સુરત: શહેરમાં દર વર્ષે વરસાદ દરમિયાન સર્જાતી પાણી ભરાવાની અને ખાડી પૂર (Creek Flooding)ની સમસ્યાના કાયમી ઉકેલ માટે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે બે વિશેષ સમિતિઓની રચના કરી છે.
રાજ્ય કક્ષાની મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ તરીકે અગ્ર સચિવ એમ. થેન્નારસન (IAS)ની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન, સુરત કલેક્ટર તેજસ પરમાર, SUDAના CEO સહિત સિંચાઈ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ (R&B) તથા GPCBના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિ પૂર નિયંત્રણ માટે તૈયાર થનારા માસ્ટર પ્લાન અને DPRની સમીક્ષા કરી મંજૂરી આપશે તેમજ વિવિધ વિભાગો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરશે.

શહેર કક્ષાની કમિટીના અધ્યક્ષ તરીકે સુરત મહાનગરપાલિકા કમિશનર એમ. નાગરાજનની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિમાં ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચ (IAS), SUDA, જિલ્લા વિકાસ અધિકારી, સિંચાઈ વિભાગના અધિકારીઓ, SMCના એન્જિનિયરો અને SVNITના ટેકનિકલ નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિ ડ્રેનેજ અને ખાડી વિસ્તારોનું ટેકનિકલ સર્વેક્ષણ કરશે, પાણી ભરાવાના કારણો અને દબાણો ઓળખશે તેમજ ટૂંકા અને લાંબા ગાળાના ઉકેલો અંગે ભલામણ કરશે.

ગુજરાત સરકારે સુરત મહાનગરપાલિકાને આ સમગ્ર પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરી છે. રાજ્ય કક્ષાની સમિતિ દ્વારા મંજૂર થનારા તમામ પૂર નિવારણ અને ડ્રેનેજ સુધારણા પ્રોજેક્ટ્સનું અમલીકરણ SMC દ્વારા કરવામાં આવશે.

સરકારના આ નિર્ણયથી સુરત શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઘટાડવા અને ખાડી પૂર સામે લાંબા ગાળાનો ઉકેલ લાવવામાં મદદ મળશે.