કલ્પના કરો કે આખા ગામના કોઈપણ ઘરમાં રોજ રસોઈ ન બનતી હોય, છતાં કોઈને ભોજનની ચિંતા ન હોય! ગુજરાતના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાનું ચાંદણકી ગામ આ અનોખી વ્યવસ્થાને વર્ષોથી જીવંત રાખી રહ્યું છે. અહીં ગામના લોકો માટે એક જ સામૂહિક રસોડામાં ભોજન તૈયાર થાય છે અને ગ્રામજનો સાથે બેસીને જમે છે. આ અનોખી પરંપરાનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં પણ કર્યો હતો.
ચાંદણકીમાં યુવાનો રોજગાર અને વ્યવસાય માટે શહેરો તથા વિદેશમાં જતા રહ્યા બાદ ગામમાં મોટી સંખ્યામાં વડીલો રહી ગયા હતા. ઉંમર વધતાં તેમના માટે રોજ કરિયાણું અને શાકભાજી લાવીને રસોઈ બનાવવી મુશ્કેલ બનતી હતી. સાથે જ એકલતા પણ અનુભવાતી હતી. આ સમસ્યાના ઉકેલ તરીકે ગામના સરપંચ પૂનમભાઈ પટેલ અને ગ્રામજનોએ સામૂહિક રસોડાની વ્યવસ્થા ઊભી કરી.
આ વ્યવસ્થા કોઈ મફત સેવા નથી. ગામના લોકો વ્યક્તિદીઠ દર મહિને આશરે ₹2,000 ચૂકવે છે અને તેના બદલામાં તેમને દરરોજ બે વખત ભોજન મળે છે. રસોઈ બનાવવા માટે રસોઈયાઓ રાખવામાં આવ્યા છે, જેમને આશરે ₹11,000 માસિક ચૂકવવામાં આવે છે.
ભોજનમાં સામાન્ય રીતે દાળ, ભાત, રોટલી, શાક અને મીઠાઈ જેવી વાનગીઓ હોય છે. રાત્રે ખીચડી-કઢી, ભાખરી-રોટલી-શાક ઉપરાંત ઢોકળા, મેથી ગોટા અને અન્ય વાનગીઓ પણ પીરસાય છે.
જ્યારે આ યુગમાં નાના પરિવારો એકલતાની સમસ્યા વધી રહી છે ત્યારે સામૂહિક રસોડાની બાજુમાં આવેલા હોલમાં દરરોજ અનેક ગ્રામજનો સાથે બેસીને ભોજન કરે છે. આ જગ્યા માત્ર જમવા પૂરતી નથી રહી; અહીં લોકો વાતો કરે છે, સુખ-દુઃખ વહેંચે છે અને એકબીજાની ખબર રાખે છે. બીમાર અથવા ચાલી ન શકતા વડીલો માટે ઘરે ટિફિન પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.
ચાંદણકીની આ અનોખી પહેલ બતાવે છે કે ગામની સાચી સમૃદ્ધિ માત્ર સુવિધાઓમાં નહીં, પરંતુ લોકો એકબીજાની સાથે કેટલા જોડાયેલા છે તેમાં પણ હોય છે.





