધારવાની માંગ કરવાની તૈયારીમાં છે. કેટલાક વ્યૂહાત્મક વિકલ્પો જેમ કે રાજ્યસભામાં વરિષ્ઠ નેતાને લાવીને બંગલો તેમના નામે અલોટ કરાવવાની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે. આ ઘટના વિપક્ષ કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર વચ્ચેના તણાવને વધુ વધારે છે. અગાઉ પણ અકબર રોડના કાર્યાલયોને લઈને વિવાદો થયા હતા, પરંતુ આ વખતે સમય મર્યાદા ખૂબ જ ઓછી હોવાથી પાર્ટીમાં ચિંતા વ્યાપી છે.

કોંગ્રેસે હજુ સુધી આ મામલે વધુ વિગતવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓમાં આને રાજકીય દબાણ તરીકે જોવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં કાનૂની અને રાજકીય વિકાસ જોવા મળી શકે છે.