Home Blog

આ 4 રાશિઓ માટે આજનો દિવસ રહેશે સુપરહિટ! કરિયર, ધન અને પરિવારની બાબતમાં મળશે ખુશખબર

૯ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ રજૂ કરેલ છે:

​મેષ (Aries):
આજે તમારી કાર્યક્ષમતા અને નિર્ણાયક શક્તિમાં સારો વધારો જોવા મળશે. વેપાર અને વ્યવસાય ક્ષેત્રે નવા વિચારો અમલમાં મૂકવા માટે અનુકૂળ સમય છે. પરિવાર સાથે સાંજનો સમય હળવાશ અને ખુશીથી વિતશે. નાણાકીય દ્રષ્ટિએ સ્થિતિ મજબૂત રહેશે, પરંતુ આવેશમાં આવીને ઉતાવળા નિર્ણયો લેવાથી બચવું.


​વૃષભ (Taurus):
નાણાકીય આયોજન પર વિશેષ ધ્યાન આપવું અને બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ રાખવો હિતાવહ છે. કાર્યક્ષેત્રે સહકર્મીઓ સાથે સારો તાલમેલ જાળવી રાખવાથી મુશ્કેલ કામ પણ સરળ બનશે. કૌટુંબિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને માંગલિક વિષયો પર ચર્ચા થશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, આહારમાં નિયમિતતા રાખવી.


​મિથુન (Gemini):
બુધવારના દિવસે રાશિ સ્વામી બુધની કૃપાથી તમારી બુદ્ધિપ્રતિભા અને વાતચીતની કળાથી અટકેલા મહત્વના કાર્યો પૂર્ણ થશે. વેપાર-ધંધામાં નવા કરારો કે ભાગીદારી થવાની ઉત્તમ સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને સંશોધન કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો શ્રેષ્ઠ સમય છે. મિત્રો સાથેની મુલાકાત મનને પ્રફુલ્લિત કરશે.


​કર્ક (Cancer):
માનસિક શાંતિ જાળવી રાખવા માટે નકારાત્મક ચર્ચાઓ કે વિચારોથી દૂર રહેવું લાભદાયી રહેશે. નોકરીમાં તમારી મહેનત અને પ્રામાણિકતાની વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કદર થશે. પારિવારિક સંબંધોમાં સ્નેહ અને મધુરતા જળવાઈ રહેશે તથા જીવનસાથીનો પૂરો સાથ મળશે. આધ્યાત્મિક વિચારોમાં મન પરોવવું.


​સિંહ (Leo):
આત્મવિશ્વાસ ઉત્તમ રહેશે અને તમારી નેતૃત્વ ક્ષમતાથી કાર્યક્ષેત્રે ધાર્યા પરિણામો ઝડપથી પ્રાપ્ત થશે. સામાજિક વર્તુળમાં તમારી પ્રતિષ્ઠા અને પ્રભાવમાં સારો વધારો થશે. આર્થિક સ્થિતિ વધુ સુધરશે અને જૂના રોકાણોમાંથી ઉત્તમ લાભ મળશે. દાંપત્યજીવન સુખમય અને આનંદદાયક રહેશે.


​કન્યા (Virgo):
રાશિ સ્વામી બુધના પ્રભાવથી આજે કાર્યક્ષેત્રે યોગ્ય સમય વ્યવસ્થાપન જાળવીને તમામ લક્ષ્યો સરળતાથી પૂર્ણ કરી શકશો. નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી અને અજાણ્યા લોકો પર વધુ પડતો વિશ્વાસ ન કરવો. પરિવારના સભ્યો તરફથી જરૂરી સહયોગ મળશે. નિયમિત યોગ અને વ્યાયામથી સ્વાસ્થ્ય સારું રહેશે.


​તુલા (Libra):
આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી અને આર્થિક સમૃદ્ધિ અપાવનારો સાબિત થશે. વેપાર-ધંધામાં સારો નફો થવાના અને આવકના નવા સ્ત્રોત ઊભા થવાના શુભ સંકેતો છે. કૌટુંબિક વાતાવરણ આનંદમય રહેશે અને કોઈ શુભ સમાચાર મળી શકે છે. મન દિવસભર પ્રફુલ્લિત અને સકારાત્મક રહેશે.


​વૃશ્ચિક (Scorpio):
કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે અને વિરોધીઓ પર તમારો પ્રભાવ વધશે. કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ મજબૂત બનશે અને નવી જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી શકશો. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી મુશ્કેલ કાર્યો પણ સરળ બનશે. સ્વાસ્થ્ય ઊર્જાવાન અને સંતોષકારક રહેશે.


​ધન (Sagittarius):
ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે રુચિ વધશે અને દાન-પુણ્યમાં મન વિશેષ લાગશે. ભાગ્યનો પૂરો સાથ મળવાથી લાંબા સમયથી અટકેલા સરકારી કે ખાનગી કામો પૂર્ણ થવા લાગશે. નાની અને લાભદાયી યાત્રાનો યોગ બની રહ્યો છે. સંતાનો તરફથી કોઈ ઉત્સાહવર્ધક સમાચાર મળશે.


​મકર (Capricorn):
આજે દરેક કાર્યમાં ધીરજ અને સંયમ રાખવો, વાદ-વિવાદ કે ઉગ્ર ચર્ચાઓથી દૂર રહેવું હિતાવહ છે. કાર્યક્ષેત્રે પરિશ્રમ વધુ કરવો પડશે પરંતુ તેનું પરિણામ લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. નાણાકીય બાબતોમાં આયોજનપૂર્વક આગળ વધવું જરૂરી છે. નિયમિત દિનચર્યા રાખવાથી સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.


​કુંભ (Aquarius):
ભાગીદારીના ધંધામાં સારો આર્થિક લાભ થશે અને નવી વ્યવસાયિક યોજનાઓ શરૂ કરવા માટે ઉત્તમ સમય છે. વૈવાહિક જીવનમાં મધુરતા વધશે અને જીવનસાથી તરફથી મહત્વપૂર્ણ સહયોગ મળશે. તમારી સર્જનાત્મકતા અને નવીન વિચારોની પ્રશંસા થશે. સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે.


​મીન (Pisces):
કાર્યસ્થળે સહકર્મીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે અને મહેનતનું ધાર્યું તેમજ સંતોષકારક પરિણામ પ્રાપ્ત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે. નાણાકીય બચતમાં વધારો થશે અને બિનજરૂરી ખર્ચ પર સારો અંકુશ રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને આત્મસંતોષ મળશે.

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થવાના સંકેત, ક્યારે અને ક્યાં પડશે ભારે વરસાદ?

0

ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદના વળતરના સંકેતો મળતા ખેડૂતો અને નાગરિકોમાં આશા જાગી છે. 9 સપ્ટેમ્બરના હવામાન વિભાગના તાજા અપડેટ મુજબ આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિમાં વધારો થવાની શક્યતા છે અને ખાસ કરીને 12 તથા 13 સપ્ટેમ્બરે ગુજરાત રિજનમાં ભારે વરસાદ સાથે ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે સૌરાષ્ટ્ર-કચ્છ માટે આ બંને દિવસોમાં ભારે વરસાદની સત્તાવાર ચેતવણી હાલ આપવામાં આવી નથી.

રાજ્યમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી વરસાદની ગતિ નબળી રહેતા ખેતી પર ચિંતા વધી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની ઘટને કારણે ખેડૂતો પાકના ભવિષ્યને લઈને ચિંતિત છે. આવી સ્થિતિમાં સપ્ટેમ્બરનો વરસાદ ખરીફ પાક માટે મહત્વનો બની શકે છે.

હવામાન વિભાગના 9 સપ્ટેમ્બરના બુલેટિન પ્રમાણે 9, 10 અને 11 સપ્ટેમ્બરે ગુજરાત રિજન માટે કોઈ ભારે વરસાદની ચેતવણી નથી. ત્યારબાદ 12 અને 13 સપ્ટેમ્બરે ભારે વરસાદની સાથે થંડરસ્ટોર્મ અને વીજળી પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

આ તરફ આપેલી હવામાન માહિતી મુજબ બંગાળની ખાડી અને તેની આસપાસ બનતી હવામાન પ્રણાલીની અસર ગુજરાત તરફ જોવા મળી શકે છે. પવનની સ્થિતિ અને સિસ્ટમની ગતિ અનુકૂળ રહે તો 12થી 16 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા છે.

ગુજરાતમાં વરસાદની સ્થિતિ જોકે તમામ વિસ્તારોમાં સરખી નથી. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીની સ્થિતિ તુલનાત્મક રીતે સારી રહી છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘટ વધુ નોંધાઈ રહી છે. આવા સમયે આગામી વરસાદ માત્ર તાપમાનમાં રાહત પૂરતો નહીં પરંતુ ખેતી માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

હાલની સત્તાવાર આગાહીને જોતા 12 અને 13 સપ્ટેમ્બર ગુજરાત માટે મહત્વના વરસાદી દિવસ બની શકે છે, પરંતુ ભારે વરસાદની આગાહીને સમગ્ર રાજ્યમાં એકસરખી ગણવી યોગ્ય નહીં રહે. ખેડૂતો અને સ્થાનિક તંત્રએ પોતાના વિસ્તારની જિલ્લા-વાર આગાહી પર નજર રાખવી જરૂરી રહેશે.

કોલસા અને કલર-કેમિકલ મોંઘા થતાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફરી હલચલ, આવતા સપ્તાહે મોટો નિર્ણય

અગાઉ તા ૨૭-૦૮-૨૦૨૬ના રોજ સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનની પ્રેસેસ હાઉસની તત્કાલીન પરિસ્થિતી પર ચર્ચા કરવા માટે સભા મળી હતી, જેમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ચર્ચાના અંતે પ્રેસેસ હાઉસના સભ્યોની સર્વાનુમતે માંગણી હતી કે પ્રોસેસર્સના જોબ ચાર્જમાં ૧૦ થી ૧૫ ટકા નો ભાવ વધારો કરવો તેમ નક્કી કરવામાં આવેલ હતું.

આજરોજ અગાઉ તા.૨૭-૦૮-૨૦૨૬ના રોજ મળેલ સભાના અનુસંધાનમાં ફરી એક મીટીંગનું આયોજન કરવા સભ્યોનું દબાણ આવતા એક મીટીંગ કરવામાં આવી હતી. મીટીંગમાં એકત્રીત તમામ સભ્યોએ માંગ કરી હતી કે તા:૨૭-૦૮-૨૦૨૬ના રોજ કરેલ ભાવ વધારા પછી આજદિન સુધીમાં કોલસા તેમજ કલર કેમીકલ્સના ભાવમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો થયો છે, માટે આવતા સપ્તાહમાં ફરી મીટીંગ બોલાવી પ્રોસેસના દરમાં ફરીથી ફેરબદલ કરવા નક્કી કરવા માટે સભા બોલાવવાનો નિર્ણય સર્વાનુંમતે કરવામાં આવ્યો હતો.

આજરોજ મળેલ મીટીંગમાં પ્રમુખશ્રી જીતુભાઈ વખારીઆ ઉપરાંત મુખ્ય વક્તાઓમાં શ્રી પ્રમોદભાઈ ચૌધરી, શ્રી મિતુલ મહેતા, શ્રી કમલવિજય તુલસ્યાન, શ્રી મનીષભાઈ અગ્રવાલ, શ્રી શ્યામજી અગ્રવાલ, શ્રી સુરેશભાઈ અગ્રવાલ હાજર રહ્યા હતા અને પોત-પોતાના વિચારો રજુ કર્યા હતા.

ભાજપ કાર્યાલયમાં દુઃખીયાના દુઃખ દૂર થાય એવા કામ કરજો : પીએમ મોદી

0

નવસારી ખાતે જિલ્લા ભાજપનું નવું બનેલું કાર્યાલય નમો કમલમનું ઉદ્ધાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભા સંબોધતા કાર્યકરોને ભાજપના કાર્યાલયમાં દુઃખીયાના દુઃખ દૂર થાય એવા કામ કરવા શીખ આપી હતી.


નવસારીમાં જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીની મુલાકાતે આવ્યા હતા. દેશનું પહેલું આર્ટીફિશિયલ ઈન્ટલિજન્સ આધારિત ભાજપ કાર્યાલય 10 કરોડના ખર્ચે તૈયાર થયું છે. આ કાર્યાલયનું નિરીક્ષણ કરી તેમાં રહેલી વિવિધ સુવિધાઓ જોઈને તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. એ બાદ જાહેર સભાના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જાહેર સંબોધન કર્યું હતું. તેમણે ગુજરાતીમાં સંબોધન કરવા સાથે સૌરાષ્ટ્રવાસીઓના પાન-મસાલા ખાવાની અને થૂકવાની કુટેવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દેશમાં સધાયેલા વિકાસની ગાથાનો ઉલ્લેખ કરવા સાથે અનેક વાતો કરી હતી. તેમણે પીએમ સ્વનિધિ યોજનાએ લારીવાળાઓનું જીવન બદલી નાખ્યું હોવાનું જણાવીને દેશના વિકાસના કામોનો પણ ઉલ્લેખ કર્યો હતો.


કાર્યકર્તાઓને મળવું એ પોતાને માટે એક અવસર સમાન હોવાનું જણાવીને વડાપ્રધાન મોદીએ ભાજપ કાર્યકરોની નિષ્ઠાને બિરદાવતા કહ્યું હતું કે ભાજપના કાર્યકરો માટે સત્તા, પદ, પ્રતિષ્ઠા એ ફક્ત સેવા જ છે.


એ પહેલાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ સંબોધન કર્યું હતું. તેમણે 7.8 ટકાનો વિકાસ દર પીએમ મોદીના નક્કર નેતૃત્વ અને પ્રગતિશીલ વિકાસનું પરિણામ હોવાનું જણાવ્યું હતું.
નવસારીના સાંસદ સી.આર.પાટીલે નવસારીમાં લારીવાળાઓને 700 સ્ટીલની લારી અને પીએમ સ્વનિધિ યોજનામાં લોન અપાશે એમ જણાવ્યું હતું.


આ પ્રસંગે એક બાળકી જેનિફર પટેલ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલઘેલી ભાષામાં વાતો કરી હતી. તેમણે પૂછ્યું હતું કે શું તું જેન-ઝી છે ? જો કે જેનિફરે તરત ના પાડતાં કહ્યું કે કે હું તો દુર્ગા માતા છું, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકીને કહ્યું કે તો પછી ભારતની રક્ષા કરજો.

નવસારીમાં દેશનું પ્રથમ AI સુવિધા સાથેનું નમો કમલમનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીના નેશનલ હાઇવે ગ્રીડ નજીક ભાજપના દેશના પ્રથમ AI આધારિત અત્યાધુનિક કાર્યાલય ‘નમો કમલમ’નું લોકાર્પણ કર્યું હતું.


10 કરોડના ખર્ચે બનેલા નમો કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હજારો લોકો ઉપસ્થિત રહ્યા છે. જ્યારે જિલ્લાભરમાં 4000 સ્ક્રીન પરથી 1.15 લાખ લોકો આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બન્યા છે. વડાપ્રધાન હેલિપેડ પર ઉતર્યા ત્યારે તેમનું ભવ્ય અને પરંપરાગત શૈલીમાં સ્વાગત કરાયું હતું. 1100 બહેનો માથે કળશ મૂકીને તેમના આગમનને વધાવ્યું હતું. જ્યારે 500 થી વધુ પુરુષોએ વિશેષ ડમરુ વાદન કરીને સમગ્ર વાતાવરણને શિવમય બનાવ્યું હતું. આ સિવાય 30 બહેનોએ ઢોલ-ત્રાંસાના તાલ સાથે પરંપરાગત વાદ્યો વગાડીને વાતાવરણ ગજવી નાખ્યું હતું.


નવસારી જિલ્લા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘નમો કમલમ’ની મુલાકાત લીધી હતી. તેમણે જિલ્લા કાર્યાલયમાં આવેલા અદ્યતન મીડિયા સેન્ટર અને ડિજિટલ કોલ સેન્ટરની કાર્યપ્રણાલીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત આધુનિક લાઈબ્રેરી તેમજ સાંસદ અને ધારાસભ્ય માટે બનાવાયેલી ખાસ કેબિનની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેમણે પંડિત દીનદયાળ મીટિંગ હોલ, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી હોલ અને અટલ સભાખંડનું પણ નિરીક્ષણ કર્યું હતું. સભાસ્થળે વડાપ્રધાન મોદીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું.

મુંબઈના અંબાણી સેન્ટર ખાતે PM મોદીના કાર્યક્રમ પહેલા 2 શંકાસ્પદોની નકલી PMO ID અને બંદૂક સાથે અટકાયત

0

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પહેલાં સુરક્ષામાં મોટો ભંગ થયાની ઘટના નોંધાઈ છે. ઘટનાસ્થળેથી બે શંકાસ્પદોની પીએમઓ ઓફિસના આઈડી તથા બંદૂક સાથે અટકાયત કરવામાં આવી છે.


આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટનું ઉદ્ઘાટન કરવાના છે. એ સ્થળેથી બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. તેમાંથી એકે પોતાને વડા પ્રધાન કાર્યાલયના અધિકારી તરીકે ઓળખાવ્યા હોવાનો આરોપ છે. અટકાયત કરાયેલ વ્યક્તિની ઓળખ 24 વર્ષીય રોહન પારેખ તરીકે થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પારેખ પાસે નકલી PMO ઓળખપત્ર હતું, જે સુરક્ષા કર્મચારીઓએ તપાસ કરતાં નકલી હોવાનું જણાયું હતું.


સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે પારેખ સાથે એક બોડીગાર્ડ પણ હતો જે બંદૂકથી સજ્જ હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આ મામલાની વધુ તપાસ કરી રહી છે. ગ્લોબલ ફિનટેક ફેસ્ટની સાતમી આવૃત્તિ 8 થી 11 સપ્ટેમ્બર, 2026 દરમિયાન મુંબઈમાં યોજાઈ રહી છે. GFF 2026 ની થીમ “પોટેન્શિયલ ટુ ઇમ્પેક્ટ: એજન્ટિક AI, ટોકનાઇઝેશન, ક્વોન્ટમ – ટ્રસ્ટેડ, કનેક્ટેડ, ગ્લોબલ સિસ્ટમ્સ ફોર ઇન્ક્લુઝિવ ફાઇનાન્સ” છે.

ગુજરાતીઓ માટે મોટા સમાચાર! અશ્વિની વૈષ્ણવ એ જણાવી બુલેટ ટ્રેન ટ્રાયલની તારીખ

0

વર્ષોથી જે બુલેટ ટ્રેનની રાહ જોવાઈ, હવે તે સપનું સાકાર થવાની દિશામાં છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે વડોદરામાં મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું કે ભારતની બુલેટ ટ્રેનનું ટ્રાયલ મે અથવા જૂન 2027થી શરૂ થવાની અપેક્ષા છે. ટ્રાયલ સફળ રહ્યા બાદ અંદાજે બે થી ચાર મહિનામાં ઉદ્ઘાટન કરવાની યોજના છે. એટલે 2027નું વર્ષ ભારતની હાઈ-સ્પીડ રેલ વ્યવસ્થા માટે અત્યંત મહત્વનું બની શકે છે.

વડોદરામાં યોજાયેલા ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં વૈષ્ણવે જણાવ્યું કે બુલેટ ટ્રેનની પ્રથમ બોડી ફ્રેમ તૈયાર થઈ ગઈ છે અને તેને જરૂરી પરીક્ષણ માટે મોકલવામાં આવી છે. આ પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરનો ભાગ છે અને ગુજરાતના અનેક શહેરોને તેનો સીધો લાભ મળશે.

રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર વડોદરાથી મુંબઈનો પ્રવાસ આશરે દોઢ કલાકમાં પૂર્ણ થઈ શકશે. ગુજરાત માટે વધુ એક મહત્વની માહિતી એ છે કે સુરત-વાપી વિભાગનું બાંધકામ ડિસેમ્બર 2026 સુધી પૂર્ણ કરવાની અપેક્ષા છે. આ પ્રગતિથી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટના મહત્વના વિભાગોમાં કામગીરી વધુ ઝડપથી આગળ વધવાની આશા છે.

વૈષ્ણવે ભારતીય રેલવેમાં થઈ રહેલા અન્ય મોટા ફેરફારોની પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રેલવેની ઓપરેટિંગ અને રિઝર્વેશન સિસ્ટમને આધુનિક બનાવવામાં આવી રહી છે. જૂની બાંધકામ પદ્ધતિઓમાં સુધારા સાથે માલવહન વ્યવસ્થાને પણ અપગ્રેડ કરવામાં આવી રહી છે. આ માટે વિવિધ પ્રકારના નવા વેગન ડિઝાઇન તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં મીઠાના પરિવહન માટેની વિશેષ ડિઝાઇનનો પણ સમાવેશ થાય છે.

રેલવે મંત્રીએ ચેનાબ બ્રિજ અને મિઝોરમને રેલવે નેટવર્ક સાથે જોડતી યોજનાઓ સહિત લાંબા સમયથી પેન્ડિંગ રહેલી કેટલીક મહત્વની યોજનાઓ પૂર્ણ થયાનો પણ ઉલ્લેખ કર્યો. દેશભરમાં 280 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ અને 36,000 કિલોમીટર નવી રેલવે લાઇન બિછાવવાના કામની પણ તેમણે માહિતી આપી હતી.

આ સમગ્ર પ્રોજેક્ટને આત્મનિર્ભર ભારતના વિઝન સાથે આગળ વધારવામાં આવી રહ્યો છે. હવે સૌની નજર 2027ના મે-જૂન પર છે, જ્યારે ભારતમાં પ્રથમ વખત બુલેટ ટ્રેનનું વાસ્તવિક ટ્રાયલ શરૂ થવાની અપેક્ષા છે.

વડોદરામાં PM મોદીએ હજારો યુવાનો સાથે કર્યો સંવાદ, ₹35 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ

0

વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હજારો યુવાનો સાથે સંવાદ કરી તેમને નવી ઊર્જા અને વિકાસની દિશાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ₹35,000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. યુવાનોની આશાઓ, જનભાગીદારી અને વિકાસની ગતિને કેન્દ્રમાં રાખીને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ તરફની યાત્રાને વધુ વેગ આપવાનો સંદેશ આપવામાં આવ્યો.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્ય સરકારના મંત્રીઓ તથા સંગઠનના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન વિકાસકાર્યોને ગુજરાતના સર્વાંગી વિકાસ અને યુવાનો માટે નવી તકો ઊભી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવ્યું હતું.

આશા ભોસલેનું છેલ્લું ફિલ્મી ગીત તેમની 93મી જન્મ તિથીએ રિલીઝ થયું

આશા ભોસલે હવે દુનિયામાં રહ્યા નથી છતાં પણ તેમના ગીતો આજે પણ લોકોના હૃદય પર એટલા જ રાજ કરે છે અને એમનું આ ગીત ફિલ્મો માટે નું છેલ્લું ગીત હોય ખૂબ મહત્વ ધરાવે છે. તેમની 93મી જન્મજયંતિ નિમિત્તે ‘એ મેરી ઝિંદગી, તૂ છુપી હૈ કહાં’ નામનું તેમનું છેલ્લું ફીચર ફિલ્મ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત ‘ઓમ કા હરિ’ ફિલ્મના મ્યુઝિક આલ્બમનો ભાગ છે. મુંબઈમાં યોજાયેલા મ્યુઝિક લોન્ચ દરમિયાન ગીત સાથે આશા ભોસલેના રેકોર્ડિંગ સમયના BTS દૃશ્યો પણ રજૂ કરાયા હતા.

ખાસ વાત એ છે કે આશા ભોસલેએ આ ગીતનું રેકોર્ડિંગ 2023ના અંતમાં કર્યું હતું, જ્યારે તેઓ 90 વર્ષની વયે હતાં. ગીતના વીડિયો અને BTS ફૂટેજમાં તેઓ સ્ટુડિયોમાં ગીત રેકોર્ડ કરતા જોવા મળે છે. અહેવાલો અનુસાર, ગીત પસંદ કરતાં જ આશા ભોસલેએ તેને ગાવા માટે સંમતિ આપી હતી અને તેમને તેની ધૂન ખાસ પસંદ આવી હતી.

‘ઓમ કા હરિ’નું દિગ્દર્શન હરીશ વ્યાસે કર્યું છે. ફિલ્મમાં રઘુબીર યાદવ, સોની રાઝદાન, અંશુમન ઝા અને આયેશા કપૂર મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા પિતા-પુત્રના સંબંધની આસપાસ વણાયેલી છે. સંગીત આલ્બમમાં આશા ભોસલે ઉપરાંત અમિત કુમાર અને પારેશ પાહુજાના ગીતો પણ છે, જ્યારે રઘુબીર યાદવે પણ બે ગીતો ગાયા છે.

‘ઓમ કા હરિ’ 18 સપ્ટેમ્બર 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આશા ભોસલેનું આ અંતિમ ફિલ્મી ગીત તેમના ચાહકો માટે તેમની અવિસ્મરણીય સંગીત વારસાની ખાસ ભેટ બની રહ્યું છે.

‘આપકા ઓરા હી અલગ હૈ…’ વડોદરામાં PM મોદીને જોઈ Gen-Zનો જુસ્સો છલકાયો

0

વડોદરામાં આજે PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં વિકાસની સાથે યુવાનોનો ઉત્સાહ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ₹35,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને રાષ્ટ્રને સમર્પણ માટે વડોદરા પહોંચેલા મોદીએ ‘Namo for Viksit Bharat’ કાર્યક્રમમાં Gen-Z યુવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો.

મોદીના આગમન સમયે મોટી સંખ્યામાં લોકોએ મોબાઈલ કાઢી તેમની તસવીરો અને વીડિયો કેદ કર્યા હતા. ‘બડે સાહબ’ના નારા, હાર્ટ ઇમોજી અને PM મોદીના સ્માઇલિંગ પોઝે વડોદરાના કાર્યક્રમમાં અનોખો માહોલ સર્જ્યો હતો. વડોદરાના આ કાર્યક્રમમાં 6,000થી વધુ વિદ્યાર્થીઓ અને યુવા સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ જોડાયા હોવાનું અગાઉ જાહેર થયું હતું.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમને સામાન્ય રાજકીય સભાથી અલગ અંદાજમાં તૈયાર કરવામાં આવ્યો હતો. મોદીને પ્રેક્ષકોની વધુ નજીક પહોંચાડવા માટે ખાસ Y-આકારનો રેમ્પ બનાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ માટે 6,000 જેટલી બેઠકો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી અને રજીસ્ટ્રેશન શરૂ થયા બાદ ભારે પ્રતિસાદ મળ્યો હતો.

મોદીના સ્વાગત માટે યુવાનો અને યુવતીઓ વિવિધ ક્રિએટિવ પોસ્ટર્સ સાથે પહોંચ્યા હતા. ‘મોદીજી સ્માઈલ પ્લીઝ… મોટિવેશનલ મિલ જાયેગા…’ અને ‘આપકા ઓરા હી અલગ હૈ…’ જેવા મેસેજથી ભરેલા પોસ્ટર્સે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કેટલાક યુવાનોએ મોબાઈલની સ્ક્રીન પર હાર્ટ સિમ્બોલ સાથે ‘MODI’ લખીને પોતાના ઉત્સાહનો અંદાજ આપ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન યુવાનોમાં મોદીને જોવા અને સાંભળવા માટે ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં યુવાનો અને અન્ય ઉપસ્થિતોએ મોબાઈલથી પળોને કેદ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં ટેક્નોલોજી, લાઇટિંગ અને લાઇવ-પ્રોડક્શનનો પણ ખાસ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ મુલાકાત દરમિયાન વડોદરાને ₹35,000 કરોડથી વધુના વિવિધ રેલ, રોડ અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સની ભેટ મળી છે.