સુરત શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંચની માંગ અંગે એક જાગૃત નાગરિકે ફરિયાદ કરતા સુરત શહેર એ.સી.બી.ની ટીમે છટકું ગોઠવી કાર્યવાહી કરી હતી. આ કેસમાં સુરત મહાનગર પાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ શશીકાંતભાઇ ગણેશવાલા તથા ‘નિષ્પક્ષ ગુજરાત’ દૈનિક અખબારના પત્રકાર મહંમદ ઇસ્માઇલ સામે ગુનો નોંધાયો છે.

બાંધકામ અને ડિમોલિશનનો મુદ્દો
ફરીયાદ મુજબ, સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નં. 134-135 ખાતે થયેલા બાંધકામ બાબતે અગાઉ મનાઈ હુકમની નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ડિમોલિશન ચાર્જ તરીકે રૂ. 1.70 લાખ વસૂલવામાં આવ્યા હતા અને આરોપી અધિકારીની સૂચનાથી ડિમોલિશનની કાર્યવાહી રોકવામાં આવી હતી.
લાંચની માંગ અને છટકાની કાર્યવાહી
આરોપી અધિકારીના ખાસ માણસ તરીકે કાર્ય કરતો પત્રકાર ફરીયાદીને અવારનવાર મળી બાંધકામ ન તોડવાના બદલામાં કુલ રૂ. 21 લાખની લાંચ માંગતો હતો. વાટાઘાટોના અંતે રૂ. 15 લાખમાં સોદો નક્કી થયો હતો. તા. 19-02-2026ના રોજ પ્રથમ હપ્તા તરીકે રૂ. 4 લાખ સ્વીકારવાની ગોઠવણ કરવામાં આવી હતી અને બાકી રૂ. 11 લાખ સોમવાર સુધીમાં આપવા દબાણ કરાયું હતું. લાંચ આપવા ઇચ્છા ન હોવાથી ફરીયાદીએ સુરત શહેર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. છટકાની કાર્યવાહી દરમિયાન મહંમદ ઇસ્માઇલએ ફરીયાદી પાસેથી રૂ. 4 લાખ સ્વીકારી શંકા જતા રકમ લઈને ફરાર થઈ ગયો હતો, વિપુલ શશીકાંતભાઇ પાસે તપાસ દરમિયાન મળી આવ્યો નહોતો.
ACB અધિકારીઓની ભૂમિકા
આ સમગ્ર કાર્યવાહીમાં ટ્રેપિંગ અધિકારી તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.જે. ધડુક તથા એ.સી.બી. સ્ટાફે કામગીરી કરી હતી. કેસની દેખરેખ શ્રી આર.આર. ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે ઇન્ચાર્જ અધિકારી તરીકે બલદેવ દેસાઇ, નાયબ નિયામક, વડોદરા રેન્જની જવાબદારી રહી હતી.