સૌરાષ્ટ્રની સાથે-સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી સહિતના જિલ્લાઓમાં ફરી અનરાધાર વરસાદ વરસ્યો. ગઇકાલે સુરતમાં ભારે વરસાદને કારણે વણસેલી સ્થિતિ થાળે પડે તે પહેલા આજે ફરી વરસાદ ત્રાટકયો. એક તરફ ખાડીના પૂર તો બીજી તરફ વરસાદી પાણી. જેના કારણે સુરતીલાલાઓની મુશ્કેલી બમણી થઇ. નવસારીમાં ધોધમાર વરસાદને પગલે શહેરના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા સત્ય અહિંસા ગેટનો મુખ્ય માર્ગ જળમગ્ન થયો. બીજી તરફ વલસાડ પંથકમાં પણ વરસાદે હાલાકી સર્જી. ભારે વરસાદથી મુકુંદ ઓવરબ્રિજથી સુગર ફેક્ટરી ઓવરબ્રિજ વચ્ચે મસમોટા ખાડા પડ્યા. ભરૂચ શહેરમાં પણ ધોધમાર વરસાદથી શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા.
સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાયા. આશાપુરા મંદિર નજીક ઘૂંટણસમા પાણી ભરાયા. વરાળ નજીક આવેલી શાળામાં પણ પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી. ભારે વરસાદથી મોટાભાગની શાળામાં રજા આપવામાં આવી હતી. કડોદરા સુરત મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી. સુરત શહેરની વાત કરીએ તો ભારે વરસાદથી અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. ડુંભાલ વિસ્તારના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.
સુરત જિલ્લાના પલસાણા, બારડોલી, માંડવી, કામરેજ તાલુકામાં આજે દિવસના ધોધમાર વરસાદના કારણે ચાર તાલુકાના 48 ગામોની ફરતે તેમજ કોઝવે ઓવરફલો થવાના કારણે તેમજ ઓવર ટોપીંગ, એપ્રોચ રોડનું ધોવાણ તથા અન્ડર પાસમાં પાણી ભરાવાના કારણે રસ્તાઓ બંધ થતા ગ્રામ્ય જીવન પ્રભાવિત થયુ હતુ. તંત્ર દ્વારા આ ગામોના લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. વરસાદ ચાલુ જ રહેતા તંત્ર દોડતુ થયુ હતુ. વરસાદ બંધ થયા બાદ આ રસ્તાઓ શરૂ થશે. આથી હાલ 48 ગામોની ફરતેના અનેક રસ્તાઓ બંધ થતા ગ્રામ્ય જીવનનો વ્યવહાર અટકી પડયો હતો. આ ચાર તાલુકામાં બારડોલીના 21, માંડવીના 20, પલસાણાના છ અને કામરેજ તાલુકાના એક મળીને 48 ગામોના રસ્તાઓ કટ ઓફ થયા હતા.
આ તરફ વલસાડમાં ધોધમાર વરસાદથી મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. મધુબન ડેમની સપાટી 72.25 મીટરે પહોંચી હતી. ઉપરવાસમાં વરસાદથી ડેમમાં 29 હજાર 261 ક્યુસેક પાણીની આવક થઈ. મધુબન ડેમના 6 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા હતા, જેમાં 14,883 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :-