દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા CJP (કોકરોચ જનતા પાર્ટી)ના NEET પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસનો મોટો દાવો સામે આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, 20 જુલાઈની હિંસા બાદ લગાવવામાં આવેલી ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ (FRS) દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં 2,500થી વધુ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોની ઓળખ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 20 જુલાઈના ‘સંસદ ચાલો’ માર્ચ દરમિયાન થયેલી અથડામણમાં કેટલાક અસામાજિક તત્વોએ પોલીસકર્મીઓ પર ચાકૂ સહિત ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો. ત્યારબાદ સુરક્ષા વધારવા માટે જંતર-મંતરના મુખ્ય પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોએ FRSની ચાર યુનિટ તૈનાત કરવામાં આવી હતી.
દિલ્હી પોલીસના ડેટાબેઝ સાથે જોડાયેલી આ સિસ્ટમ 21થી 23 જુલાઈ દરમિયાન 2,500થી વધુ એવા લોકોની ઓળખ કરવામાં સફળ રહી, જેમનો અગાઉથી ગુનાહિત રેકોર્ડ હોવાનું પોલીસનો દાવો છે.
આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં 15 FIR નોંધાઈ છે અને પોલીસકર્મીઓ પર હુમલો તેમજ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર લોકો સામે તપાસ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે CJP દ્વારા જંતર-મંતર પર NEET પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, જેમાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ કરવામાં આવી રહી છે.