નીટ પેપર લીક મુદ્દે દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલન વચ્ચે 26 દિવસથી અનિશ્ચિત ઉપવાસ પર રહેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે આખરે કેન્દ્ર સરકારના લેખિત આશ્વાસન બાદ પોતાનું અનશન સમાપ્ત કર્યું. લાંબા સમયથી ચાલતી વાટાઘાટો, ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક અને કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા તથા ડૉ. જીતેન્દ્ર સિંહની સીધી મુલાકાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
સરકારી સૂત્રો મુજબ, વાંગચુકની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહે આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને પીએમઓમાં રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ સાથે લાંબી ચર્ચા કરી હતી. ત્યારબાદ ડૉ. જીતેન્દ્ર સિંહે વાંગચુકની પત્ની ગીતાંજલી આંગમો સાથે ફોન પર વાત કરી અને સરકાર તેમની માંગણીઓ પર સકારાત્મક રીતે વિચાર કરી રહી હોવાનું વિશ્વાસ અપાવ્યો.
મોડી રાત્રે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં જે.પી. નડ્ડા અને ડૉ. જીતેન્દ્ર સિંહે વાંગચુકને લેખિત આશ્વાસનપત્ર આપ્યું. તેમાં પાંચ મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ હતો. પ્રથમ, જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ કરનાર વિદ્યાર્થીઓ અને 20 જુલાઈના સંસદ માર્ચમાં જોડાયેલા લોકો સામે દંડાત્મક કાર્યવાહી નહીં કરવાની સકારાત્મક ખાતરી. બીજું, પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને પેપર લીક રોકવા માટે કડક કાયદો તથા નવા વિધેયકને સંસદમાં રજૂ કરવાની તૈયારી. ત્રીજું, શિક્ષણ સુધારાઓ પર સંસદમાં ચર્ચા. ચોથું, નીટ પેપર લીકથી અસરગ્રસ્ત અને આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને વળતર અંગે સકારાત્મક વિચારણા. તેમજ પાંચમું, સમગ્ર પરીક્ષા વ્યવસ્થામાં જવાબદારી નક્કી કરવા માટે જરૂરી સુધારાત્મક પગલાં.
આ આશ્વાસનો મળ્યા બાદ સોનમ વાંગચુકે 26 દિવસનું અનશન સમાપ્ત કરતાં કહ્યું કે આ માત્ર “અનશનનો અંત નહીં, પરંતુ જવાબદારીની શરૂઆત” છે. તેમણે જણાવ્યું કે દેશના હિતમાં અને સંભવિત હિંસા ટાળવા માટે આ નિર્ણય લેવાયો છે. તેમણે લદ્દાખ પરત જતાં પહેલાં વિદ્યાર્થી આંદોલન સાથે જોડાયેલા યુવાનો સાથે મુલાકાત કરવાની પણ જાહેરાત કરી.
અનશન સમાપ્ત થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાંગચુકના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી અને ડૉક્ટરોની સલાહનું પાલન કરવાની અપીલ કરી. બીજી તરફ, સરકારે પરીક્ષા પેપર લીક સામે વધુ કડક કાયદો અને ફાસ્ટ-ટ્રેક ન્યાયિક પ્રક્રિયા લાવવાની દિશામાં આગળ વધવાનું પણ સંકેત આપ્યું છે.