પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં તાજેતરમાં મહાકાય શીલાઓ ધસી પડવાના કારણે બે પ્રવાસીઓના કરુણ મોત નીપજ્યા હતા. આ ભયાનક દુર્ઘટના બાદ આજે સ્થાનિક લોકો અને વેપારીઓએ સાથે મળીને યાત્રિકોની સુરક્ષા માટે એક સરાહનીય લોકજાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સ્થાનિકો અને દુકાનદારોએ સ્વયંભૂ શ્રમયજ્ઞ આદરીને ડુંગર પર આવેલા તમામ ભયજનક સ્થાનોને ઓળખી કાઢ્યા હતા અને તેને દૂર કરવાનું વિશેષ અભિયાન હાથ ધર્યું હતું.
આ અભિયાન અંતર્ગત માંચીથી લઈને તારાપૂર દરવાજા સુધીના માર્ગમાં નડતરરૂપ અને જોખમી એવા તમામ દબાણો વેપારીઓએ સ્વેચ્છાએ હટાવી લીધા હતા. આ સાથે જ રસ્તામાં આવતા ભારેખમ અને ગમે ત્યારે પડી શકે તેવા જોખમી પથ્થરોને પણ તોડીને દૂર કરવામાં આવ્યા હતા, જેથી ભવિષ્યમાં આવી કોઈ હોનારત ન સર્જાય અને અહીં આવતા લાખો ભક્તોની સલામતી જળવાઈ રહે.