દિલ્હીના જંતર-મંતર પર ફરી એકવાર વિરોધનો માહોલ જોવા મળી શકે છે. કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ બુધવારે જાહેરાત કરી કે ‘જંતર-મંતર સીઝન-2’ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. અગાઉના આંદોલન બાદ CJPએ ફરી વિરોધ પ્રદર્શનની તૈયારી શરૂ કરી હોવાના સંકેત આપ્યા છે.
દીપકેએ દિલ્હીમાં CJPના વોલન્ટિયર્સની બેઠક માટે હોલ ન મળ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, બેઠક માટે હોલ બુક કરવામાં આવ્યો હતો, પરંતુ કાર્યક્રમના દિવસે આયોજકોને સ્થળનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. દીપકેએ આક્ષેપ કર્યો કે હોલ માલિકો પર ‘ઉપરથી દબાણ’ હતું અને આ પાછળ ભાજપનો હાથ હોવાનો દાવો કર્યો છે.
CJPના જણાવ્યા મુજબ, અગાઉ જંતર-મંતર પર ચાલેલા આંદોલન બાદ હવે સંગઠન આગળની વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે. પ્રવક્તા સૌરવ દાસે દેશભરમાં ‘લિસનિંગ ટૂર’ યોજવાની વાત પણ કરી છે, જેના દ્વારા લોકોની સમસ્યાઓ અને શિક્ષણ સંબંધિત મુદ્દાઓ સાંભળવામાં આવશે.
અભિજીત દીપકેએ કહ્યું કે સોશિયલ મીડિયા પર લોકો સતત ‘જંતર-મંતર સીઝન-2’ ક્યારે શરૂ થશે તે અંગે સવાલ કરી રહ્યા હતા. તેના જવાબમાં તેમણે આંદોલનનો આગામી તબક્કો ખૂબ જલ્દી શરૂ થશે તેવી જાહેરાત કરી છે.